Gujarat: તા.01
વિકસતી જતી લેટેસ્ટ ટેકનોલોજી જેટલી ઉપયોગી બની રહી છે એટલી જ મુશ્કેલીનું ઘર બની રહી છે. ખાસ કરીને ગુજરાતમાં નેટબેકિંગમાં છેતરપિંડીના કિસ્સામાં રોજ વધારો થઈ રહ્યો છે. છેલ્લાં 5 વર્ષમાં જ સાયબર ગઠિયાઓએ ગુજરાતીઓના 74 કરોડ રૂપિયા સેરવી લીધાં છે. ગુજરાતમાં નેટબેકિંગના કેસોમાં 400 ટકાનો વધારો નોંધાયો છે. ઓનલાઈન ફ્રોડના કિસ્સા વધી રહ્યાં છે તે જોતાં હવે તો બેંકો પણ એસએમએસ મોકલીને બેંક કસ્ટમરને સચેત કરી રહી છે. આ ઉપરાંત ગુજરાત સાયબર સેલ પણ એટલુ જ એક્ટિવ થયું છે.
સાયબર ઠગ લલચામણી ઓફરના મેસેજ મોકલે છે
ડિજિટલ બેંક સુવિધાનો ઉપયોગ કરવામાં પણ હવે તો સાવધાની રાખવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. તેનું કારણ છે કે, સાયબર ઠગો વિવિધ તરકીબ અજમાવીને નિર્દોષ લોકો સાથે ઠગાઈ કરી રહ્યાં છે. ક્યાંક લલચામણી ઓફરના મેસેજ મોકલે છે, તો ક્યાંક ફોન કોલ કરીને ઓટીપી અથવા તો કેવાયસીની વિગતો મેળવી લે છે.
કેટલાંક કિસ્સામાં ખોટી લીંક મોકલી નિર્દોષ બેંક ખાતેદારના ખાતામાંથી નાણાં ઉપાડી લે છે. આ પરિસ્થિતીને લીધે જ બેંકો કસ્ટમરને એસએમએસ મોકલીને જાણ કરે છે કે, બેંક દ્વારા ઓટીપી-કેવાયસી વિશે કોઈ માહિતી માંગવામાં આવતી નથી. આ જોતાં કસ્ટમરોએ મેસેજને લઈને સાવચેત રહેવું.
સાયબર ગઠિયાઓને કોઈનો ડર નથી!
ગુજરાતમાં એટીએમ, કેડિટ કાર્ડ અને નેટબેકિંગમાં ઠગાઈના કિસ્સા વધી રહ્યાં છે જેમ કે, વર્ષ 2019-20માં ઈન્ટરનેટ બેંકિંગના છેતરપિંડીના કુલ 51 કેસો નોંધાયા હતાં અને 2,87 કરોડ રૂપિયાની ઠગાઈ કરાઈ હતી. વર્ષ 2023-24માં ઓનલાઈન ઠગાઇના કેસોમાં વધારો થયો હતો. આ વર્ષ દરમિયાન 1914 કેસો પોલીસ ચોપડે નોંધાયા છે. જ્યારે 49.92 કરોડ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી. ટૂંકમાં ઓનલાઈન છેતરપિંડીના કેસોમાં 400 ટકાનો વધારો થયો છે. આ પરથી એક જ વાત સ્પષ્ટ થઈ છે કે, સાયબર સેલ એક્ટિવ હોવા છતાંય સાયબર ગઠિયાઓને જાણે ડર રહ્યો નથી.
ગુજરાત સાયબર સેલ પણ લોકોને સાયબર ઠગોની વિવિધ તરકીબોથી અવગત કરાવવા માટે લોકજાગૃતિ કાર્યક્રમ કરી રહ્યુ છે. ઘણાં કિસ્સામાં સાયબર સેલે નિર્દોષ લોકોને નાણાં પણ પરત અપાવ્યાં છે.