Gujarat,તા.23
સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધો.1થી 5ના વિદ્યાર્થીઓને 1650 રૂપિયા અને ધો.6થી 8ના વિદ્યાર્થીઓને 1950 રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જેની ડીઝીટલ ગુજરાત પોર્ટલ પર દરખાસ્ત કરવાની હોય છે. પરંતુ આ શિષ્યવૃત્તિ મેળવવી એ લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કામ થઈ ગયું છે.
શિષ્યવૃત્તિ મેળવવાની અઘરી પ્રોસેસ!
શિષ્યવૃત્તિ મેળવવાની દરખાસ્ત કરવા માટે સૌથી પહેલાં વિદ્યાર્થીનું બેંક ખાતું હોવું જોઈએ બેંક ખાતું ખોલવા માટે આધારકાર્ડ હોવું ફરજીયાત છે. વિદ્યાર્થી અને વાલી આધાર કાર્ડ કઢાવવા માટે અને ધક્કા ખાધા પછી, લાઈનમાં ઊભા રહ્યા બાદ મહા મુસીબતે આધાર કાર્ડ નીકળે છે. ત્યારબાદ ખાતું ખોલવા માટે બેંકોના ધક્કા થાય છે, વિદ્યાર્થીનું ખાતું બેન્ક દ્વારા ખોલી આપવામાં આવતું નથી. ઘણાં બધા પ્રયત્નો પછી વિદ્યાર્થી 5 હજાર જેટલી રકમ બેન્કમાં ડિપોઝીટ રાખે ત્યારે ખાતું ખોલી આપવામાં આવે છે. શાળા કક્ષાએ ડીઝીટલ પોર્ટલમાં દરખાસ્ત કરવા આવક અને જાતિનો દાખલો કઢાવવા હોય છે. ત્યારબાદ શાળાના આચાર્ય દરખાસ્ત કરે જેમાં વિદ્યાર્થીનું ધોરણ, પૂરું નામ, માતાનું નામ અને જન્મ તારીખ, જિલ્લો, તાલુકો વસાહત, ઘરનું સરનામું, પીનકોડ, માતા-પિતાનો વ્યવસાય, કોમ્યુનિટી કાસ્ટ, ધર્મ, શારીરિક ખોડ ખાંપણ, કુટુંબની આવક વાલીનો મોબાઈલ નંબર, વિદ્યાર્થીના ટકા, હાજરીના દિવસ, બીપીએલ નંબર, વિદ્યાર્થીનું આધાર સ્ટેટ, આધાર નંબર અને રેશન કાર્ડ નંબર, આધાર kyc બેન્ક ડિટેઈલ વગેરે વિગતો અપલોડ કરવાની હોય છે. જો આધાર કાર્ડ અપડેટ હોય, રેશનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક હોય તો અને તો જ દરખાસ્ત સબમિટ થાય છે નહીંતર થતી નથી.
E-KYC માટેની પ્રક્રિયા પણ ખૂબ જ જટિલ
ડીઝીટલ ગુજરાતની સાઈટ ધીમી ચાલતી હોવાથી તેમાં વારંવાર એરર આવતી હોય છે. વહેલી સવારે શિષ્યવૃત્તિ દરખાસ્ત કરીએ ત્યારે એક કલાકમાં માંડ 10 જેટલી એન્ટ્રી થઈ શકે છે. અત્યાર સુધીમાં માંડ 40 ટકા બાળકોની દરખાસ્ત થયેલ છે. એમાં વળી, E-KYC ન હોય તો દરખાસ્ત થતી નથી. E-KYC કરવા માટેની પ્રક્રિયા પણ ખૂબ જ જટિલ છે. જેમાં PDS+ એપ્લિકેશનમાં શિક્ષકો એપ ઓપન કરે એટલે વિદ્યાર્થીના વાલીના મોબાઈલમાં OTP આવે છે, તેને જનરેટ કર્યા બાદ આધાર KYC કરે છે. સુચનાઓ વાંચીને રેશન કાર્ડ નંબર દાખલ કરવામાં આવે છે,ફરી વાલીના મોબાઈલ નંબરમાં OTP આવે છે.
રેશન કાર્ડમાં જેટલા મેમ્બર હોય એટલા શો થાય એમાં જે વિદ્યાર્થીનું E-KYC બાકી હોય એના નામ પર ટિક કરવાથી ફોટો કેપ્ચર કરવાનો ફોટો કેપ્ચર કરવા ફરી પાછો OTP આવે દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ ફોટો કેપ્ચર કરવામાં પણ સમય લાગે, ફોટો કેપ્ચર થયા બાદ વિદ્યાર્થીની આધાર ડિટેઈલ ખુલે એમાં ટીક કરી સબમિટ ફોર એપૃવલ આપીએ ત્યારે E-KYC પૂર્ણ થાય છે અને વિદ્યાર્થીની શિષ્યવૃત્તિની દરખાસ્ત સબમિટ થાય છે.
વાલીઓ શિષ્યવૃત્તિ લેવાની ના પાડી
આટલી બધી પ્રક્રિયા વાલીઓ પોતાના કામના ભોગે, મંજૂરીના ભોગે કરવી પડતી હોય છે. વાલીઓ કહે છે કે, ‘રહેવા દો સાહેબ મારે શિષ્યવૃત્તિ જોઈતી નથી. આમ માત્ર 1650 રૂપિયા જેટલી નજીવી શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરવા સાત કોઠા વીંધવા જેવું કામ છે. જો ખરેખર સરકારને શિષ્યવૃત્તિ આપવી જ હોય અને એ માટેની પ્રક્રિયા સરળ કરવી હોય તો આટલું નાનું ફોર્મેટ જ રાખવું જોઈએ.’
1)ક્રમ
2)વિદ્યાર્થીનું નામ
3)બેંક ખાતા નંબર
4)બેંક
5)IFSC કોડ
6)જમા કરવાની રકમ
વિદ્યાર્થીઓનું ભણતર બગડે એવી નોબત
જે શિષ્યવૃત્તિનો હેતુ વિદ્યાર્થીને ભણતરમાં મદદરૂપ થવાનો હતો એનો આખો હેતુ જ માર્યો ગયો. હવે શિષ્યવૃત્તિના લીધે વિદ્યાર્થીઓનું ભણતર બગડે એવી નોબત આવી ગઈ છે. માટે શિષ્યવૃત્તિ મેળવવી એ લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કામ થઈ ગયું છે.