Rajkot, તા. 5
મ્યુનિ. કોર્પોરેશનની ટીપી શાખાના પૂર્વ અને બાંધકામ શાખાના વર્તમાન ઇજનેર સામે એસીબીએ ત્રણ દિવસ પહેલા અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધતા મહાપાલિકાની ટીપી સહિતની બ્રાન્ચમાં ફરી હલચલ મચી છે. હાલ તો શહેરમાં અનેક જગ્યાએ બેફામ ગેરકાયદે બાંધકામો ચાલુ હોવા છતાં જવાબદારી લઇને તે રોકવા કે તોડવા સહિતની કાર્યવાહી સ્થગિત જેવી હાલતમાં છે.
ત્યારે વધુ એક વખત સૌથી વધુ ભ્રષ્ટાચાર આ શાખામાં જ ચાલતો હોવાનું ઘણાને લાગ્યુ છે. જેમની સામે પોણો કરોડની બેનામી સંપત્તિનો કેસ દાખલ થયો છે તે પૂર્વ એટીપી અજય વેગડ પાસે દાયકાથી વધુ સમયથી ટીપી યુનિટની કામગીરી હતી. આ જગ્યાએથી જ જુદી જુદી ટીપી સ્કીમમાં કપાત, રસ્તા કાઢવા, સ્કીમ ન હોય ત્યાં પ્લાન પાસ, 40 ટકા કપાતના નિયમ સહિતની કામગીરી ચાલતી હતી.
આ ટીપી યુનિટ અને તેના અધિકારી સીધા ટીપીઓ હેઠળ કામ કરતા હતા. અગાઉ કૃષ્ણનગર સિવિક સેન્ટર અને તે બાદ નાના મવા ચોકના બિલ્ડીંગમાં આ વિભાગ ‘આઇસોલેટ’ની જેમ બેસતો હતો! છેલ્લા વર્ષોમાં જમીનોના પ્રકરણ આડા અવળા અને સીધા કરવામાં આ યુનિટની મોટી ભૂમિકા રહી છે.
તો આ યુનિટ પર ભ્રષ્ટાચારના સીધા આક્ષેપો કે ફરિયાદ ન થવાના પણ અમુક કારણ રહ્યા છે. જેમાં મોટા માથાઓના માત્ર જમીન અને ટીપી સ્કીમના જ પ્રકરણ ચાલતા હોય, છ-બાર લેન્ડલોર્ડ જ સોફેસ્ટીકેટેડ વહીવટ કરતા હોવાનું સંબંધીતો કહે છે.
ગત તા. 25-5-2024ના રોજ નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી અને તેમાં બાળકો સહિત 27 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટનાએ પુરા ગુજરાતને ધ્રુજાવી દીધુ હતું. ટીપી શાખા પર તપાસના બોમ્બ ફુટયા હતા. ટીપીઓ સામે ભ્રષ્ટાચાર સહિતના કેસ થયા અને અર્ધો ડઝનથી વધુ અધિકારીઓ હજુ આ તપાસમાં જેલમાં છે.
આ ભ્રષ્ટાચારની ફરિયાદ અને તપાસ સરકાર કક્ષાએ ચાલી અને જે તે વખતના કમિશ્નરની બદલી બાદ રાજકોટ મુકાયેલા ડી.પી.દેસાઇએ પૂરી શાખાને સાફ કરી ટીપીના લગભગ તમામ અધિકારીઓને બદલાવી નાખ્યા હતા.
આ ચર્ચાસ્પદ ટીપી યુનિટનું પણ વિસર્જન કરી નાંખ્યું હતું. તે બાદ પૂર્વ કમિશ્નરે ટાઉન પ્લાનિંગ અને ટાઉન ડેવલપમેન્ટ એમ બે વિભાગ બનાવી નાખ્યા હતા. ગંભીર ઘટના અને તપાસના કારણે પ્લાન અને કમ્પલીશનની કામગીરી સ્થગિત બની હતી. જે હજુ પાટે ચડી નથી.
મનપામાં ટીપી યુનિટ લોકોને લાગુ પડતી સીધી કામગીરી કરતું ન હતું પણ જમીનના મોટા વહીવટ આ શાખામાંથી થતા હતા. કોર્પોરેશનની બધી ટીપી સ્કીમ આ યુનિટમાંથી પાસ થતી હતી. પ્લાન મુકવાની કામગીરી સૌ પહેલા ટીપી યુનિટમાં જતી હતી. ટીપીમાં જગ્યા આવતી હોય તો યુનિટમાં ચકાસણી કરીને જ પ્લાન આગળ વધે છે.
નવી ટીપી બનાવવા માટેની તમામ પ્રક્રિયા, પરામર્શ આપવાના કામ પણ યુનિટ મારફત થાય છે. જુની કે નવી ટીપી સ્કીમ બનાવવાના પ્લાન પણ અહીં થાય છે. પૂર્વ ટીપીઓ સાગઠીયાના કાર્યકાળમાં 2014થી 2024 સુધી આ તમામ પ્રકારની કામગીરી ટીપી યુનિટ કરતું હતું.
આ વિભાગમાં સ્કીમ બનાવવી, પ્લાનિંગ, 40 ટકા કપાત, ટીપી સ્કીમ ન હોય ત્યાં સ્કેચ મુકવા સહિતની કામગીરી થતી હોય છે. પરંતુ આ યુનિટમાં ખેતર કે જમીનના માલિકો સિવાય સામાન્ય લોકોની અવરજવર હોતી નથી. ખાતેદારોની સુનાવણી થઇ જાય છે. પરંતુ લગભગ તમામ વતી રાજકોટના પાંચ-છ જેટલા જ માથા જ ‘વહીવટ’ કરતા હોય છે. કપાત બદલાની જમીન ફાળવવામાં પણ આ યુનિટની મુખ્ય ભૂમિકા રહેતી હતી.
કોર્પો.ના વધુ એક અધિકારી આ રીતે એસીબીની ઝપટમાં આવતા ફરી મહાપાલિકામાં સન્નાટો છે. આ બનાવ બાદ ટીપી સહિતની શાખામાં હજુ કેટલાક રાજીનામા પડે તેવી શકયતા વર્તાઇ રહી છે. ટીપી અધિકારીઓ ફફડી રહ્યા છે. ખાસ કરીને પ્લાન અને કમ્લીશનની કામગીરી પાટે ચડતી થઇ હતી તેમાં ફરી ગતિ ધીમી થઇ જાય તેવું લાગી રહ્યું છે!