RAJKOT, તા. 15

પૂરા રાજય અને દેશમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઇ રહી છે ત્યારે ગઇકાલે મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગર ખાતે રાજયના જુદા જુદા બે હજાર કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા હતા. જેમાં રાજકોટના 215 કરોડના કામોનો પણ પ્રારંભ થયો છે.
નરેન્દ્રભાઇ મોદીની 23 વર્ષની વિકાસગાથાની ઉજવણીના ભાગરૂપે થીમેટીક દિવસો, વિકાસ પદયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિકાસ પ્રદર્શન, સોશ્યલ-ડીઝીટલ મીડિયા ઝુંબેશ, સફળતાની વાર્તાઓ, યુવા વર્ગની સહભાગિતા, કલા સ્થાપત્ય, વિકાસ રથ, ગુજરાત વિકાસ ઈનોવેશન એકસ્પો, ગુજરાતના મહત્વના સ્થળોનું સુશોભન, ભીંત ચિત્રો, શાળાઓમાં પ્રવચનો અને ક્વિઝનું આયોજન વગેરે કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.
જે અંતર્ગત ગઇકાલે મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્ય સરકારના વિવિધ વિભાગા પાણી પુરવઠા વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, નર્મદા જળ સંપતિ તથા ગૃહ વિભાગના એક સાથે રૂ.2000 કરોડથી વધુ રકમના અનેકવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં રાજકોટ મનપાના રૂ.215.25કરોડના કુલ 42 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા જેમાં રૈયા સ્માર્ટ સીટીમાં 7.92 કરોડના ખર્ચે બનેલા ઇલે. બસ ચાર્જીંગ સ્ટેશનનું લોકાર્પણ કરાયું હતું.
આ ઉપરાંત 101.89 કરોડના ખર્ચે બાંધકામ વિભાગના 25 કામ, 52.23 કરોડના ખર્ચે ડ્રેનેજ વિભાગના પાંચ કામ અને 53.21 કરોડના ખર્ચે વોટર વકર્સ વિભાગના 11 કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. વોર્ડ નં.1, 3, 4, 18, 9, 11, 12 સહિતના વિસ્તારો અને નવા ભળેલા ભાગોમાં આ રસ્તા, ગટર, પાણીની લાઇનો સહિતના કામો શરૂ કરાયા છે.
આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે.ચેરમેન જયમીન ઠાકર, કમિશનર ડી.પી.દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.