Lucknow (ઉતર પ્રદેશ), તા.23
અહીંના અલીગંજ વિસ્તારમાં આવેલી એક કોમર્શીયલ બિલ્ડીંગમાં આવેલ એક કોચીંગ સેન્ટરમાં ગઈકાલે ભયાનક આગ ભભુકી ઉઠતા 15 જેટલા છાત્રો જીવતા ભડથુ થઈ ગયા હતા આ ઘટનાથી પુરા દેશમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
ઘટનાની જાણ થતા સીએમ યોગી આદીત્યનાથ બનાવ સ્થળે પહોંચી ગયા હતા.તેમણે તાત્કાલીક અસરથી એકશન લઈને ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી નાખ્યા છે. આ મામલે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. અગ્નિકાંડના આ બનાવની એસઆઈટી તપાસ કરશે.
લખનૌની આ અગ્નિકાંડ મામલે એવી પણ ચોંકાવનારી વિગત બહાર આવી છે કે આ બિલ્ડીંગનું 2016 માં ડીમોલેશનનો ઓર્ડર હતો પરંતુ રહસ્યમય સંજોગોમાં છેલ્લી ઘડીએ રદ થયો હતો.
આ મામલે વધુમાં જાણવા મળતી વિગત મુજબ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અલીગંજ અગ્નિકાંડને લઈને મોડી રાત સુધી ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. જેમાં દોષિતોને ચિન્હીત કરવા માટે વિશેષ તપાસ ટુકડી (એસઆઈટી)ની રચના કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. જયારે અલીગંજ પોલીસ સ્ટેશનમાં 6 લોકો સામે નામજોગ એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેમાંથી ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
સીએમનાં નિર્દેશ પર રચાયેલી એસઆઈટીમાં સંસ્કૃતિ વિભાગના અપર મુખ્ય સચીવ અમૃત અભિજાત અને લખનૌનાં એડી.જોન પ્રવિણકુમાર સભ્ય છે. તપાસ ટીમ 7 દિવસમાં રિપોર્ટ સીએમ સમક્ષ મુકશે.જયારે મુખ્યમંત્રીના નિર્દેશ પર ચાર અધિકારીઓને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
પ્રથમ દ્રષ્ટિએ દોષિત ઠરેલા ગૌરવકુમાર એકસેન કલેકશન (વીજળી વિભાગ), જાનકીપુરમ, કમલેન્દ્ર કુમારસિંહ, એફએસએસઓ (ફાયર વિભાગ) ઈન્દીરાનગર, અનિલકુમાર-એઈ, એલડીએ અને પ્રમોદ પાંડે, જેઈ-એલડીપી સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે.
સોમવારે રાત્રે પોલીસે બિલ્ડીંગનાં માલીક મહેયજંગ,નિવાસી વીરેન્દ્ર પ્રસાદ શુકલા, અલીગંજ નિવાસી પેટ શોપ માલીક સુરેશકુમાર શાહ, નિવાસી કેશવનગર, મડીયાંવની ધરપકડ કરવામાં આવી છે. જયારે એફઆઈઆરમાં નામજોગ આરોપી ધીરેન્દ્ર શુકલા અને સુરેન્દ્ર શુકલાની તલાશ ચાલુ છે.
મૃતકોનાં પરિવારને 7-7 લાખનુ વળતર
વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે દુર્ઘટનાને લઈને દુઃખ વ્યકત કર્યુ છે. વડાપ્રધાને જીવ ગુમાવનાર છાત્રોના પરિવારજનોને બે બે લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયાની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે. સીએમ યોગી આદીત્યનાથે મૃતકોને પરિજનોને 5-5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.
બિલ્ડીંગને ડિમોલીશનનો ઓર્ડર અપાયેલો જે રદ કરાયો હતો
જે બિલ્ડીંગમાં અગ્નિકાંડ સર્જાયો હતો તે બિલ્ડીંગને વર્ષ 2016 માં ડીમોલીશનનો ઓર્ડર અપાયો હતો જે રહસ્યમય-સંજોગોમાં રદ કરવામાં આવ્યો હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. બિલ્ડીંગને ગેરકાયદે બાંધકામ મામલે ડિમોલીશનનો ઓર્ડર ઈસ્યુ કરાયો હતો. જોકે બે મહિના બાદ ઓર્ડર રદ કરવામાં આવ્યો હતો. લખનૌ ડેવલપમેન્ટ ઓથોરીટી (એલડીએ)ના અધિકારીઓએ આ વિગત આપી છે.
શોર્ટ સર્કીટ કે એસી કમ્પ્રેસર ફાટવાથી આગની આશંકા
15 જેટલા છાત્રોનો ભોગ લેનાર આગની દુર્ઘટના માટે શોર્ટ સર્કીટ અને એસીનું કમ્પ્રેસર ફાટવાનુ કારણ માનવામાં આવે છે. પ્રાથમીક અનુમાનો છે કે એસી કમ્પ્રેસર ફાટવાથી આગ લાગી અને બિલ્ડીંગમાં ફેલાઈ.આગ લાગી ત્યારે ઈમરજન્સી બહાર નીકળવાની વ્યવસ્થાના અભાવે છાત્રો બહાર નહોતા નીકળી શકયા પરીણામે આગનો ભોગ બની ગયા હતા.
લખનૌ અગ્નિકાંડનો મામલો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં પહોંચ્યો
દેશભરનાં કોચીંગ સંસ્થાનોમાં સુરક્ષાના ધોરણો નિશ્ચિત કરવાની માંગ ઉઠાવાઈ
અત્રે અલીગંજ સ્થિત કોચીંગ સેન્ટરમાં આગ લાગવાથી 15 છાત્રોના મોતનો મામલો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (એનએચઆરસી)માં ઉઠાવવામાં આવ્યો છે. નોઈડા નિવાસી અને પુર્વ ક્ષેત્રીય ઉચ્ચ શિક્ષણ અધિકારી અને શિક્ષક રહેલા ડો.રાજીવકુમાર ગુપ્તાએ આયોગમાં ફરીયાદ નોંધાવી દેશભરની કોચીંગ સંસ્થાઓમાં સુરક્ષાના ધોરણોની તપાસ કરાવવા અને છાત્રોના જીવનની સુરક્ષા નિશ્ચિત કરવાની માંગ કરી છે.
આયોગે ફરિયાદ સ્વીકારી છે ડો.ગુપ્તાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે લખનૌનાં અલીગંજમાં બનેલી ઘટના કોઈ પહેલી દુર્ઘટના નથી. આ પહેલ 27 જુલાઈ 2024 માં દિલ્હીનાં રાજેન્દ્રનગરમાં એક કોચીંગ સંસ્થાનમાં બેઝમેન્ટમાં જલભરાવની ઘટનામાં ત્રણ છાત્રોના મોત થયા હતા.
આ ઉપરાંત 26 મે 2019 માં અમદાવાદના કોચીંગ સેન્ટરમાં લાગેલી આગમાં 22 છાત્રોના જીવ ગયા હતા. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, દેશભરનાં કોચીંગ સંસ્થાનોમાં આ પ્રકારની ઘટનાઓ સતત બહાર આવી રહી છે.
મોટી સંખ્યામાં છાત્રો આવા નાના નાના બંધ રૂમોમાં ભણવા મજબુર છે. જયાં જીવનરક્ષક સુવિધાઓ પર્યાપ્ત નથી અને સુરક્ષાની વ્યવસ્થા નથી હોતી. આયોગને આ મામલામાં હસ્તક્ષેપ કરી છાત્રોના જીવન અને સુરક્ષાના અધિકારની રક્ષા માટે અસરકારક પગલા ઉઠાવવાની માંગ કરાઈ છે.

