Mumbai,તા.20
ઇંગ્લેન્ડ સામે લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી 3rd ODI મેચમાં ભારતીય ટીમને 27 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો છે. ઇંગ્લેન્ડ તરફથી મળેલા 388 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 360 રન જ બનાવી શકી હતી. આ હાર સાથે જ ભારતે T20 બાદ 3 મેચોની વન-ડે સીરિઝ પણ 1-2થી ગુમાવી દીધી છે. મેચ બાદ ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટીમની હાર માટે સ્પષ્ટપણે બોલરોના ખરાબ પ્રદર્શનને જવાબદાર ઠેરવ્યું છે.ભારતીય કેપ્ટન શુભમન ગિલે રન ચેઝની રણનીતિ અંગે ખુલાસો કરતા કહ્યું કે, “હા, ચોક્કસપણે અમે વિચાર્યું હતું કે જો 40 ઓવર પછી અમારી પાસે વિકેટો બચી રહેશે, તો અમે મેચ જીતી શકીશું. જોકે, અમે રન રેટમાં પાછળ પણ રહેવા નહોતા માંગતા. આ જ કારણે પાવરપ્લે પછી અમે રન બનાવવાની ગતિ વધારી અને રન રેટને 6 કે 6.5ની આસપાસ જાળવી રાખ્યો. જો અમે 6 કે 6.5ની એવરેજથી રમીને અંતિમ 10 ઓવરમાં 100-110 રન બનાવ્યા હોત, તો પરિણામ કંઈપણ હોઈ શકતું હતું.”શુભમન ગિલના મતે આ સીરિઝમાં બોલરોનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે. તેણે ઉમેર્યું, “આ સીરિઝમાં લગભગ તમામ બેટ્સમેનોએ રન બનાવ્યા છે. પરંતુ આ મેચમાં અમે સારી બોલિંગ ન કરી, ખાસ કરીને પાવરપ્લેમાં. પાવરપ્લે દરમિયાન અમે ઘણા ખરાબ બોલ ફેંક્યા, જેનો ફાયદો ઉઠાવીને ઇંગ્લેન્ડના બંને ઓપનર્સે શાનદાર બેટિંગ કરી અને અમને મેચમાં વાપસી કરવાની કોઈ તક જ ન આપી. ત્યારબાદ ડેથ ઓવર્સમાં પણ તેઓ અમારાથી ઘણું આગળ નીકળી ગયા.”મેચમાં ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા બેન ડકેટના 141 રન, જેકબ બેથલના 91 રન અને જો રૂટની 48 બોલમાં અણનમ 74 રનની વિસ્ફોટક ઇનિંગની મદદથી 50 ઓવરમાં 3 વિકેટે 387 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત તરફથી રોહિત શર્માએ 138 રન, શુભમન ગિલે 77 રન અને વિરાટ કોહલીએ 74 રનની લડાયક ઇનિંગ્સ રમી હોવા છતાં મિડલ ઓર્ડરના ધબડકાને કારણે ટીમ ઇન્ડિયા લક્ષ્યથી 27 રન દૂર રહી ગઈ હતી.

