જમીન પીપળમાં દર્શાવેલ વિગત મુજબની મિલકતની સત્તા પ્રકાર ગણવાનો ચુકાદો ફરમાવ્યો
Rajkot,તા.07
રાજકોટ તાલુકાના રામપુરા (સૂર્યા) સર્વે નંબરની 6 હેક્ટરથી વધુ કિંમતી જમીન દિવેલીયા સત્તા પ્રકારની હોવાના ડેપ્યુટી કલેકટરના હુકમ સામે બાલકૃષ્ણ હવેલી ટ્રસ્ટ દ્વારા કરાયેલી રિવિઝન અરજી જિલ્લા કલેકટરે મંજૂર કરી જમીન પીપળમાં દર્શાવેલ વિગત મુજબની મિલકતની સત્તા પ્રકાર ગણવા ચુકાદો ફરમાવ્યો છે.રાજકોટ તાલુકાના મોજે રામપરા (સૂર્યા) જિ, રાજકોટની રેવન્યુ સર્વે નં. 02 પૈકી – 1 ની (વીડ સણોસરા માર્ગે )ના નામની જૂની શરતની હે, આરે, ચો. મી. 6-15-13 ની ખેતીની જમીનમાં બાલ કૃષ્ણ હવેલી ટ્રસ્ટ માલિકી હક્ક ધારણ કરતા હતા, જે મિલ્કતમાં ત્રાહિત વ્યક્તિ શ્યામલાલ હવેલીમાં પૂજારી તરીકે નોકરી કરતાં જયેશભાઈ હરીદાસભાઈ મહેતાએ વીડની જમીન હોવાની અરજી કરતાં રાજકોટ તાલુકા મામલતદારે અરજી નામંજૂર કરી હતી. બાદમાં એ જ બાબતની અરજી બીજી વાર કરવામાં આવતા મંજૂર કરી દેવામાં આવી હતી, જેથી બાલકૃષ્ણ હવેલી ટ્રસ્ટના પ્રયોજક ચંદ્રેશભાઈ ગોકળદાસ ભટ્ટે ડેપ્યુટી કલેકટર સમક્ષ 108(5) ની જોગવાઈ મુજબ અપીલ કરતાં ડેપ્યુટી કલેકટરે એ જમીન દિવેલીયા પ્રકારની હોવાની દર્શાવીને જમીન દિવેલીયા સત્તા પ્રકારની હોવાનો હુકમ ફરમાવેલ હતો.ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારી રાજકોટ શહેર – 2 ના આ હુકમથી નારાજ થઈને બાલકૃષ્ણ હવેલી ટ્રસ્ટે જિલ્લા કલેકટર સમક્ષ રિવિઝન અરજી દાખલ કરેલ હતી. રિવિઝન અરજી માં બાલકૃષ્ણ હવેલી ટ્રસ્ટના એડવોકેટ સમીર કે. છાયાએ દસ્તાવેજી પુરાવા રજૂ કરેલ અને સદરહુ મિલ્કત દિવેલીયામાં મળેલ હોય તેવા કોઇ પુરાવા રેવન્યુ રેકર્ડમાં મળી આવતા નથી કે ટિપ્પણમાં પણ ક્યાંય હવેલીની મિલ્કત કોઈએ દિવેલીયામાં આપેલ હોય તેવું ક્યાંય રેકર્ડ ઉપર આવતું ના હોય છતા સદરહુ ખેતીની જમીન દિવેલીયા સત્તા પ્રકારે દાખલ કરી નાખેલ હોવાથી ટ્રસ્ટનું અહિત થતું હોય ટ્રસ્ટને અન્યાયકર્તા હોય ડેપ્યુટી ક્લેક્ટરનો હુકમ રદ્દ થવો જોઈએ, જે દલીલ અને દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ બાલકૃષ્ણ હવેલીની રિવિઝન મંજૂર કરી દિવેલીયાની સત્તા પ્રકાર નો હુકમ રદ્દ કરી ટિપ્પણમાં દર્શાવેલ વિગત મુજબની મિલ્કતની સત્તા પ્રકાર ગણવા મહત્વપૂર્ણ ચુકાદો ફરમાવેલ છે.