રક્તદાન કેમ્પના આયોજકો તથા ૨૦ કે તેથી વધુ વખત રક્તદાન કરનાર રક્તદાતાઓનું સન્માન કરાયું
Junagadh તા. 15
આજરોજ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરનાર કેમ્પના આયોજકો તથા ૨૦ કે તેથી વધુ વખત સ્વૈચ્છિક રક્તદાન કરનાર રક્તદાતાઓનું અભિનંદન કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કેમ્પ આયોજકો અને સ્વૈચ્છિક રક્ત દાતાઓ તથા સિવિલ હોસ્પિટલના સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા. બ્લડ સેન્ટર સિવિલ હોસ્પિટલ જુનાગઢ દ્વારા તમામ રક્તદાન કેમ્પના આયોજકો તથા સ્વૈચ્છિક રક્તદાતાઓને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી તેઓના પ્રત્યેનો કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરવામાં આવેલ હતો. તથા વધુને વધુ રક્તદાન કેમ્પનું આયોજન થાય તથા વધુને વધુ સ્વૈચ્છિક રક્તદાન થાય તેવી અપીલ પણ કરવામાં આવેલ હતી.
આ તકે સમીરભાઈ દાતાણી તથા તેઓની ટીમ એટલે કે ગિરનારી ગ્રુપ કે જેના દ્વારા વર્ષ દરમિયાન અલગ અલગ ૩૫ થી વધુ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. તથા સિવિલ હોસ્પિટલમાં જરૂર પડે ત્યારે સ્વૈચ્છિક રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરાવવા માટે સમીરભાઈ દાતાણી તથા તેઓની ટીમ હંમેશા તત્પર રહેવા બદલ તેઓનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. આ સમારોહની શરૂઆત દીપ પ્રાગટ્ય મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ કૃતાર્થ બ્રહ્મભટ્ટ, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, આરએમઓ. ડૉ. એ.સી. કુબાવત, ઇન્ચાર્જ આર એમ ઓ ડૉ અલ્પેશ વૈષ્નાણી અને ઇન્ચાર્જ નર્સિંગ મનીષભાઈ હડિયા દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ગિરીશભાઈ કોટેચા, સ્થાયી સમિતિના ચેરપર્શન પલ્લવીબેન ઠાકર, સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી શ્રી ધર્મકિશોર સ્વામી સહિતના મહાનુભાવોની ઉપસ્થિત રહી હતી.
આ તકે ધારાસભ્ય સંજય કોરડીયા, સુપ્રિટેન્ડન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ તથા બ્લડ સેંટર ઇન્ચાર્જ ડો. ભાવિન પઢારિયા દ્વારા કેમ્પ ઓર્ગેનાઇઝર અને રક્તદાતાઓનો વિશેષ આભાર માની, તેમની સેવા પ્રવૃતિને બિરદાવવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન ડૉ અવની કંઝારિયા દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા બ્લડ સેન્ટર સિવિલ હોસ્પિટલ જીએમઆરએસ જુનાગઢના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.
હોસ્પિટલના બ્લડ સેન્ટરમાં બ્લડ કમ્પોનન્ટ સેપ્રેશનની સુવિધા ઉપલબ્ધ
હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર, સિવિલ હોસ્પિટલ જુનાગઢના બ્લડ સેન્ટરમાં બ્લડ કમ્પોનન્ટ સેપ્રેશનની સુવિધા ઉપલબ્ધ હોય, જેમાં એક યુનિટ રક્તમાંથી એના ઘટકો છુટા પાડી જરૂરિયાતમંદ ત્રણ દર્દીઓની સારવાર થઈ શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ છે. સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે સગર્ભા માતાઓ, બહેનો તથા થેલેસમિયા ગ્રસ્ત બાળકોને કોઈપણ પ્રકારના રિપ્લેસમેન્ટ વિના રક્ત ચઢાવવામાં આવે છે. થેલેસમિયા ગ્રસ્ત બાળકોને જરૂરી એવું રેટ સેલ કોન્સન્ટ્રેટ સિવિલ હોસ્પિટલના બ્લડ સેન્ટર ખાતેથી નિયમિત રીતે મળી રહે છે. તથા તમામ રક્તદાન કેમ્પના આયોજકો અને સ્વૈચ્છિક રક્તદાતાઓના સહયોગથી આ વર્ષે ઉનાળામાં પણ રક્તનો પૂરતો સ્ટોક બ્લડ સેન્ટર ખાતે ઉપલબ્ધ છે.

