Jamnagar તા. 8
જામનગર શહેરમાં આગામી 10મી તારીખે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાત્રિ રોકાણને લઈને સમગ્ર શહેરમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. શહેરમાં વિવિધ સ્થળોએ કરવામાં આવેલા આકર્ષક સાજ-શણગારને કારણે જાણે દિવાળી જેવો ઝગમગતો નજારો સર્જાયો હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વડાપ્રધાનના સ્વાગત માટે શહેરના મુખ્ય માર્ગો અને સર્કલોને વિશેષ રીતે શણગારવામાં આવી રહ્યા છે. લાલ બંગલા સર્કલ, સાત રસ્તા વિસ્તાર તેમજ દિગજામ સર્કલથી એરફોર્સ સ્ટેશન સુધીના માર્ગ પર આવેલા ડિવાઇડરોમાં સ્થિત ઇલેક્ટ્રિક પોલ પર રંગબેરંગી અને ઝળહળતી લાઇટો લગાવવામાં આવી રહી છે, જેના કારણે સમગ્ર વિસ્તાર પ્રકાશમય બની ગયો છે.
ગઈકાલે રાત્રિના સમયે આ ઝગમગતી રોશનીનો નજારો નિહાળવા માટે અનેક નાગરિકો પોતાના વાહનો લઈને બહાર નીકળ્યા હતા. કેટલાક લોકો પોતાના મોબાઈલ ફોનમાં આ સુંદર દ્રશ્યો કેદ કરતા જોવા મળ્યા હતા, જ્યારે અનેક લોકોએ સેલ્ફી અને વિડિયો બનાવી સોશિયલ માધ્યમોમાં શેર કરતા આ દ્રશ્યો વ્યાપક રીતે પ્રસારિત થયા હતા.
વડાપ્રધાનના આગમનને પગલે જામનગર શહેરમાં સુરક્ષા અને વ્યવસ્થાની સાથે સાથે સૌંદર્યમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે શહેરવાસીઓમાં ગૌરવ અને આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
મુખ્યમંત્રી અને ગૃહમંત્રી
શહેરમાં આગામી દશમી તારીખે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ શહેરની મુલાકાતે આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે ત્રણેય મહાનુભાવોનું જામનગરમાં રાત્રિ રોકાણ થવાનું હોવાથી સમગ્ર તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
માહિતી મુજબ વડાપ્રધાન એરપોર્ટથી એરફોર્સ સ્ટેશનના બેઝ પર ઉતરીને રાત્રિના અંદાજે દસ વાગ્યે જામનગરમાં આવી પહોંચશે. ત્યાંથી તેઓ લાલ બંગલા સર્કલ તરફ જશે, જ્યાં રાજ્ય સ્તરનો કાર્યક્રમ યોજાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. આ કાર્યક્રમ દરમિયાન માર્ગ સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સંબંધિત માર્ગોને સમયસર બંધ રાખવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે.
લાલ બંગલા સર્કલ અથવા જિલ્લા પંચાયત સર્કલ વિસ્તારમાં નાગરિકો માટે બેઠક વ્યવસ્થા ગોઠવાઈ રહી છે, જ્યાં વડાપ્રધાન લોકો વચ્ચે ટૂંકા મિલન કાર્યક્રમમાં ભાગ લઈ શકે તેવી પણ શક્યતા છે. આ પ્રસંગે મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી પણ હાજર રહે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર બી. એન. પંડ્યા અને તેઓની ટીમ, જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની અને સમગ્ર પોલીસ દળ, તેમજ જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદી અને મહાનગરપાલીકા સહિતના અધિકારીઓ દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાની વ્યાપક તૈયારી કરવામાં આવી રહી છે. શહેરમાં પોલીસ બંદોબસ્ત કડક બનાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત જામનગરના સર્કિટ હાઉસ, શહેરની સરકારી ઇમારતોને પણ આકર્ષક અને ઝળહળતી લાઇટિંગથી શણગારવામાં આવી છે, જે શહેરની સુંદરતામાં વધારો કરી રહી છે. વડાપ્રધાનના આગમનને લઈને જામનગર શહેરમાં સુરક્ષા સાથે ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે
શહેરમાં ભવ્ય સાજ-શણગાર શરૂ
જામનગર શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાત્રિ રોકાણ નિર્ધારિત થતાં શહેરમાં તંત્ર સક્રિય બની ગયું છે. વડાપ્રધાન સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે તે પૂર્વે મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરને સુશોભિત કરવા માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે.
વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને શહેરના ગૌરવ સમાન ગણાતા ગૌરવ પથ માર્ગને ખાસ આકર્ષક બનાવવામાં આવી રહ્યો છે. ટાઉન હોલથી શરૂ થઈને સાત રસ્તા સર્કલ સુધી વિસ્તરતા આ માર્ગના ડિવાઇડરો તેમજ સ્ટ્રીટ લાઇટના થાંભલાઓ પર રંગબેરંગી અને ઝગમગતી લાઇટો લગાડવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે.
તે ઉપરાંત લાલ બંગલા સર્કલ, જિલ્લા પંચાયત સર્કલ, સાત રસ્તા સર્કલ, દિગજામ સર્કલ અને મહાકાળી સર્કલ સહિત શહેરના મુખ્ય પાંચ સર્કલોને પણ આકર્ષક લાઇટિંગથી શણગારવામાં આવી રહ્યા છે. એરફોર્સના ગેઇટથી લાલ બંગલા સુધીના માર્ગ પર આવેલા ડિવાઇડરોમાં સ્થિત તમામ સ્ટ્રીટ લાઇટના થાંભલાઓને પણ ઝળહળતી રોશનીથી સજાવવામાં આવી રહ્યા છે.
ગઈકાલ રાત્રિથી જ આ સાજ-શણગારની કામગીરી શરૂ થઈ ગઈ છે, અને આગામી બે દિવસમાં શહેરના મુખ્ય માર્ગો અને સર્કલો સંપૂર્ણ રીતે ઝગમગી ઉઠશે. વડાપ્રધાનના આગમનને લઇને સમગ્ર જામનગર શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે તંત્ર દ્વારા સુચારૂ આયોજન માટે વિવિધ તૈયારીઓ અંતિમ તબક્કામાં છે.

