Ahmedabad,તા .29
ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે ઓરેવા કંપનીને મોરબી પુલ તૂટી પડવાના કેસના પીડિતોને નાણાકીય લાભ આપવા અંગે ત્રિપક્ષીય કરાર સાથે આવવા જણાવ્યું છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે તે પીડિતોને વળતરના પાસાઓ પર વિચારણા કરવા માટે કંપનીને વધુ સમય આપશે નહીં.
HCએ અગાઉ કંપની, ટ્રસ્ટ અને પીડિતો વચ્ચે ત્રિપક્ષીય કરાર કરવાનો આદેશ આપ્યો છે જેમાં દરેક વ્યક્તિગત લાભાર્થી જે લાભો મેળવવા માટે હકદાર છે તેની રૂપરેખા આપે છે. કરારનો મુસદ્દો તૈયાર હતો અને HC એ સૂચન કર્યું હતું કે તેના અગાઉના તમામ આદેશોને કરારમાં સામેલ કરવા જોઈએ.
જેથી તે કંપનીને બંધનકર્તા બની શકે. કંપનીના વકીલ દ્વારા કરવામાં આવેલા કેટલાક સૂચનોને કોર્ટે માન્ય રાખ્યું ન હતું. દરમિયાન, કંપનીએ રજૂઆત કરી હતી કે તેણે નવ સગીર પીડિત છોકરીઓ માટે તેમના લગ્ન ખર્ચ માટે રૂ. 9 લાખની ફિક્સ ડિપોઝિટ કરી છે.
એક પીડિતને તેના તબીબી ખર્ચ માટે રૂ.1.07 લાખ ચૂકવવામાં આવ્યા છે. દરમિયાન કંપનીએ ગંભીર ઇજાગ્રસ્ત યુવતીને રૂ.2 લાખ ચૂકવવાની દરખાસ્ત કરી હતી કારણકે યુવતીએ રૂ.8 લાખનું વળતર માંગ્યું હતું. તેણી આઠ મહિનાથી મુંબઇમાં નોકરી પર હાજર રહી શકી ન હતી.
તેથી આ વળતર માગવામાં આવ્યું હતું. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, કંપનીએ રકમ આપવી જોઈએ. કંપની તેની માસિક આવકનો પુરાવો મેળવી શકે છે. કોર્ટ આ મુદ્દે હવે પછી લેખિત આદેશ જારી કરશે.
મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ અને ન્યાયાધીશ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠ સસ્પેન્શન બ્રિજ તૂટી પડવા અંગેની સુઓમોટુ પીઆઈએલની સુનાવણી કરી રહી હતી. જેમાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા. પીડિતોને આર્થિક લાભ આપવા માટે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. પીડિતોને મળવા અને તેમની દુર્દશા જાણવા અને તેમના સૂચનો મેળવવા માટે હાઈકોર્ટે બે વકીલોને કોર્ટ નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે.