જામનગરમાં નવીનીકરણ થયેલ ટાઉનહોલનું સાંસદનાં હસ્તે લોકાર્પણ
Jamnagar તા.૨૪
જામનગરનાં એમ.પી. શાહ ટાઉનહોલનું નવીનીકરણનું કારણ ઘણા મહિનાઓથી ચાલતુ હતું. આખરે એ કાર્ય પૂર્ણ થતા નવા રંગરૂપમાં સજ્જ ટાઉનહોલનું ગઇકાલે સાંસદ પૂનમબેન માડમનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઇ કગથરા, શાસક પક્ષ નેતા આશિષભાઇ જોષી સહિતનાં આગેવાનો તથા મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદી, સિટી એન્જીનીયર ભાવેશભાઇ જાની સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. નવીનીકરણ પછી લોકાર્પણ પામેલા ટાઉનહોલમાં પ્રથમ કાર્યક્રમ રૂપે શહેરની ગૌરવવંતી નાટ્ય સંસ્થા ’થિયેટર પીપલ’ નાં યુવક મહોત્સવમાં રાજ્યકક્ષાએ વિજેતા એકાંકી ’વેશ અમારો વ્યથા તમારી’ નું મંચન થયું હતું. નૂતન બેઠક વ્યવસ્થા, આધુનિક સાઉન્ડ સિસ્ટમ,લાઇટીંગ, લિફ્ટ સહિતની સુવિધાઓથી સજ્જ ટાઉનહોલમાં કાર્યક્રમ નિહાળી દર્શકો રોમાંચિત થઇ ઉઠયા હતાં.