Patan,તા.૧
આજે ભારત દેશમાં જ નહી પરંતુ વિશ્વના ઘણા દેશોમાંથી માનવ તસ્કરીના સમાચારો સામે આવે છે. જેમાં આજે ભારતમાંથી યુવતીઓ બાળકો ગુમ થાય છે. જે માનવ તસ્કરી કરતી ગેંગના હાથે વેંચાઇ જાય છે. ત્યારે નાના બાળકોને જન્મતાની સાથે પણ વેંચી દેવાની ઘટના સામે આવી છે. ત્યારે પાટણ જિલ્લામાંથી બાળક વેંચવાના કૌભાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે.
સમગ્ર ઘટના અંગે પાટણ પોલીસ એસપી ડો. રવિન્દ્ર પટેલે ખુલાસો કરતા જણાવ્યું કે, આ બાળકનો જન્મ પાટણ જિલ્લાની થરાની સંસ્કાર હોસ્પિટલમાં થયો હતો. ત્યારે એ હોસ્પિટલમાં રુપસિંહ નામના કમ્પાઉન્ડરે આ બાળકનો સોદો કરી નાખ્યો હતો અને આ બાળકને શિલ્પા ઠાકોર અને નકલી ડોક્ટર સુરેશ ઠાકોરને આપ્યું હતું. નકલી ડોક્ટર સુરેશ ઠાકોરે નિરવ મોદી નામના વ્યક્તિને ૧.૨૦ લાખમાં બાળકને વેંચ્યું હતું
બાળક બિમાર પડતા દત્તક લેનાર દંપતિએ બાળકને પરત કરી દીધું હતું. જો કે નકલી ડોક્ટર સુરેશ ઠાકોરે આ બાળકને ગુમ કરી દીધું હતું. જ્યારે દત્તક લેનારા દંપતિએ પોતાના પૈસા નકલી ડોક્ટર સુરેશ ઠાકોર પાસેથી પરત માંગતા તેણે ૧.૨૦ લાખમાંથી ૩૦ હજાર પરત આપ્યા હતા. આ બિમાર બાળકનો નિકાલ કરવા માટે નકલી ડોક્ટર સુરેશ ઠાકોર અને નર્સ શિલ્પા ઠાકોરે સિદ્ધપુર થઇ પાલનપુર ડીસા હાઇવે પાસે આવેલ મોટા ગામે બાળકને બિનવારસી હાલતમાં ત્યજીને ફરાર થઇ ગયા હતા.
ત્યજેલા બાળકનો અવાજ આસપાસના લોકોને સંભળાતા તેમણે સરપંચને જાણ કરી હતી. જેની બાળક બિનવારસી હાલતમાં મળી આવતા તે બાબતે ગઢ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઇ. હાલ બાળકને પાલનપુર શિશુગૃહમાં ખસેડવામાં આવ્યું છે, જ્યાં તે તંદુરસ્ત અને સુરક્ષિત છે. જ્યારે બાળકને ખરીદનારે ૫૧ રુપિયાનું ટોકન આપતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. ત્યારે પોલીસે આ આરોપીઓ સામે કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન કર્યા છે.