Jamnagar ,તા.10
જામનગર તાલુકાના હડમતીયા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા એક ખેડૂત કપાસના વેચાણના બહાને છેતરપિંડીનો શિકાર બન્યા છે. પ્રતિ વર્ષ કપાસની ખરીદી કરીને લઈ જતા ગોંડલના એક વેપારી રૂપિયા 6,12,535 ની કિંમતનો 407 મણ કપાસ ખરીદી બીજા દિવસે પૈસાનું આંગડીયું કરવાનું બહાનું બતાવી રફુચક્કર થઈ ગયા હતા, અને આજ દિન સુધી રકમ નહીં ચૂકવતાં ગોંડલના વેપારી સામે ખેડૂતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના હડમતીયા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા સંજયભાઈ સવજીભાઈ ધામેલીયા નામના 35 વર્ષના ખેડૂત યુવાને ગોંડલમાં માર્કેટિંગ યાર્ડ પાસે રહેતા અને જુદી-જુદી ખેત પેદાશની ખરીદી કરતા જીતેનભાઈ કલાલ નામના વેપારી સામે પોતાની સાથે રૂપિયા 6,12,535 ની છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી ખેડૂત છેલ્લા કેટલાક વર્ષોથી કપાસ વગેરેની ખેતી કરે છે, અને પોતાના ખેતરમાં તૈયાર થયેલો કપાસનો પાકનો જથ્થો મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ કેટલાક વર્ષોથી ગોંડલમાં રહેતા હિતેનભાઈ કલાલને વેચાણ કરતા હતા, અને પ્રતિવર્ષ તેમનું વેચાણ કરીને પૈસા મેળવી લેતા હતા. જેથી જીતેનભાઈ સાથે પરિચય થઈ ગયો હતો.
દરમિયાન ગત વર્ષે પોતાની વાડીમાં તૈયાર થયેલો કપાસનો જથ્થો તેમજ આસપાસના ખેડૂતો પાસેથી મેળવેલો કુલ 407 મણ કપાસનો જથ્થો કે જેની કુલ કિંમત 6,12,535 થાય છે જે તમામ જથ્થો એક ટ્રકમાં ભરીને જીતેનભાઈને આપ્યો હતો, અને જીતેનભાઈ બીજા દિવસે પૈસાનું આંગડિયું કરીને મોકલાવી દેશે તેવો વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો, તેથી ખેડૂત માની ગયા હતા, અને બીજા દિવસે પૈસાની રાહ જોઈ હતી.
પરંતુ જીતેનભાઈએ પૈસા આપ્યા ન હતા, ત્યારબાદ તેનો સંપર્ક કરતાં તેઓનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો, અને ગોંડલમાં પણ તપાસ કરતાં તેઓ ક્યાંક લાપતા બની ગયા હતા. લાંબો સમય સુધી તેની શોધખોળ કર્યા પછી પણ કોઈ પતો નહીં મળતાં આખરે વેપારી દ્વારા પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસ ગોંડલના વેપારીને શોધી રહી છે.