Jamnagar તા.૨૪
જોડિયા મુકામે હિન્દુ-મુસ્લીમ સર્વ જ્ઞાતિ સમુહ લગ્નનું આયોજન આગામી તા. ૧.૨.૨૦૨૫ (શનિવાર)ના રોજ જોડિયા મુકામે કરવામાં આવેલ છે. જે નિમિતે હિન્દુ ધર્મના ૨૫ યુગલ અને મુસ્લીમ ધર્મના ૨૫ યુગલના લગ્નનું આયોજન નકકી કરવામાં આવેલ છે. જોડિયામાં જી. એન. ફાર્મ ખાતે યોજાનાર આ સમુહ લગ્નના આયોજક મહમદ યુસુફ દાઉદ જુમાણી અને પરિવારે રસ ધરાવતા તમામ વાલીઓએ ઉપરોકત સમુહ લગ્નમાં ભાગ લેવા નોંધણી કરાવવા માટે પુત્ર-પુત્રીના જન્મના અસલ પ્રમાણપત્ર, આધાર કાર્ડની નકલ, ૪ પાસપોર્ટ સાઈઝના ફોટા અને માતા-પિતા / વાલીના આધારકાર્ડની નકલ સાથે તા. ૧૦.૧.૨૦૨૫ સુધીમાં અરજી કરવા જણાવ્યુ છે. ઉપરોકત નોંધણી કરાવવા માટે જોડિયામાં અશોકભાઈ વર્મા, ટ્રસ્ટી, હુન્નરશાળા, જનતા મેડિકલ સ્ટોર, એડવોકેટ રીઝવાનભાઈ ગોધાવિયા કે અફઝલભાઈ જુમાણીનો સંપર્ક કરવા જણાવ્યુ છે. નોંધણી સમયે રૂા. ૧,૫૦૦ ડીપોઝીટ પેટે જમા કરાવવાના રહેશે જે લગ્ન વિધી સંપન્ન થયા બાદ પરત કરવામાં આવશે. લગ્નમાં નોંધણી કરાવનાર વાલીએ ખાસ જોવાનું રહેશે કે પુત્રીની ઉમર તા. ૧.૧.૨૦૨૫ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ થયેલ હોવી જરૂરી છે તથા પુત્રની ઉંમર તા. ૧.૧.૨૦૨૫ના રોજ ૨૧ વર્ષ પૂર્ણ થયેલ હોવી જરૂરી છે. મુસ્લિમ સમાજના લાભાર્થીએ પોતાની નાત-જમાતની રજા ચીઠી લેવી જરૂરી છે.ઉપરોક્ત સમુહ લગ્ન સમારોહમાં વધુમાં વધુ ગરીબ કુટુંબના દિકરા-દિકરીઓ ભાગ લે તેવા આશયથી આયોજન કરવામાં આવે છે. જેથી વધુમાં વધુ પ્રચાર પ્રસાર કરી ગરીબ કુટુંબોને જાણ કરવા આસપાસના તમામ વિસ્તારના લોકોને વિનંતી કરવામાં આવે છે.