Jamnagar તા.6
જામનગરના મયુરનગરમાં વૃધ્ધને બે ભાઇઓએ ગાળો ભાંડી તલવાર વડે હુમલો કર્યો હતો. જ્યારે મોરકંડામાં ગાય હંકારવાની બાબતે પરિવાર પર હુમલો કરાયો હતો. અન્ય બનાવમાં અગાઉની માથાકૂટનો ખાર રાખી એક યુવાનના સ્કૂટરમાં ધોકા ફટકારી નુકસાન કરાયું હતું અને ગુટખા લેવાની ના કેમ પાડી તેમ કહી એક યુવાનને લાકડી ફટકારી હતી.
જામનગરના મયુરનગર વિસ્તારમાં આવેલી પ્રજાપતિ વાડી નજીક વસવાટ કરતા વિનુભાઈ વ્રજલાલ રાજ્યગુરૂ નામના પ્રૌઢને ગયા શુક્રવારે સાંજે તેમના ઘર પાસે કેશુભાઈ જોગલના ભાઈએ રોકી ગાળો ભાંડી હતી. તે પછી ફોન કરીને કેશુ નગાભાઈ જોગલને બોલાવ્યો. હતો. બંને વ્યક્તિએ ઢીકાપાટુ તથા તલવારથી હુમલો કરી વિનુભાઈને માર માર્યો હતો.
બનાવ અંગે વિનુભાઈએ પોલીસમાં ફરિયાદ કરી હતી. મોરકંડા ગામમાં શંકર મંદિર પાસે રહેતા અશોકભાઈ દેવજીભાઈ રાઠોડ માતા સાથે ગાય હંકારવા બાબતે રાજુ બાબુભાઈ પરમાર તથા ભાર્ગવ રાજુભાઈ પરમાર નામના પિતા, પુત્રએ બોલાચાલી કર્યા પછી પાઈપ, છરીથી હુમલો કરી અશોકભાઈના માતાને ઈજા પહોંચાડી હતી. આ વેળાએ વચ્ચે પડનાર સાગર દેવજીભાઈને પણ ધોકાથી માર મારવામાં આવ્યો હતો અને ધમકી અપાઈ હતી.
યુવકને માર મારી સ્કુટરમાં તોડફોડ
જામનગરમાં સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં આવેલી લુહારશાળ ચાર રસ્તા પાસેથી શુક્રવારે સવારે જઈ રહેલા સમીર રફીકભાઈ નામના યુવાનને અગાઉની માથાકૂટનો ખાર રાખી હિતેશ કનખરા નામના શખ્સે ઉભો રખાવ્યો હતો. આ શખ્સે સમીરને સ્કૂટર પરથી ઉતાર્યા પછી ગાળો ભાંડી ધોકાથી હુમલો કરી સમીરના સ્કૂટરમાં ભાંગફોડ કરી હતી અને રૂ. 15 હજારનું નુકસાન કર્યું હતું. હીતેશ તથા તેની સાથે રહેલા કાના તથા બે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.
બીજો બનાવ શહેરના ધરારનગર-2 વિસ્તારમાં અજય મુકેશભાઈને ધરારનગર-1માં રહેતા રઝાક હાસમ સંઘારે રોકી રાત્રે ગુટખા લેવાની ના કેમ પાડી હતી તેમ કહી ગાળો ભાંડયા પછી લાકડીથી હુમલો કરી માર માર્યો હતો.