Gandhinagar, તા.24
ગુજરાતમાં ખેડૂતો માટે વિજ સમસ્યા ભૂતકાળ બની જ ગઇ છે. હવે ખેડૂતોને દિવસે પણ વિજળી અપાય છે. રાજ્યના 96 ટકા ગામોને કિાસન સૂર્યોદય યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. રાજ્યમાં ખેતીવાડી વિજ જોડાણ ધરાવતા 19193 પૈકી 16561 ગામોમાં દિવસે વિજળી આપવાનું શરુ થઇ ગયાનું રાજ્યના ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇએ જાહેર કર્યું હતું.
ઊર્જા મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, “કિસાન સૂર્યોદય યોજના” અંતર્ગત 96 ટકા ગામના ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે. જેમાં બાકી રહેતા 4 ટકા ગામો પૈકી મોટા ભાગના ગામો દેવભૂમિ દ્વારકા, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના છે. આ બાકી રહેલા 632 જેટલા ગામના 1,55,401 જેટલા ખેડૂતોને એટલે કે 4 ટકા ગામના ખેડૂતોને પણ સત્વરે દિવસે વીજળી આપી શકાય તે માટેની કામગીરી પ્રગતિમાં છે
દિવસે વીજળી મેળવી રહેલા 16,561 ગામના ખેડૂતો પૈકી 11,927 ગામના ખેડૂતોને સિંગલ શિફ્ટમાં સવારે 8 થી સાંજના 4 અને સવારે 9 થી સાંજના 5 વાગ્યાના સમય દરમિયાન દિવસે વીજળી આપવામાં આવે છે તથા 4,634 ગામના ખેડૂતોને બે શિફ્ટમાં એટલે કે સવારે 5 થી બપોરના 1 અને બપોરના 1 થી સાંજે 9 વાગ્યા સુધી દિવસે વીજળી આપવામાં આવી રહી છે.
છેલ્લા દાયકામાં ખેડૂતોને 10 લાખ જેટલા નવા ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવ્યા છે, એટલે કે વર્ષે સરેરાશ 1 લાખ જેટલા નવા ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવ્યા છે. હાલમાં નવીન ખેતીવાડી વીજ જોડાણ આપવામાં કોઈ પણ જાતનો વાંધો કે વિરોધ ન આવે તો 3-4 મહિનામાં વીજ જોડાણ આપી દેવામાં આવે છે.
ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતનો સરેરાશ માથાદીઠ વીજવપરાશ 2,238 યુનિટ છે જે દેશની સરેરાશ માથાદીઠ વીજવપરાશ 1,255 કરતાં લગભગ બમણા જેટલો છે, જે રાજ્યના વિકાસને પ્રતિબિંબિત કરે છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેર કરાયેલ પીએમ સૂર્યઘર મુફ્ત બીજલી યોજના હેઠળ દેશના 1 કરોડના લક્ષ્યાંક સામે ગુજરાતમાં 2 લાખ 42 હજારથી વધુ વીજ ગ્રાહકોના મકાન પર 900 મેગા વોટથી વધુ ક્ષમતાની સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરીને ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.