ન્યાયની દેવી હવે નવાં સમય પ્રમાણે બદલાઈ ગઈ છે. હવે દેવીની આંખની પટ્ટી પણ હટાવી દેવામાં આવી છે. હવે તેમનાં એક હાથમાં તલવારને બદલે બંધારણનું પુસ્તક છે, જે દર્શાવે છે કે ભારતમાં કાયદો હવે આંધળો નથી રહ્યો. આ ફેરફારો ભારતનાં મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની પહેલ પર થયાં છે.
ચાલો જાણીએ ન્યાયની દેવીની સંપૂર્ણ ઇતિહમાસ અને ન્યાય સાથે જોડાયેલી રસપ્રદ વાતો…
આ પંદરમી સદીની વાત છે, જ્યારે હેનરી આઠમો ઈંગ્લેન્ડ પર શાસન કરી રહ્યો હતો. તેમનાં શાસન દરમિયાન, એક વ્યક્તિ પર ખોરાકમાં ઝેર ભેળવવાનો આરોપ લાગ્યો હતો. તેને મૃત્યુદંડ તરીકે ઉકળતા તેલની કઢાઈમાં ફેંકી દેવામાં આવ્યો હતો. બે વર્ષ પછી, 1542માં, માર્ગારેટ ડેવી નામની નોકરાણી પર ખોરાકમાં ઝેર આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તે મરી જાય ત્યાં સુધી તેણીને ઉકળતા પાણીમાં ઉકાળવામાં આવી હતી.
આ કાયદાઓએ અંગ્રેજી જગતમાં એટલો બધો વિવાદ ઊભો કર્યો કે, આવી સજા આપતાં કાયદાઓ 1547માં કચરાપેટીમાં ફેંકી દેવામાં આવ્યાં હતાં. આ પછી ઈંગ્લેન્ડ સહિત સમગ્ર વિશ્વમાં જ્યારે પુન: જાગરણનો યુગ શરૂ થયો ત્યારે લોકશાહી સજાનો પાયો નાખવામાં આવ્યો હતો.
પછી આખી દુનિયાએ ન્યાયની દેવીને યાદ કરી, જે ગ્રીક દેવી જસ્ટિટિયામાંથી ઉદ્દભવી હતી. ભારત સહિત સમગ્ર વિશ્વમાં ન્યાય પ્રણાલીમાં ન્યાયની દેવીની કલ્પના કરવામાં આવી છે.
જ્યારે ઈટાલિયન વૈજ્ઞાનિકને જીવતાં સળગાવી દેવામાં આવ્યા
1600માં ઈટાલીના વૈજ્ઞાનિક અને ફિલસૂફ જિયોર્દાનો બ્રુનોને પણ જીવતાં સળગાવી દેવામાં આવ્યાં હતાં. આ સિવાય ઘણાં દેશોમાં મેલીવિદ્યાના આરોપી લોકોને સજા તરીકે સળગાવી દેવાતાં હતાં. એ જ રીતે યુરોપિયન દેશ ફ્રાન્સમાં સજા તરીકે મશીનમાં મૂકીને ગરદન નોખી કરવામાં આવતી હતી.
મોતનાં પુસ્તકમાં ન્યાયનો ઉલ્લેખ
યુએસ ન્યાય પ્રણાલીને પ્રાચીન ઇજિપ્તીયન બુક ઓફ ધ ડેડમાં એક દ્રશ્યમાં દર્શાવવામાં આવ્યું છે, જેમાં મૃત વ્યક્તિનાં હૃદયને સત્યના પીંછા સાથે તોલવામાં આવે છે. હજારો વર્ષ જૂની સંસ્કૃતિ અને ગીઝાના પિરામિડના સર્જકોએ પણ એક વિચિત્ર ન્યાય પ્રણાલી અપનાવી હતી, જેનાં નિર્ણયો ફક્ત તલવારો અને ખંજરના આધારે લેવામાં આવતાં હતાં.
ન્યાયની દેવીના હાથમાં બંધારણ
હવે સુપ્રીમ કોર્ટમાં લેડી ઑફ જસ્ટિસ એટલે કે ન્યાયની દેવીની નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમાની આંખની પટ્ટી હટાવી દેવામાં આવી છે, જેનાં કારણે વારંવાર કહેવામાં આવતું હતું કે કાયદો આંધળો છે તે હવે નહિ કહી શકાય. સાથે જ તેમનાં હાથમાં તલવારની જગ્યાએ બંધારણનું પુસ્તક આપવામાં આવ્યું છે.
આ પ્રતિમા સુપ્રીમ કોર્ટનાં જજોની લાઇબ્રેરીમાં સ્થાપિત કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રતિમાનો આદેશ ભારતના મુખ્ય ન્યાયાધીશ એટલે કે ડીવાય ચંદ્રચુડ દ્વારા આપવામાં આવ્યો છે. આનો હેતુ એ સંદેશ આપવાનો છે કે દેશમાં કાયદો આંધળો નથી અને તે સજાનું પ્રતીક નથી.
સમયની સાથે બદલાઈ મૂર્તિ
આ પ્રતિમાને બ્રિટિશ શાસનનાં વારસાને પાછળ છોડવાનાં પ્રયાસ તરીકે જોવામાં આવે છે. તાજેતરમાં, ભારત સરકારે ભારતીય દંડ સંહિતા આઈપીસી કાયદાની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા બીએનએસ કાયદો અમલમાં મૂક્યો હતો જે બ્રિટિશ શાસન દરમિયાન અમલમાં હતો. લેડી ઑફ જસ્ટિસની પ્રતિમામાં ફેરફાર કરવાને પણ આ કડી હેઠળ લેવાયેલું પગલું ગણી શકાય છે.
અમેરિકા, યુરોપ અને એશિયામાં લેડી જસ્ટિસની પ્રતિમા
ન્યાયની દેવીની પ્રતિમા પ્રાચીન ગ્રીક, રોમન અને ઇજિપ્તની સંસ્કૃતિઓમાં જોવા મળે છે. આ પ્રતિમા સમગ્ર વિશ્ર્વમાં ચિત્રો, શિલ્પો અને ધાતુનાં શિલ્પોના રૂપમાં જોવા મળે છે.
ભારત ઉપરાંત આ પ્રતિમા ઉત્તર અથવા દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકા, મધ્ય પૂર્વ, દક્ષિણ અને પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાની અદાલતો, કાયદાની કચેરીઓ અને કાનૂની અને શૈક્ષણિક સંસ્થાઓમાં જોવા મળે છે. લેડી જસ્ટિસ આઇકનનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે અને તેને સામાન્ય રીતે ન્યાયનાં પ્રતીક તરીકે જોવામાં આવે છે.
લેડી જસ્ટિસનો ખ્યાલ રોમન દેવી જસ્ટિટિયા પરથી આવ્યો
ન્યાયની દેવીની વિભાવના ખૂબ જૂની છે, જે પ્રાચીન ગ્રીક અને ઇજિપ્તીયન સમયની છે. ગ્રીક દેવી થીમિસ કાયદો, વ્યવસ્થા અને ન્યાયનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે ઇજિપ્તવાસીઓ પાસે માત હતી, જે વ્યવસ્થાનું પ્રતીક હતું.
આ જ કારણથી, મેજિસ્ટ્રેટ શબ્દ પાછળથી પ્રચલિત થયો, જે ઘણાં પ્રસંગોએ ન્યાયનું સંચાલન કરવા માટે વપરાય છે. આ દેવીએ તલવાર અને સત્યના પીંછા બંને રાખ્યાં હતાં. લેડી જસ્ટિસ અથવા જસ્ટિટિયા, ન્યાયની રોમન દેવી છે.
આંખો પર પટ્ટી કયારે અને કેવી રીતે લાગી
16મી સદીમાં પ્રથમ વખત ન્યાયની દેવીની આંખો પર પટ્ટી લગાડવામાં આવી હતી તેનો મૂળ હેતુ એ હતો કે ન્યાયિક વ્યવસ્થા દુરુપયોગ અથવા કાયદાકીય પાસાઓની અજ્ઞાનતાને સહન કરતી હતી.
જો કે, આધુનિક સમયમાં, આંખ પર પટ્ટી કાયદાની નિષ્પક્ષતાનું પ્રતિનિધિત્વ કરે છે અને તેનાં નિર્ણયોને રાજકીય પ્રભાવ, સંપત્તિ અને સત્તા જેવાં બાહ્ય પરિબળોથી પ્રભાવિત થવા દેતી નથી.
રોમન સમ્રાટો ન્યાયની દેવીને મહત્વ આપતાં હતાં
રોમન સમ્રાટ ઓગસ્ટસ ન્યાયને મુખ્ય ગુણોમાંનો એક ગણતાં હતાં. તેણે પોતાનાં દરબારમાં ન્યાયની દેવીની પ્રતિમા સ્થાપિત કરી હતી. તેમનાં પછી, સમ્રાટ ટિબેરિયસે રોમમાં જસ્ટિટિયાનું મંદિર બનાવ્યું હતું. જસ્ટિસિયા ન્યાયની ગુણવત્તાનું પ્રતીક બની ગયું હતું જેની સાથે દરેક સમ્રાટ તેનાં શાસનને સાંકળવા માંગતાં હતાં.
સમ્રાટ વેસ્પાસિયને તેની છબી સાથે સિક્કા બહાર પાડયાં હતાં, જ્યાં તેને સિંહાસન પર બેઠલી દર્શાવવામાં આવી હતી જેને ’જસ્ટિટિયા ઓગસ્ટા’ સિંહાસન કહેવામાં આવતું હતું. તેમનાં પછીનાં ઘણાં સમ્રાટોએ પોતાને ન્યાયપ્રિય જાહેર કરવા માટે ન્યાયની દેવીનો ઉપયોગ કર્યો હતો.
ન્યાયની દેવીનાં ત્રણ પ્રતીકો, ત્રાજવાં, તલવાર અને આંખ પર પટ્ટી
ન્યાયની દેવીની જૂની પ્રતિમાની આંખો ઉપર પટ્ટી હતી જે મુજબ કાયદાની નજરમાં દરેક સમાન છે, જ્યારે તલવાર સત્તાનું પ્રતીક છે. અન્યાયને સજા કરવાની શક્તિ છે. જો કે, નવી પ્રતિમાના જમણા હાથમાં ત્રાજવાંને જાળવી રાખવામાં આવ્યું છે, કારણ કે તે સમાજમાં સંતુલનનું પ્રતીક છે.
ન્યાયની દેવીનું ત્રાજવાંનો મતલબ
ન્યાયની દેવીનાં હાથમાં ત્રાજવું દર્શાવે છે કે, અદાલત કોઈ નિષ્કર્ષ પર પહોંચતાં પહેલાં બંને પક્ષોની હકીકતો અને દલીલોને જુએ છે અને સાંભળે છે. આ દર્શાવે છે કે કોર્ટમાં રજૂ કરાયેલાં પુરાવાઓનું વજન કરવું પણ આવશ્યક છે. ચુકાદો આપતી વખતે કાયદાકીય બાબતની દરેક બાજુને જોવી અને તેની સરખામણી કરવી જરૂરી હોય છે.
તલવારએ હિંસાનું પ્રતીક નહીં, પણ પારદર્શિતાનું પ્રતીક
ન્યાયની દેવીનાં હાથમાં રહેલી તલવારનો પ્રતીકાત્મક અર્થ એ છે કે તે કાયદાનાં અમલ અને આદરનું પ્રતીક છે. તેનો અર્થ એ છે કે ન્યાયની દેવી તેનાં નિર્ણયો અને ચુકાદાઓ પર અડગ રહે છે અને પગલાં લેવા સક્ષમ છે.
તલવારનો અર્થ ખૂબ જ સ્પષ્ટ છે કે ન્યાય પારદર્શક છે અને કોઈ તેને ધમકી આપી શકે નહીં. બેધારી તલવાર રજૂ કરે છે કે ન્યાયની દેવી પુરાવાનો અભ્યાસ કર્યા પછી કોઈપણ પક્ષ સામે ચુકાદો આપી શકે છે. તે ચુકાદાનો અમલ કરવા તેમજ નિર્દોષ પક્ષને રક્ષણ અથવા બચાવ કરવા માટે બંધાયેલી છે.

