(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૬
Jamnagar શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં જૂની અદાવતના કારણે એક બુઝુર્ગની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી જે અંગે સીધી સી ડિવિઝન પોલીસમાં હત્યાનો અપરાધ નોંધાયા બાદ ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી લીધો છે.
આ અંગે મળતી માહિતી મુજબ જામનગરના ફીયોનીકા સોસાયટી, ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા રાજુ વજશીભાઈ વારોતરીયાએ સીટી સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, કે તેમના દાદા દેવાયતભાઈ રાયસીભાઈ વારોતરીયા સાથે અગાઉ પડોશમાં રહેતા સાગર મારખીભાઈ વસરાને જૂના મનદુઃખ અને બોલાચાલીના બનાવો હતા. આરોપી અવારનવાર દાદાની મશ્કરી કરતો હોવાથી અગાઉ પણ બંને પક્ષ વચ્ચે વિવાદ થયો હતો.
ગત ૨૪ જૂનના રોજ રાત્રે આશરે ૯ વાગ્યે દેવાયતભાઈ પોતાના ઘરની બહાર ખાટલામાં બેઠા હતા ત્યારે આરોપી સાગર મારખીભાઈ વસરા ત્યાં આવી પહોંચ્યો હતો. તે દરમિયાન આરોપીએ પોતાની પાસે રહેલી છરી વડે દેવાયતભાઈ પર આડેધડ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. પરિવારજનો દોડી આવતા આરોપીએ ભાગી છૂટ્યો હતો.
બનાવની જાણ થતા ૧૧૨ પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. દેવાયતભાઈને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે સીટી સી ડિવિઝન પોલીસે આરોપી સાગર મારખીભાઈ વસરા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧) તેમજ જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસનિશ પોલીસ ઇન્સ્પેક્ટર નીખીલકુમાર બાબુભાઈ ડાભીના માર્ગદર્શન હેઠળ તેઓની ટીમે ગણતરીના કલાકોમાં જ હુમલાખોર આરોપી સાગર વસરા ને ઝડપી પાડ્યો છે, અને તેની પાસેથી હુમલામાં વપરાયેલું હથિયાર છરી કબજે કરી છે. જેને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યો છે. મૃતક સાથે પોતાને અગાઉ માથાકૂટ થઈ હોવાથી જૂના મનદુઃખના કારણે વેરભાવ રાખી હત્યા કરી નાખ્યાનું કબુલ્યું છે.

