Vav,તા.25
ગુજરાતમાં ‘વાવ’ બેઠકની પ્રતિષ્ઠાના જંગ જેવી ચુંટણીમાં ભાજપે આખરી તબકકામાં બાજી પલટીને જે વિજય મેળવ્યો તેનાથી એક તરફ વાવમાં ઠાકોર – ફેકટર જ નિર્ણાયક બની શકે તે નિશ્ચિત થયુ છે તો હવે ‘વાવ’ના વિજય બાદ ગુજરાત ભાજપનું રાજકારણ અને લાંબા સમયથી જે ફેરફારો તોળાઈ રહ્યા છે તેને પણ વેગ મળશે.
ગઈકાલે જ ‘વાવ’ના વિજય પર પ્રત્યાઘાત આપતા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તેમાં હોદો છોડી રહ્યા છે તેનો સ્પષ્ટ સંકેત આપતા જણાયુ કે, જેઓને તક મળશે તેને હું એડવાન્સમાં અભિનંદન આપી દીધુ છે.
તેઓએ સુરતના મજુરા ધારાસભા બેઠકના સ્નેહમિલનમાં એ પણ કહ્યું કે, મારી વિદાય વસમી નહી પણ ખુશી ભરીને આપી છે. તેઓનો સ્પષ્ટ ઉલ્લેખ વાવના વિજય ભણી હશે.
તેઓએ એ પણ કહ્યું કે, મે બે વખત કહ્યું છે મને ‘મુક્ત’ કરો અને બીજા કોકને સોપો અને નવા સંગઠનની શરૂઆત કરવાની ‘તક’ અમોને મળી છે અને જેને તક મળશે તેને હું એડવાન્સમાં અભિનંદન આપુ છું.
પાટીલના આ નિવેદનથી ભાજપે હવે ફકત નવા સંગઠનની જ નહી પણ મંત્રીમંડળમાં ફેરફારની ચર્ચા પણ તેજ બની છે. છેલ્લે ચિંતન શિબિરનો મુદો હતો જે પણ હવે રહ્યો નથી પણ મુદો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો છે અને હજુ પાટીલને તે જવાબદારી બાદ જ મુક્ત કરાશે કે કેમ તે ચર્ચા છે અને દિલ્હીમાં પણ રાષ્ટ્રીય પ્રમુખની પસંદગીનો મુદો છે.
વાવમાં ભાજપની જીત એ પક્ષને રાહત આપી છે અને તેથી હવે સ્થાનિક ચૂંટણીના સમીકરણો પણ નિશ્ચિત કરી શકાશે તેવા સંકેત છે પણ ભાજપ મોવડીમંડળ કઈ રીતે સમગ્ર પ્રક્રિયાને ગોઠવે છે તેના પર નજર છે.