Anand,તા.30
આણંદના જોળ ગામે ૨૨ વર્ષ પહેલા મજૂરી માટે આવેલા પરિવારે એક જમીનમાં ગેરકાયદે બે ઓરડી બનાવી, જમીન માલિકને કબ્જો પરત ન સોંપતા લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી. આ અંગે વિદ્યાનગર પોલીસે ૧૦ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વડોદરામાં રહેતા જગદીશભાઈ પટેલના મિત્ર કમલેશભાઈ ચંદુભાઈ પટેલ ગત જાન્યુઆરીમાં અમેરિકાથી ભારતમાં આવ્યા હતા. ત્યારે જોળ ગામની સીમમાં નહેર પાસે આવેલી તેમની વડિલોપાર્જીત જમીન છે. ૨૨ વર્ષ પહેલા રેસીયાભાઈ ભીલિયાભાઈ રાઠવા અને તેમનો પરિવાર મજૂરી માટે જોળ આવ્યા હતા. ત્યારે તેમની જમીનમાં કાચી ઓરડી કામચલાઉ રહેવા માટે આપી હતી.
જોકે, રેસીયાભાઈ અને તેના પરિવારે અન્ય બે ઓરડીઓ બનાવી લઈ, તમે અમને રૂ.૬૦ લાખ રોકડા અને વિદ્યાનગરમાં એક બંગલો આપશો તો જ જમીન ખાલી કરીશું તેમ જણાવ્યું હતું. તેમજ ધમકી આપી હતી. આ અંગે જિલ્લા કલેક્ટર કચેરીએ લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી. આ અંગે વિદ્યાનગર પોલીસે રેસીયાભાઈ ભીલિયાભાઈ રાઠવા, કૈલાશબેન રેસીયાભાઈ રાઠવા, દિપુબેન રેસીયાભાઈ રાઠવા, વિકેસ ઉર્ફે વિકો વેસલાભાઈ રાઠવા, મુકેશ ઉર્ફે કાળિયો વેસલાભાઈ રાઠવા, સેલીબેન વેસલાભાઈ રાઠવા, ફુદાભાઈ મંજીભાઈ રાઠવા, રમીલાબેન ફુદાભાઈ રાઠવા, લાલાભાઈ ઉર્ફે લાલિયો ફુદાભાઈ રાઠવા અને ભાવિનભાઈ ફુદાભાઈ રાઠવા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધ્યો હતો.