મામલતદારે પોતાના ઘરે Smart meter લગાવી લોકોને પ્રેરણા આપી
(જીજ્ઞેશ પટેલ દ્વારા)
Manavadar, તા.૨ઃ
ગુજરાત સરકાર અને પીજીવીસીએલ દ્વારા હાલમાં વીજ ગ્રાહકોના ઘરે અત્યાધુનિક Smart meter લગાવવાની કામગીરી પૂરજોશમાં ચલાવવામાં આવી રહી છે. આ ડિજિટલ ઝુંબેશ અંતર્ગત સામાન્ય નાગરિકોમાં જાગૃતિ આવે અને ટેકનોલોજી પ્રત્યેનો ડર દૂર થાય તે માટે સરકારી અધિકારીઓ પણ હવે પોતે આગળ આવીને આ નવી વ્યવસ્થાને અપનાવી રહ્યા છે.
માણાવદર તાલુકાના મામલતદાર મહેશભાઈ શુક્લાએ જણાવ્યું હતું કે, તેમણે પોતે ૧૮ મે ૨૦૨૬ના રોજ પોતાના નિવાસસ્થાને Smart meter લગાવડાવ્યું છે. તેમણે નાગરિકોને સંદેશ આપતા ઉમેર્યું કે, જેમ જેમ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રગતિ કરી રહ્યા છે, તેમ આપણે પણ પ્રગતિની આ દોડમાં સામેલ થવું જોઈએ અને સરકારની આ આધુનિક યોજનાને સફળ બનાવવા માટે સંપૂર્ણ સહકાર આપવો જોઈએ.
મામલતદારે લોકોને સ્માર્ટ મીટરના મહત્વના ફાયદાઓ સમજાવતા જણાવ્યું હતું કે, આ મીટર આવવાથી ગ્રાહકો પોતાની મોબાઈલ એપ્લિકેશન દ્વારા રોજિંદો વીજ વપરાશ લાઈવ જોઈ શકશે. ઘરમાં કયું ઉપકરણ વધુ વીજળી વાપરે છે તેની સચોટ માહિતી મળવાના કારણે ગ્રાહકો પોતાના વપરાશ પર સરળતાથી નિયંત્રણ લાવી શકશે. આ યોગ્ય મોનિટરિંગને લીધે વીજળીનો બચાવ થશે, જે અંતે ગ્રાહકોના ખિસ્સા પરનો બોજ હળવો કરીને સીધો આર્થિક ફાયદો કરાવશે.
અંતમાં, તેમણે માણાવદર તાલુકાના તમામ વીજ ગ્રાહકોને કોઈ પણ જાતની આશંકા કે અફવાઓ રાખ્યા વગર પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવવા માટે આગ્રહભરી વિનંતી કરી છે. સરકારના આ મોટા અને ડિજિટલ ઉદ્દેશ્યમાં સાથ આપીને આખો માણાવદર તાલુકો સમગ્ર જૂનાગઢ જિલ્લામાં સ્માર્ટ મીટરની કામગીરીમાં પ્રથમ હરોળમાં આવે તેવો સહયોગ આપવા તેમણે તમામ નગરજનોને આહવાન કર્યું છે.

