Gujarat, તા.19
ગુ. મા. અને ઉ. મા. શિક્ષણ બોર્ડના પૂર્વ સભ્ય ડો. પ્રિયવદન કોરાટ દ્વારા ગુજરાત રાજયમાં આવેલી ડમી શાળાઓની તપાસ કરી આવી શાળાઓ બંધ કરવા અને આ શાળાઓ સામે ગુજરાતના શિક્ષણના વિશાળ હિતમાં જરૂરી કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.
રજૂઆતમાં જણાવ્યું છે કે, ધો. 12 વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષા પાસ કર્યા બાદ IIT, IIM અને મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે ધો. 10ની જાહેર પરીક્ષા પાસ કર્યા બાદ મોટા શહેરોમાં આવા ઉચ્ચ અભ્યાસ માટેના કોચિંગ ક્લાસ ધો. 11થી જ શરૂ થાય છે.
આથી IIT, IIM અને મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ ધો. 10 પાસ કર્યા બાદ સીધા કોચિંગ ક્લાસમાં જ પ્રવેશ મેળવે છે, અને આવા વિદ્યાર્થીઓ ડમી શાળાઓમાં ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં માત્ર કાગળ ઉપર જ પ્રવેશ મેળવવા માટે તોતિંગ ફી ભરે છે.
આવી ડમી શાળાઓમાં શિક્ષકો પણ કાગળ ઉપર જ હોય છે અને આ શિક્ષકો ધો. 12ની જાહેર પરીક્ષાની ઉત્તરવહી ચકાસણી માટે પણ જતાં નથી તેમજ ધો.12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષામાં વિદ્યાર્થીઓની પરીક્ષા લીધા વગર પાસ કરી દેવામાં આવે છે.
આ અંગે સંદર્ભિત પત્રથી રજૂઆત કરેલ હતી, જે અન્વયે જિલ્લા મથકે આવી શાળાઓની તપાસ કરવા માટેના આદેશો થયેલ હતા, પરંતુ આ તપાસ યોગ્ય રીતે ન થતાં આજે પણ ડમી શાળાઓ ચાલી રહી છે. આવી શાળાઓની યોગ્ય તપાસ કરી ગુજરાતના શિક્ષણના વિશાળ હિતમાં સત્વરે જરૂરી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.