Gandhinagar,તા.18
અમદાવાદમાં પાત્રતા ન હોય છતાં પીએમજેએવાય- આયુષ્યમાન કાર્ડ બનાવી સરકારી યોજનાને લેભાગુ તત્વોએ રૂપિયા કમાવવાનું સાધન બનાવી દીધુ હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે.
બીજી તરફ 2019-20થી 2023-24 સુધી આયુષ્યમાન ભારત-પીએમ જેએવાય યોજના હેઠળ ગુજરાતમાં અત્યાર સુધી 47,41,715 દર્દીએ સારવારનો લાભ લીધો છે. પીએમજેએવાય યોજનાનો લાભ લેવામાં ગુજરાત દેશમાં સાતમાં નબરે છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પીએમજેએવાય યોજનાને લઈને જે કૌભાંડ પકડી પાડયું છે તે દેશમાં અન્યત્ર સ્થળોએ પણ આવું કૌભાંડ ચાલતું હોવાની આશંકા નકારી શકાતી નથી. દરમિયાન રાજયસભામાં 17 ડીસેમ્બરે કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયે એક સવાલના જવાબમાં આંકડા જારી કર્યા છે.
તે મુજબ, આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી-જન આરોગ્ય યોજનામાં (એબી-પીએમજેએવાય) જે દેશના 12.37 કરોડ પરિવારના 55 કરોડ લાભાર્થીનો સમાવેશ થયો છે. 30 નવેમ્બર-2024 સુધી 29,929 હોસ્પિટલ દેશમાં યોજના હેઠળ એમ્પેનલ્ડ થયેલી છે. કેટલાક રાજયોમાં પીએમજેએવાય યોજના હેઠળ સારવાર લીધી હોય તેવા દર્દીઓની સંખ્યા 96 લાખ સુધીની છે.
તો ગુજરાતમાં 47.41 લાખ દર્દીએ છેલ્લા પાંચ વર્ષમાં પીએમજેએવાય યોજનાનો લાભ લીધો છે. વર્ષે સરેરાશ 9,48,343 જેટલા દર્દી પીએમજેએવાય યોજનાનો લાભ લઈને રાજયની સરકારી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવતા હોય છે.
તે સંજોગોમાં મોટાભાગના દર્દીઓ જેન્યુઈન હોવાની સંભાવના મહતમ હોવા છતાં તેમાંથી કેટલા દર્દીઓ પાત્રતા ધરાવતા નહી હોય છતા કાર્ડ મેળવી સરકારની ઉદાર યોજનાનો ગેરલાભ લીધો હશે તે વ્યાપક અને ઉંડી તપાસનો વિષય છે.