Ahmedabad,તા.૩
ભૂકંપ સંશોધન સંસ્થા ગાંધીનગરના સત્તાવાર અભ્યાસમાં મહત્વનો ખુલાસો થયો છે. ભૂકંપ સંસ્થાના સંશોધન પ્રમાણે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ભૂકંપનું જોખમ વધારે છે. અમદાવાદના થલતેજ, મેમનગર, સેટેલાઇટ, જોધપુરમાં વધુ જોખમ હોવાનું સંશોધનમાં સામે આવ્યું છે. અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર જોખમી છે.
ગાંધીનગર ભૂકંપ સંશોધન સંસ્થાના તારણ પ્રમાણે અમદાવાદની પૂર્વની વાત કરવામાં આવે તો રખિયાલ, બાપુનગર, નારોલ સર્કલ, ઈસનપુર, ઘોડાસર હાઈ રિસ્ક વિસ્તારો છે. જ્યારે શહેરમાં સોલા, ગોતા, નરોડા, વટવા, મણિનગર, વાસણા અને સરખેજના વિસ્તારો ભૂકંપની દ્રષ્ટિએ ઓછા જોખમકારક છે. નોંધનીય છે કે શહેરની જમીન, બાંધકામ અને સ્થાનિક ભૂગર્ભ રચનાને ધ્યાને લેતા ભૂકંપ જોખમ વિસ્તાર બદલાઈ શકે છે.
ભારતીય માનક સંસ્થાએ વર્ષ ૨૦૦૨ની ભૂકંપીય ઝોનિંગ વ્યવસ્થા અંતર્ગત અમદાવાદને ઝોન-૩મા મુકવામાં આવ્યું હતું. અમદાવાદે ભૂતકાળમાં મધ્યમ તીવ્રતાના ભૂકંપના આંચકાનો અનુભવ કરેલો છે. ૨૦૦૧ના ભૂકંપમાં અમદાવાદમાં થયેલી અસરોને ધ્યાનમાં રાખી આ સંશોધન કરવામાં આવ્યું છે. આ સંશોધન માટે સંશોધકોએ ભૂગર્ભ રચના, માટીના ગુણધર્મો, ભૂસ્તરીય માહિતી, ભૂકંપીય તરંગોના વર્તનને ધ્યાને લઈ વિશ્લેષણ કર્યું છે.
ઇસરના સંકલિત ભૂકંપીય જોખમના નક્શા પ્રમાણે અમદાવાદમાં ભૂકંપના જોખમને ઓછું, મધ્યમ અને તીવ્ર તેમ ત્રણ ભાગમાં દર્શાવવામાં આવ્યું હતું. આ નક્શામાં અમદાવાદ પશ્ચિમનો ભાગ ઊંચા ભૂકંપીય જોખમવાળા વિસ્તાર તરીકે દર્શાવવામાં આવ્યો હતો. જ્યારે ઉત્તર અને પૂર્વ ભાગમાં મધ્યમ સ્તરનું જોખમ દર્શાવવામાં આવ્યું છે. એટલે કે અમદાવાદ શહેરમાં ભૂકંપીય જોખમ એકસમાન નથી.
શહેરમાં જમીનની સ્થાનિક રચના, નદીકાંઠાના સ્તરો, ભૂગર્ભ રચના અને ભૂકંપીય જમીન-ચળવળ વૃદ્ધિ જેવા પરિબળો તેમાં ફેરફાર લાવે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ ૨૩ બોરહોલ કરવામાં આવ્યા હતા. જેમાં ૧૧ બોરહોલ ૮૦ મીટર, ૭ બોરહોલ ૪૭ મીટર અને ૫ બોરહોલ ૩૫ મીટર સુધીની ઊંડાઈ ધરાવતા હતા. સપાટીના તરંગોના વિશ્લેષણ દ્વારા ભૂગર્ભ કાપણી તરંગની ગતિ અંગે તપાસ કરવામાં આવી હતી.

