રાજ્ય આશરે ૭.૧૫ લાખથી વધુ ખેડૂતોને કુલ રૂ. ૧૩૭૨ કરોડથી વધુ સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવી દેવામાં આવી છે.
Gandhinagar,તા.૧૯
રાજ્યના અન્નદાતાની ઉન્નતિ એ હરહંમેશથી ગુજરાત સરકારનો મુખ્ય નિર્ધાર રહ્યો છે. ખેડૂતોની આવકમાં વધારો થાય, ખેડૂતો સમૃદ્ધ અને આત્મનિર્ભર બને તે માટે અનેકવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકીને ખેડૂતો પ્રત્યે સરકારની દ્રઢ પ્રતિબધ્ધતા દર્શાવી છે. તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.
કૃષિ મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, રાજ્યના ખેડૂતો ઉપર આવતી કોઈપણ સમસ્યામાં સરકાર તેમની પડખે ઊભી છે, તેવો દ્રઢ વિશ્વાસ રાજ્યના ખેડૂતોમાં કેળવાયો છે. ચાલુ વર્ષે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં વરસેલા ભારે વરસાદમાં રાજ્યના અનેક ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન થયું હતું. આવા કપરા સમયે ખેડૂતોની સંવેદના સમજીને રાજ્ય સરકારે તાત્કાલિક સર્વે કરીને અસરગ્રસ્ત ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું.
મંત્રી પટેલે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કૃષિ રાહત પેકેજ જાહેર કર્યા બાદ રાજ્ય સરકારે અસરગ્રસ્ત ખેડૂતો ફરી વાવેતર કરી શકે તે માટે તાત્કાલિક ધોરણે સહાય ચૂકવણા કરવાનું વચન આપ્યું હતું. આજે ગુજરાત સરકારે ખેડૂતોને આપેલા એ વચનને પરિપૂર્ણ કર્યું છે. માત્ર દોઢ મહિનાના સમયગાળામાં જ રાજ્ય આશરે ૭.૧૫ લાખથી વધુ ખેડૂતોને કુલ રૂ. ૧૩૭૨ કરોડથી વધુ સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવી દેવામાં આવી છે.
વિગતવાર માહિતી આપતા તેમણે ઉમેર્યું કે, ગત જુલાઈ માસમાં થયેલા ભારે વરસાદમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવા માટે કૃષિ રાહત પેકેજ જાહેર કરીને તા. ૩૦ ઓગસ્ટથી તા. ૩૦ સપ્ટેમ્બર દરમિયાન ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં મળેલી અરજીઓ પૈકી ૧.૨૨ લાખથી વધુ ખેડૂતોને નિયમો અનુસાર મળવાપાત્ર સહાય ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વધારાની રૂ. ૪૨.૮૫ કરોડ સહાયને મળીને કુલ રૂ.૧૮૭.૩૭ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
ખાસ કૃષિ રાહત પેકેજ માટે અસરગ્રસ્ત ખેડૂતો પાસેથી પણ તા. ૨૫ ઓકટોબરથી તા. ૧૦ નવેમ્બર સુધી અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં મળેલી અરજીઓ પૈકી ૫.૯૩ લાખથી વધુ ખેડૂતોને પણ નિયમો અનુસાર મળવાપાત્ર સહાય ઉપરાંત વધારાની રૂ. ૨૭૧.૧૫ કરોડ સહાય મળી કુલ રૂ. ૧૧૮૪.૬૬ કરોડની સહાય ચૂકવવામાં આવી છે. માત્ર દોઢ મહિનામાં જ સહાય સીધી બેંક ખાતામાં જમા થતા ખેડૂતોનો સરકાર પ્રત્યે વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે, તેમ કૃષિ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૪-૨૫ના બંને કૃષિ રાહત પેકેજ મળી છેલ્લા પાંચ વર્ષમાં (૨૦૨૦-૨૧ થી ૨૦૨૪-૨૫) રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાન અંતર્ગત કુલ ૩૮.૯૮ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને કુલ રૂ.૬૨૦૪ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.