ડુંગરને ચીરી માર્ગ કરનાર માંઝીની ટેકને લોકોએ પ્રારંભમાં પાગલપન ગણી હતી. પણ રાલ્ફ વાલ્ડો એમર્સન કહે છે કે ‘Once you make a decision, the universe conspires to make it happen.’ ઇશ્વર આપણી આગળ પાછળ કેટલું વિચારીને કોઈ પણ કાર્ય માટે આપણને નિમિત્ત બનાવે છે. આપણા પાછલા કર્મો પ્રમાણે આપણને પ્રેરે છે. એ દિશા તરફ ખેંચે છે, બોલાવે છે તથા જે તે નિમત કાર્ય કરાવે છે અને આપણું ભવિષ્ય નિર્માણ કરે છે. એટલે જ માણસે ‘વિચારવું’ ખૂબ જરૂરી છે. મનસા, વાચા, કર્મણા તમે જેટલા નિષ્કપટ, નિષ્પાપ, ભલા અને પરોપકારી હો એટલું તમારું જીવન સરળ, સુખી અને પ્રસન્નતાભર્યું હોય. માણસની વર્તણૂક સતત નિષ્કપટ હોય તો તેના મનમાં કોઈ કપટ ન હોવાથી એ હળવોફૂલ હોય. એટલે જ ચાણક્ય નીતિસૂત્ર સંગ્રહમાં કહેલું છે કે ‘મન્ત્રમૂલા: સર્વાંરમ્ભા – બધા કાર્યો સલાહ અને વિચારવિમર્શથી જ શરુ થાય છે. વળી વિચારશીલ માણસ જાણે છે કે દ્રષ્ટિપૂતં ન્યસેત્પાદં વસ્ત્રપૂતં જલં પિબેત્ । સત્યપૂતાં વદેદ્વાચં મન:પૂતં સમાચરેત્ ।
બાળપણમાં સંસ્કારના ઉત્તમ બીજ વવાયા હોય તો માણસનાના વિચારોમાં અને વર્તણૂકમાં સંવેદનશીલતા વણાયેલી હોય છે. બીજાના દુ:ખ દર્દને સમજવું, અનુભવવું, તેમાં સહભાગી થવું એ સદગુણ આપણે સતત જોઈ શકીએ છીએ. સદગુણ અને સારી કેળવણી વિના માણસ અધુરો છે. અમેરિકન પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ કહેતા કે `Men & women are not prisoners of fate but prisoners of their own mind.’ મન તમને ભેખડે ભરાવી શકે. મનથી તમે ધારો તેટલા વિરાટ કે વામણા બની શકો. રચનાત્મક મન તેની કમાલ બતાવે ત્યારે તમે તો ઠીક દુનિયા પણ દંગ રહી જાય છે. રાજેન્દ્ર શુક્લ અતરંગી મનને બહુ સુંદર રીતે આલેખે છે કે…
મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે,
આ સમજ કે અણસમજ એ ખુદ સરજતું હોય છે.
આથી જ ઇશ્વરને પ્રાર્થના છે કે આપણા શીલ અને સંસ્કારમાં એ સંવેદનશીલતા રૂપી આભૂષણ ઉમેરે. જેથી આપણે બીજાનાં દુ:ખ દર્દ મીટાવવા યથાચિત યોગદાન આપતાં રહીએ. આપણા શીલ અને સંસ્કારમાં દુ:ખમાં ઘેરાયેલ માણસને એમ થવું જોઇએ કે તે સંકટસમયે એકલો નથી, માનવતા તેમની પડખે છે. આપણે વારંવાર ઉચ્ચારતા હોઈએ છીએ કે મનને મારવું… મન તો મરકટ… મન નથી થતું… મનને પૂછ… મનમાં મેલ છે… મન ઉતરી જવું… છે શું આ ‘મન’ ? જ્યાં વિચારો, તરંગો, કલ્પનાઓ, સ્વપ્નો આકાર લે છે એ ? જે બાજી ગોઠવે છેને ઘડીમાં ઉંધી પાડે છે એ ? અવનવા લટકાં કરી પેંતરા કરે છે એ. જે ઘડીમાં મીણની જેમ પીગળી જાય છે અને ઘડીમાં કઠોર બની વજ્રાઘાત કરે છે એ ? ગીતાના દસમાં અધ્યાયમાં કૃષ્ણ કહે છે કે ‘ઇન્દ્રિયાણાં મનશ્ચાસ્મિ’- ઇન્દ્રિયોમાં હું મન રૂપે છું.’ વાત એટલી કે આ ‘મન’ એટલે આપણા મનજીભાઈ. જ્યાં વિચારો જન્મ લે છે. આપણા રાજવી કવિ રમેશ પારેખ બહુ સરસ વાત કરે છે કે…
આંખોનું પોત સાવ ઉધાડું પડી ગયું,
ઘર ઢાંકતી તે તુટી પડી છત વિચારની.
એનો કયો મુકામ હશે કંઇ ખબર નથી,
રઝળ્યા કરે છે આખી વસાહત વિચારની.
એક ગામમાં એક આંધળો વ્યક્તિ રહેતો હતો. તે રાતે જ્યારે પણ બહાર જતો, એક લાલટેન (ફાનસ) હંમેશાં સાથે રાખતો હતો. એક રાતે તે મિત્રને ત્યાં ભોજન કરી હાથમાં એક લાલટેન સાથે પાછો ફરી રહ્યો હતો. રસ્તામાં થોડાં તોફાની છોકરાઓએ તેના હાથમાં લાલટેન જોઈનેતેની મજાક ઉડાવવાં લાગ્યાં. તેમણે કહ્યું- ‘અરે! જુઓ, આંધળો લાલટેન લઈને જઈ રહ્યો છે. આંધળાને લાલટેનનું શું કામ?’ આ સાંભળીને આંધળાએ વિનમ્રતાથી જવાબ આપ્યો,’તમારી વાત તો સાચી છે, ભાઈ, હું તો આંધળો છું, જોઈ શકતો નથી. મારી દુનિયામાં તો હંમેશાં અંધારું જ છે. મારે લાલટેનનું શું કામ હોય ? હું તો અંધારામાં ચાલ્યો જાઉં. પરંતુ તમારી જેવા આંખ ધરાવતાં લોકો તો અંધારામાં જીવી ન શકો, અથડાઈ જાવ. તમારા જેવા લોકો મને અંધારામાં જોઇ ના શકે અને ધક્કો મારી દે તો મારું શું થાય. એટલા માટે જ હું લાલટેન લઇને ચાલું છું. જેથી તમે અંધારામાં આ આંધળાને જોઇ શકો. આંધળા વ્યક્તિની વાત સાંભળીને છોકરાઓ શરમમાં મૂકાયા અને માફી માંગવા લાગ્યાં. ત્યાર બાદ તેમણે નક્કી કર્યું કે, હવે સમજ્યા-વિચાર્યાં વિના કોઇને ક્યારેય કશું નહીં કહે. વાત અહીં એટલી જ કે માણસે કંઇ પણ બોલતાં પહેલાં વિચાર કરી લેવો જોઇએ. કોઈએ કહ્યું છે કે જે વિચારતો નથી એને પાણીમાં પડેલી ભેંસ જેટલી નિરાંત છે. પણ જે વિચારશીલ છે જેને પળેપળ વિચારો આવે છે. એનું કુતુહલ જિંદગીભર બાળકની જેમ ડોકિયા કરે છે. શયદા એટલે જ કહે છે કે, ‘હાથમાં લઈને જરા શ્રીફળ વિચાર, કોણ ત્યાં જઈને ભરે છે જળ વિચાર.’
જેમ સંગીત તમને અહેસાસ આપે છે તેમ પુસ્તકમાંથી વાંચેલા કે કાને સાંભળેલા શબ્દો તમને વિચારવા પ્રેરે છે, મજબુર કરે છે. અનુભૂતિ આપે છે. એટલે જ કહેવાય છે કે ‘વિચારોં પર કિસી કા એકાધિકાર નહીં હૈ। બડા સોચો, જલ્દી સોચો, આગે સોચો ।’ આ વિચારો જ જ્યારે ભીતર અજવાળાં પાથરે છે, આપણને માંજે છે ત્યારે કાળજાંની કલઈ થતી હોય છે. અને તેમાંથી જ થતું હોય છે એક વ્યક્તિનું ઘડતર. ભગવાન બુદ્ધ કહેતા કે, ‘We are shaped by our thoughts; we become what we think. When the mind is pure, joy follows like a shadow that never leaves.’ આજે તમે જેવા છો, જ્યાં ઊભા છો, એ સર્વેના મૂળમાં તમારા વિચારો છે. વિચારો જ તમોને ઘડે છે. એટલી જ માણસે હંમેશા હકારાત્મક વિચારો કરવા જોઈએ. ઈશ્વર ખરેખર માણસને એના કર્મો પ્રમાણે જીવાડે છે જેને નિયતિ માનીને સ્વીકારવું જોઈએ.
પૃથ્વી પર માણસ એકમાત્ર જીવ એવો છે કે જે બુદ્ધિથી કે તર્કથી કોઈ પણ વાત દરેક બાજુથી વિચારી શકે છે. સારા વિચારો તેને સદમાર્ગે દોરી જાય છે જ્યારે ભ્રષ્ટ બુદ્ધિ તેને કુછંદે ચડાવે છે અને ખોટા માર્ગે લઇ જાય છે. તેના મગજમાં તોર જ ભરેલો હોય એટલે કૃતજ્ઞાતાને બદલે એ કોઈની ભલમનસાઈને પણ તેની ફરજ ગણાવી નગુણાપણું બતાવે છે. જીવનમાં અનેક અનુભવોમાંથી પસાર થતો હોય છે. જો એ સફળ થાય અને સિદ્ધિ પામે તો પોતાની શક્તિ, બુદ્ધિ કે આવડતની બડાઈ હાંકે છે, સૌ પાસે સફળતાનાં ગાણાં ગાઈને ફુલણસી ફુગ્ગો થઈ ફરે છે પણ જો નિષ્ફળતા કે હાર મળે તો નસીબનો કે ઈશ્વરનો અન્ય કોઈના માથે દોષનો ટોપલો ઢોળે છે. આ એના વિચારોનું ફળ છે. એ જીતને કે હારને સમતાથી પચાવી શકતો નથી. અભિમાની માણસ જેટલી ઝડપથી ઊંચે જાય છે એ જ ઝડપથી નીચે આવે છે. અહંકારી માણસને દુશ્મનની જરૂર નથી. અહંકાર જ એનો દુશ્મન બની જાય છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ‘તમારામાં જો અહંકાર નથી તો કોઈ પુસ્તક વાંચ્યા વિના અથવા કોઈ મંદિરમાં ગયા વિના તમે મોક્ષને પામો છો. રાવણ પાસે બધું જ હતું પણ અહંનાં કારણે એ નાશ પામ્યો.’
કોઈ પણ સ્થિતિમાં માણસે હંમેશા પોતાના વિચારોનું તટસ્થતાથી ઓડીટ કરવું જોઈએ. વિચારોને તપાસવાનું કરવાનું શરૂ કરીએ ત્યારે મનમાં કેવા પ્રકારના વિચારો ચાલી રહ્યા છે એ અંગે આપણે તરત જાગૃત થઈએ છીએ. જ્યાં સુધી આ પ્રકારની જાગૃતિ નહીં આવે ત્યાં સુધી માણસ માટે પોતાના વિચારોને બદલવા અશક્ય છે. વિચાર એક શક્તિ છે જે આપણી અંદર ઉત્પન્ન થાય છે. વિચારોને ઉત્પન્ન થવાના ઘણા બધાં આધારભૂત કારણો છે. તેમાં સૌથી પ્રથમ છે-માહિતી. આપણે આખા દિવસમાં જે માહિતી લઈએ છીએ એ માહિતી આપણને ઇન્દ્રિયો દ્વારા મળે છે. દિવસ દરમ્યાન આપણને જે વિચારો આવે છે તે આપણા વ્યક્તિત્વનું નિર્માણ કરે છે અને આપણાં ભાગ્યને પણ બનાવે છે. આ પ્રકારની સમજણ આવવાથી આપણું સમગ્ર ધ્યાન આપણા વિચારો પર રહે છે.
જો કે આમ તો સાચું જ કહેવાયું છે કે u ‘A man is known by the company he keeps.’ એ અમથું નથી કહેવાયું. ઘણી વ્યક્તિનું જીવન એવા મિત્રોથી સમૃદ્ધ હોય છે કે એ ખોટા રસ્તે હોય તો ત્યાંથી ‘યુ ટર્ન’ લઈને, મિત્ર પાસેથી જીવનના નવા પાઠ શીખીને ઉદાહારણરૂપ જીવન જીવી જાય છે. વ્યક્તિ વિચારશીલ હોય તો સંબંધો નિભાવવામાં તેને દારિદ્રય કે બીજું કઈ પણ આડું આવતું નથી. વેદ જેને ‘નેતિ નેતિ’ કહે છે એ પરમાત્મા ભારદ્વાજ મુનિને રસ્તો પૂછે છે. માણસ પાસે સ્વાર્થના રસ્તા હોય અને મુનિ પાસે પરમાર્થના રસ્તા હોય.
જીભ પર દાંતના અને હોઠના એમ બે પહેરા હોય છે. જ્યારે કાનને કોઈ કમાડ હોતા નથી. ‘રાશિદ કિસે સુનાઉ, ગલી મે તેરી ગઝલ, ઉનકે મકાં કા કોઈ દરીચા ખુલા ન થા.’ આપણો જે વેદમંત્ર છે એમાં શ્રવણનું સવિશેષ મૂલ્ય છે. ‘ભદ્રં કર્ણેભિ: શૃણુયામ દેવા: ।’ જેના કાન સમુદ્ર જેવા છે એને વિચારોની નદીઓ મળતી રહે છે. અગત્સ્ય મુનિ પાસે ભગવાન વિચારદાન પ્રાપ્ત કરે છે. દૂરિતનું નિર્વાણ થાય અને દિવ્યતાનું નિર્માણ થાય એવું મારું જે આવતારકાર્ય છે એના માટે મને શુભ વિચારો આપો. જે શુદ્ધહૃદય છે એના દિલમાં ઈશ્વર સ્થાન પામે છે. ગૃહ સંસારનો એક સોનેરી નિયમ કહી દઉં છું. ‘પત્ની બોલે ત્યારે શાંત રહેવું અને પત્ની શાંત હોય ત્યારે કંઈ ન બોલવું. સામાન્ય માણસ નિંદા કરે અને બુદ્ધ પુરુષ નિદાન કરે. જેમ ડોક્ટર આપણી ખાણીપીણીની તેવો બાબત ભૂલો કાઢે છે. એ નિંદા નથી. બુદ્ધ પુરુષ પણ આપણું વિવેચન કરે એ આપણા ભલા માટે હોય છે. દ્વેષના દરવાજામાંથી બહાર નીકળીએ તો પ્રસન્નતા આપના ઘરની દાસી બની જાય છે. પતંજલિનું યોગસૂત્ર છે કે, ‘સત્યપ્રતિષ્ઠાયાં ક્રિયા ફલાશ્રયત્વં ।’ જેની પાસે સત્યની સલ્તનત છે એને જીહજૂરી કરવાની જરૂર રહેતી નથી. જીભની વેદિકા પર સત્યની પાદૂકા પ્રતિષ્ઠિત થશે ત્યારે રામરાજ્ય આરંભાશે.

