ચોટીલાથી ઢુવા બહેનના ઘરે જતી વેળાએ નડ્યો અકસ્માત
Wankaner,તા.05
વાંકાનેર-બાઉન્ડ્રી હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે આજે સાંજના સમયે એસ.કે. ચોકડી પાસે મોટરસાયકલ પર જઈ રહેલા મામા-ભાણેજને કોઈ અજાણ્યા ફોરવીલર ચાલકે જોરદાર ટક્કર મારતા બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, ચોટીલાના ત્રંબોડા વિસ્તારમાં રહેતા અને પશુપાલન (માલઢોર) ના વ્યવસાય સાથે સંકળાયેલા અનિતભાઈ બચુભાઈ સાદમીયા (ઉં.વ. ૨૩) અને તેમનો ભાણેજ યુવરાજ ગોરધનભાઈ માતાસીયા (ઉં.વ. ૧૪)પોતાનું મોટરસાયકલ લઈને ચોટીલાથી ધુવા પોતાની બહેનના ઘરે જઈ રહ્યા હતા. સાંજે આશરે પાંચ વાગ્યાની આસપાસ તેઓ જ્યારે વાંકાનેર બાઉન્ડ્રીથી વાંકાનેર તરફ જઈ રહ્યા હતા, ત્યારે એસ.કે. પ્લાન્ટ પહેલા કોઈ અજાણ્યા ફોરવીલર ચાલકે તેમના મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં:
અનિતભાઈને માથાના ભાગે અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમજ યુવરાજને પણ પગના ભાગે ઇજાઓ થઈ હતી. અકસ્માત બાદ બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે વાંકાનેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઇજાઓ ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે તેઓને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

