ભગવાન કામને મારવાની રીત બતાવતા રહીને તેને મારવાની આજ્ઞા આપી પ્રકરણ અને અધ્યાયનો ઉપસંહાર કરતાં શ્ર્લોક (૩/૪૩)માં કહે છે કે..
એવં બુદ્ધેઃ પરં બુદ્ધ્વા સંસ્તભ્યાત્માનમાત્મના
જહિ શત્રું મહાબાહો કામરૂપં દુરાસદમ્
(એવમ્-આ પ્રમાણે, બુદ્ધેઃ-બુદ્ધિ કરતાં, પરમ્-પર(કામ)ને, બુદ્ધ્વા-ઓળખીને, આત્મના-પોતાના દ્વારા, આત્માનમ્-પોતાને, સંસ્તભ્ય-વશ કરીને, મહાબાહો-હે મહાબાહો ! તૂં આ, કામરૂપમ્-કામરૂપી, દુરાસદમ્-દુર્જય, શત્રુમ્-શત્રુને, જહિ-હણી નાખ.)
આ પ્રમાણે બુદ્ધિ કરતાં પર(કામ)ને ઓળખીને પોતાના દ્વારા પોતાને વશ કરીને હે મહાબાહો ! તૂં આ કામરૂપી દુર્જય શત્રુને હણી નાખ.(૩/૪૩)
એવં બુદ્ધેઃ પરં બુદ્ધ્વા-પહેલાં શરીરથી પર ઇન્દ્રિયો,ઇન્દ્રિયોથી પર મન,મનથી પર બુદ્ધિ અને બુદ્ધિથી પર ‘કામ’ને બતાવવામાં આવ્યો.હવે આ પદમાં બુદ્ધિથી પર ‘કામ’ જાણવા માટે કહેવાનો અભિપ્રાય એ છે કે આ ‘કામ’ ‘અહમ્’માં રહે છે.પોતાના વાસ્તવિક સ્વરૂપમાં ‘કામ’ નથી.જો સ્વરૂપમાં ‘કામ’ હોત તો ક્યારેય દૂર થાત નહી.નાશવાન જડની સાથે તાદાત્મ્ય કરી લેવાથી જ કામ ઉત્પન્ન થાય છે,માટે બુદ્ધિથી પર રહેવાવાળા ‘કામ’ને જાણીને તેનો નાશ કરી દેવો જોઇએ.
સંસ્તભ્યાત્માનમાત્મના-બુદ્ધિથી પર ‘અહમ્’માં રહેવાવાળા ‘કામ’ને મારવાનો ઉપાય છે-પોતાના દ્વારા પોતાની જાતને વશમાં કરવી એટલે કે પોતાનો સબંધ ફક્ત પોતાના શુદ્ધ સ્વરૂપની સાથે અથવા પોતાના અંશી પરમાત્મા સાથે રાખવો,જે વાસ્તવમાં છે.પોતે સાક્ષાત પરમાત્માનો અંશ છે અને શરીર,ઇન્દ્રિયો,મન, બુદ્ધિ વગેરે સંસારના અંશ છે.જ્યારે પોતે પોતાના અંશી પરમાત્માથી વિમુખ થઇને સંસારની સન્મુખ બની જાય છે ત્યારે તેમાં કામનાઓ ઉત્પન્ન થઇ જાય છે.કામનાઓ અભાવથી ઉત્પન્ન થાય છે અને અભાવ સંસારના સબંધથી થાય છે કેમકે સંસાર અભાવ રૂપ જ છે.સંસાર સાથે સબંધ વિચ્છેદ થતાં જ કામનાઓનો નાશ થઇ જાય છે કેમકે સ્વરૂપમાં અભાવ નથી.
પરમાત્માથી વિમુખ થઇને સંસાર સાથે પોતાનો સબંધ માનવા છતાં પણ જીવની વાસ્તવિક ઇચ્છા પોતાના અંશી પરમાત્માને પ્રાપ્ત કરવાની જ હોય છે.‘હું સદા જીવતો રહું,હું સર્વ કંઇ જાણી લઉં,હું સદાને માટે સુખી બની જાઉં’-આ રૂપમાં તે વાસ્તવમાં સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માની જ ઇચ્છા કરે છે પરંતુ સંસાર સાથે સબંધ માનવાના કારણે તે ભૂલથી આ ઇચ્છાઓને સંસાર દ્વારા જ પુરી કરવાનું ઇચ્છે છે-આ જ ‘કામ’ છે.આ ‘કામ’ની પૂર્તિ તો ક્યારેય થઇ શકતી નથી એટલા માટે આ ‘કામ’નો નાશ તો કરવો જ પડશે.
જેને સંસાર સાથે પોતાનો સબંધ જોડ્યો છે તે જ તેને તોડી પણ શકે છે,એટલા માટે ભગવાને પોતાના દ્વારા જ સંસાર સાથે પોતાનો સબંધ વિચ્છેદ કરીને ‘કામ’ને મારવાની આજ્ઞા આપી છે.પોતાના દ્વારા જ પોતાની જાતને વશ કરવામાં કોઇ અભ્યાસ નથી,કેમકે અભ્યાસ સંસાર એટલે કે શરીર,ઇન્દ્રિયો,મન અને બુદ્ધિની સહાય વડે જ થાય છે,એટલા માટે અભ્યાસમાં સંસારના સબંધની સહાય લેવી પડે છે. વાસ્તવમાં પોતાના સ્વરૂપમાં સ્થિતિ અથવા પરમાત્માની પ્રાપ્તિ સંસારની સહાય વડે થતી નથી પરંતુ સંસારના ત્યાગ એટલે કે સબંધ-વિચ્છેદથી પોતાની જાતે થાય છે.
જ્યારે ચેતન પોતાનો સબંધ જડની સાથે માની લે છે ત્યારે તેનામાં સંસાર ભોગની અને પરમાત્માની ઇચ્છા થાય છે.જડ સાથે સબંધ માનવાથી જીવની આ જ ભૂલ થાય છે કે તે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા ની ઇચ્છા-અભિલાષાને સંસારથી જ પુરી કરવા માટે સાંસારીક પદાર્થોની ઇચ્છા કરવા લાગે છે. પરીણામ સ્વરૂપ તેની એ બંન્ને ઇચ્છાઓ સ્વરૂપબોધ વિના ક્યારેય દૂર થતી નથી.
સંસારને જાણવા માટે સંસારથી અલગ થવું અને પરમાત્માને જાણવા માટે પરમાત્માથી અભિન્ન થવું આવશ્યક છે કેમકે વાસ્તવમાં ‘પોતા’ની સંસાર સાથે ભિન્નતા અને પરમાત્મા સાથે અભિન્નતા છે,પરંતુ સંસારની ઇચ્છા કરવાથી ‘પોતે’ સંસાર સાથે પોતાની અભિન્નતા કે સમીપતા માની લે છે જે ક્યારેય સંભવિત નથી અને પરમાત્માની ઇચ્છા કરવાથી ‘પોતે’ પરમાત્મા સાથે પોતાની ભિન્નતા કે વિમુખતા માની લે છે પરંતુ એની સંભાવના જ નથી.હા,સાંસારીક ઇચ્છાઓને દૂર કરવા માટે પારમાર્થિક ઇચ્છા કરવી બહુ જ ઉપયોગી છે.જો પારમાર્થિક ઇચ્છા તીવ્ર થઇ જાય તો લૌકિક ઇચ્છાઓ આપમેળે દૂર થઇ જાય છે.લૌકિક ઇચ્છાઓ દૂર થઇ જતાં પારમાર્થિક ઇચ્છા પુરી થઇ જાય છે એટલે કે નિત્ય પ્રાપ્ત પરમાત્માનો અનુભવ થઇ જાય છે કારણ કે વાસ્તવમાં પરમાત્મા સદાસર્વત્ર વિદ્યમાન છે પરંતુ લૌકિક ઇચ્છાઓ રહેવાથી તેમનો અનુભવ થતો નથી.
જહિ શત્રું મહાબાહો કામરૂપં દુરાસદમ્-આ શ્ર્લોકમાં અર્જુનનું સંબોધન મહાબાહો છે.મહાબાહો એટલે મોટી અને બળવાન ભુજાઓવાળો શૂરવીર.જે બળનું પ્રતિક છે એટલે કે યુદ્ધ કરવાનું છે.ભગવાન કહે છે કે તૂં તારા મનના દ્વારા કામરૂપી શત્રુને પછાડી દે.જે શાંતિનો નાશ કરે તેને શત્રુ કહેવાય.કામવેગ અને શાંતિ સાથે ના રહી શકે.‘જહિ’ ક્રિયાપદનો અર્થ માર થાય છે પણ કામને ક્યારેય મારી શકાતો નથી.તેને મારવા માગતો પોતે જ મરી જતો હોય છે.એટલે અહી ‘જહિ’ ક્રિયાનો અર્થ પછાડ,હરાવ,વશ કર એવો કરવો ઠીક લાગે છે.જો અર્જુન કામને મારી નાખે તો પછી તે સુભદ્રા કે દ્રોપદીના લાયક ના રહે.શ્રીકૃષ્ણ અને અર્જુન બંન્ને યતિ નહી,સપત્નીક છે.તેમનો કામ મરી જાય તો પત્નીઓ ખોઇ બેસવાનો વારો આવે.કેટલાક સાધકોને ઉંધા રવાડે ચઢાવી દેવાતા હોય છે.કામ મારવાની સાધના કરાવીને પતિ-પત્ની અને પત્ની-પતિને ખોઇ બેસતી હોય છે,આ યોગ્ય ના કહેવાય.કામને બેફામ થતો અટકાવો,તેને પછાડ,તેનું રમકડું ના થા પણ તેને તારી ઇચ્છા પ્રમાણે રમાડ-એવો અર્થ કરવો વધુ યોગ્ય લાગે છે.
સંસાર સાથે સબંધ રાખતા રહીને ‘કામ’નો નાશ કરવો બહુ જ કઠણ છે.આ ‘કામ’ મોટામોટાઓના પણ વિવેકને ઢાંકીને તેમને કર્તવ્યથી ચ્યૂત કરી દે છે,જેનાથી તેમનું પતન થઇ જાય છે,એટલા માટે ભગવાને તેને ‘દુર્જય’ શત્રુ કહ્યો છે.‘કામ’ને દુર્જય શત્રુ કહેવાનું તાત્પર્ય તેનાથી વધારે સાવધાન રહેવાનું છે,તેને દુર્જય સમજીને નિરાશ થવાનું નથી.પોતાના કલ્યાણનો પાકો ઉદ્દેશ્ય હોય તો તે ‘કામ’ને સુગમતાપૂર્વક મારી શકે છે.કામનાઓના ત્યાગમાં અથવા પરમાત્માની પ્રાપ્તિમાં બધા સ્વતંત્ર,અધિકારી,યોગ્ય અને સમર્થ છે પરંતુ કામનાઓની પૂર્તિમાં કોઇપણ સ્વતંત્ર,અધિકારી,યોગ્ય કે સમર્થ નથી કારણ કે કામના પુરી થવાવાળી છે જ નહી.માનવશરીર પ્રભુ પરમાત્માની પ્રાપ્તિના માટે જ મળ્યું છે.આથી કામનાનો ત્યાગ કરવો કઠીન નથી.સાંસારીક ભોગ પદાર્થોને મહત્વ આપવાના કારણે કામનાનો ત્યાગ કઠીન લાગે છે.
સુખ-અનુકૂળતાને દૂર કરવા માટે જ ભગવાન વારંવાર દુઃખ-પ્રતિકૂળતા મોકલે છે કે સુખની કામના ના કરો.કામના કરશો તો દુઃખ ભોગવવું જ પડશે.સાંસારીક પદાર્થોની કામનાવાળો મનુષ્ય દુઃખથી બચી શકતો નથી-આ નિયમ છે કેમકે સંયોગજન્ય ભોગ જ દુઃખનું કારણ છે.
કામનાને દૂર કરવાનું તાત્પર્ય છે નવી કામના ન કરવી.કર્મયોગ દ્વારા આ કામનાનો નાશ સુગમતાથી થઇ જાય છે કારણ કે કર્મયોગનો સાધક સંસારની નાનામાં નાની અને મોટામાં મોટી પ્રત્યેક ક્રિયા કામનાઓની પૂર્તિના માટે નહી પરંતુ પરમાત્મા પ્રાપ્તિનો ઉદ્દેશ્ય રાખીને બીજાઓના માટે જ કરે છે.તે પ્રત્યેક ક્રિયા પોતાના માટે નહી પરંતુ નિસ્વાર્થભાવથી તેમજ બીજાઓના હીત અને સુખના માટે જ કરે છે, એટલા માટે એની કામનાઓનો નાશ સુગમતાપૂર્વક થઇ જાય છે.કામનાઓનો નાશ થતાં તેના ઉદ્દેશ્યની પૂર્તિ થઇ જાય છે અને તે પોતાના આત્મસ્વરૂપમાં કૃતકૃત્ય,જ્ઞાત-જ્ઞાતવ્ય અને પ્રાપ્ત-પ્રાપ્તવ્ય બની જાય છે એટલે કે તેને માટે કંઇપણ કરવાનું,જાણવાનું અને મેળવવાનું શેષ રહેતું નથી.
ત્રીજા અધ્યાયનું નામ ‘કર્મયોગ’ છે કેમકે કર્મયોગનું જેટલું વિશદ વર્ણન આ અધ્યાયમાં છે તેટલું ગીતાના બીજા અધ્યાયોમાં નથી.આ અધ્યાયના બધા શ્ર્લોકો બત્રીસ અક્ષરોના છે.તૃતીય અધ્યાય પુરો કર્યો.ગીતા પ્રખર રીતે કર્મવાદી છે.કર્મત્યાગ તેના માટે અસહ્ય છે.કર્મની ચર્ચા કરતાં કરતાં ‘કામ’ની ચર્ચા કરી અને તેની પ્રબળતા બતાવી,બધા અનર્થોનું મૂળ તેને બતાવીને તેના ઉપર વિજ્ય મેળવવાનું કહ્યું છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

