Rajkot,તા.26
રાજયભરનાં પંચાયત આરોગ્ય કર્મચારીઓની બેમુદતી હડતાલ વધુ ઉગ્ર બનવાની સામે સરકાર પણ નમતુ જોખવાનાં મૂડમાં ન હોવાના ચિત્ર વચ્ચે કર્મચારીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી જ છે.
રાજકોટનાં ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરવા ઉપરાંત 350 કર્મચારીઓની સર્વીસ બ્રેક કરી દેવામાં આવી છે. બીજી તરફ હડતાળને પગલે ગ્રામ્ય સ્તરે આરોગ્ય સેવાઓ ખોરવાઈ છે.
રાજકોટ જીલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી સંગઠનના પ્રમુખ અશોક જોશીએ કહ્યું કે, સરકાર પડતર માંગણીઓનું નિરાકરણ લાવતી નથી અને હડતાળ તોડી પાડવા આકરી કાર્યવાહી કરી રહી છે. પરંતુ કર્મચારીઓ ઝુકવા તૈયાર નથી અને આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
રાજકોટ જીલ્લામાં સરકારે ત્રણ ફીકસ-પે કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. 350 કર્મચારીઓની સર્વિસ બ્રેકનાં ઓર્ડર કર્યા છે. છતાં કર્મચારીઓએ હડતાળ ચાલુ રાખી છે. રસીકરણ સહિતની તમામ આરોગ્ય સેવા ખોરવાઈ ગઈ છે.
રાજય સરકારે અગાઉ હડતાળ પાછી ખેંચી લેવા અને પછી વાટાઘાટો કરવાની ઓફર કરી હતી. પરંતુ બે વર્ષ પુર્વે પણ સમાન સ્થિતિ થઈ હતી અને પ્રશ્નોનો ઉકેલ આવ્યો ન હતો એટલે પ્રશ્નોનો હલ થતા સુધી બેમુદતી હડતાળ ચાલુ રાખવાનું નકકી કરાયું છે.
રાજય સરકાર દ્વારા માત્ર રાજકોટ જ નહિં પરંતુ રાજયભરનાં કર્મચારીઓ સામે એકશન શરૂ કરવામાં આવ્યા છે.આઠ જીલ્લામાંથી 2000 કર્મચારીઓને હાંકી કાઢવામાં આવતા ટકરાવ કર્યો છે.
આ દરમ્યાન ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીએ વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યુ છે.રાજયભરમાંથી આરોગ્ય કર્મચારીઓએ ગાંધીનગરમાં અડીંગો જમાવ્યો છે. દરમ્યાન રાજય આરોગ્ય વિભાગે એક હજારથી વધુ કર્મચારીઓની ખાતાકીય તપાસ દરમ્યાન તપાસના આદેશ જારી કર્યા છે.
તપાસના અંતે ટર્મીનેટ કરવા હુકમ કરવામાં આવશે. આરોગ્ય વિભાગનાં અલ્ટીમેટમને પગલે ઘણા કર્મચારીઓ ફરજ પર હાજર થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ તરફ આરોગ્ય કર્મચારી સંઘે પણ ચીમકી ઉચ્ચારી છે કે બે દિવસ દરમ્યાન જો સરકાર વાટાઘાટો માટે આમંત્રણ નહિં પાઠવે તો રાજયભરમાં ઉગ્ર આંદોલન કરાશે. હાલ આઠ જીલ્લામાંથી 2 હજારથી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરાયા છે. પાંચ હજારથી વધુ કર્મચારીઓને શો-કોઝ નોટીસ અપાઈ છે.