રાજકોટના ચાંદીના કારખાના સહીત પાંચેક એકમો અને મોરબીના કેડા ગ્રુપ પર દરોડાથી ખળભળાટ : અનેક મોટા માથા પર તવાઈના ભણકારા
Rajkot-Morbi,તા,૨૫
દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવો બાકી રહ્યા છે ત્યારે મોટાભાગની રેવન્યુ એજન્સીઓ દરોડાની તલાવર મ્યાન કરતી હોય છે ત્યારે ડીજીજીઆઈએ જીએસટી ચોરો પર વ્રજઘાત સમાન ઘા કરેલ છે અને રાજકોટમાં રણછોડનગર વિસ્તારમાં આવેલ ચાંદીના ઉત્પાદકોના પાંચ સ્થળોએ અને મોરબીમાં ચાઈનાની કંપની પર દરોડાની કાર્યવાહી હાથ ધરી કરોડોની ચોરી ઝડપવા એકધારી તપાસ હાથ ધરાઈ છે.તપાસના અંતે કરોડોની ચોરી ઉજાગર થવાની શકયતા છે અને મોરબીના કેસમાં સંભવિત ત્રણ ડાયરેકટરોની ધરપકડ થવાની શકયતા વ્યકત કરવામા આવી રહી છે.
પ્રાપ્ત વિગત અનુસાર મોરબીમાં સીરામીક ફેકટરીઓને ઇન્ક, રો-મટીરીયલ, સ્પેરપાર્ટ્સ અને એબ્રેસિવ સહિતનું મટીરીયલ પૂરું પાડતી ચાઈનાની પ્રખ્યાત કેડા ગ્રુપ કંપનીના ડીલરોને ત્યાં ગઈકાલથી ડીજીજીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા બાદ ઈન્કમટેકસે પણ તપાસમાંઝંપલાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મોરબીમાં કેડા ગ્રુપનું મુખ્ય વેરહાઉસ કંડલા રોડ ઉપર ભરતનગર નજીક આવેલ હોવાનું જાણવા મળે છે.
વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સીરામીક હબ મોરબીમાં દિવાળીના તહેવાર ટાઈમે જ બુધવારથી ડીજીજીઆઈની ટીમો દ્વારા કેડા ગ્રુપ સાથે સંકળાયેલ કંપનીઓ અને ડીલરોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે અને ચારેક સ્થળે તપાસ ચાલુ હોવાનું જાણવા મળે છે. વધુમાં મોરબીના સીરામીક ઉદ્યોગને કેડા ગ્રુપ દ્વારા મોટાપાયે રો-મટીરીયલ, ઈન્ક, સ્પેરપાર્ટ્સ અને એબ્રેસિવ સહિતનું મટીરીયલ વેચાણ કરવામાં આવતું હોય ટેક્સ ચોરીના ઈનપુટના આધારે કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કેડા કંપની ચાઈનાની છે અને સીરામીક ઈન્ડસ્ટ્રીઝને લગતું મટીરીયલ સપ્લાય કરવામાં ટોચનું સ્થાન ધરાવે છે, કેડા ગ્રુપની ઈન્ક તેમજ એબ્રેસિવ અને અન્ય સ્પેરપાર્ટ સપ્લાય માટે મોરબીના મોટામાથાઓ ડીલર હોય ડીજીજીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા બાદ ઈન્કમટેકસે પણ તપાસમાં ઝુકાવ્યું હોય કરોડો રૂપિયાની કરચોરી ઝડપાવાની શક્યતા જોવાઈ રહી છે.
બીજીતરફ રાજકોટમાં સામાકાંઠે આવેલ રણછોડનગર વિસ્તારમાં પાંચેક જેટલા ચાંદીના દાગીનાનું ઉત્પાદન કરનાર યુનિટો પર પણ ડીજીજીઆઈની ટીમો બપોરના સમયે ત્રાટકી હતી અને તમામ જગ્યાએ સ્ટોક,ખરીદ-વેચાણની વિગતોની ચકાસણી કરવામા આવી રહી છે. જ ડીજીજીઆઈની ટીમોએ રણછોડનગરમાં ઓપરેશન હાથ ધરતા ચાંદીના વેપારીઓ તો પહેલા નકકી કરી શકયા ન હતા કે આવકવેરા છે કે સ્ટેટ જીએસટી. બાદમાં માલુમ પડેલ કે ડીજીજીઆઈનું ઓપરેશન છે.