15 પેટા સમિતિના ચેરમેન સહિતના નામ જનરલ બોર્ડમાં થઇ શકે છે જાહેર
મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન શાસક નેતા અને દંડક સહિત મુખ્ય પાંચ હોદેદારોની પસંદગી બાદ હવે બાકી રહી ગયેલી 15 પેટા સમિતિના ચેરમેનની ખુરશી કોણે મળશે તેની અટકળો શરૂ થઇ ચુકી છે. જે લોકોને મુખ્ય પાંચ હોદામાં સ્થાન નથી મળ્યુ તેવા ઇચ્છુક દાવેદારોને કઇ સમિતિમાં કેવુ સ્થાન મળે છે એ જોવાનું રહ્યુ. તમામ 15 સમિતિની રચના જનરલ બોર્ડમાં જાહેર થશે.
આટલા નગરસેવકોએ મુક્યા પ્રશ્ર્નો
શાસકપક્ષ ભાજપમાંથી કેતનભાઇ પટેલ, સંજયભાઇ ચાવડા, જ્યોત્સનાબેન ટીલાળા, ડો.રિંકલભાઇ મેઘાણી, કીર્તિબા રાણા, મહેશભાઇ પીપળિયા, મોહિતસિંહ જાડેજા, પંકજભાઇ લુણાગરિયા, ધૈર્ય પારેખ, શૈલેષભાઇ વસાણી, રાજુભાઇ અઘેરા, દર્શનભાઇ પેંગ્યાતર, જાનકીબેન કાટોડિયા અને રક્ષિતભાઇ કલોલાએ પ્રશ્ર્ન મુક્યો છે. જ્યારે વિપક્ષમાંથી એકમાત્ર સભ્યએ પ્રશ્ર્ન મુક્યો છે.
ભાજપના 15 નગરસેવકોએ 33 જ્યારે વિપક્ષમાંથી માત્ર એક જ સભ્યે સવાલો પ્રશ્ર્નોતરીમાં મુક્યા
હવે ટાઇમ લીમીટ નહીં, જેટલા પ્રશ્ર્નો મુકવા હોય એટલા મુકો અને ચર્ચા કરો : મેયર
મ્યુનિ. કોર્પોરેશનમાં નવી બોડીના શાસકોએ ચાર્જ સંભાળ્યા બાદ સંપૂર્ણ શાસનની પધ્ધતિથી માંડી કરકસરની બાબતમાં અનેક નવા પગલા લીધા છે. આજની સ્ટે. કમિટીની મીટીંગમાં લેવાયેલા નિર્ણયો તેની ગવાહી આપે છે. આ પૂર્વે મળેલી ભાજપ સંકલનની બેઠકમાં પણ વર્ષો બાદ ભાજપ પ્રમુખ હાજર ન રહેવાની નવી પરંપરા શરૂ થઇ છે. આટલા વર્ષો સુધી પાર્ટી પ્રમુખ સંકલનમાં હાજર રહીને નિર્ણયોની સુચના આપતા હતા. પરંતુ હવે સત્તા અને સંગઠન મોટા ભાગે સ્વતંત્ર અને એક બીજામાં હસ્તક્ષેપ કર્યા વગર કામ કરશે તે વાત આજે સંપૂર્ણ સાચી સાબિત થઇ ગઇ છે. સંકલનમાં મેયરમાં સ્પષ્ટ કહ્યું હતું કે સ્ટે. કમિટિ હોય કે જનરલ બોર્ડ, કોઇપણ કોર્પોરેટર કોઇપણ પ્રશ્ર્નના જવાબ માંગી શકશે અને ચર્ચા કરી શકશે. આજે બોર્ડનો એજન્ડા પણ બહાર પડ્યો હોય, બેઠક બાદ ઘણા કોર્પોરેટરોએ આગામી સભા માટે પ્રશ્નો રજૂ કર્યા હતા. વધુમાં મેયરે અગાઉ પણ જાહેર કરી હતી કે સામાન્ય સભા હોય કે સ્ટે. કમિટિની મીટીંગ, આ તમામ બેઠકો માટે કોઇ સમય મર્યાદા રહેવાની નથી. એટલે કે અત્યાર સુધી એક કલાકમાં જનરલ બોર્ડ સમેટી લેવામાં આવતું હતું તે પરંપરા પણ બંધ થશે. અમદાવાદ-સુરત જેવા કોર્પો.માં તો બપોરથી સાંજ સુધી બોર્ડ ચાલતા રહે છે તે ઉલ્લેખનીય છે.

