Rajkot, તા.8
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગઇકાલે મોડી રાત્રે વેસ્ટ ઝોનમાં આવેલા 80 ફુટના રૈયાધાર મેઇન રોડ પર એક દરગાહ, હનુમાનજીનું મંદિર અને એક દેરીના દબાણો રોડ પરથી તોડી પાડવામાં આવ્યા હતા. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિથી આ મીની ડિમોલીશન પૂરા થયા હતા. મહાપાલિકાએ રાતના અંધારામાં આ ડિમોલીશન ગોઠવતા મોડી રાત્રે 3 વાગ્યે પૂર્ણ થયું હતું.આ ઓપરેશન મોડી રાત્રે કરવામાં આવ્યું હોવા છતાં ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને શાંતિથી દબાણ હટાવવામાં આવ્યા હતા. આમ તો રાજકોટ શહેરમાં પણ રસ્તા પરના ધાર્મિક દબાણોની યાદી ખુબ લાંબી છે. પરંતુ સંવેદનશીલ મુદ્દો હોવાથી તત્કાલ કોઇ કાર્યવાહી કરાતી નથી.
રાજય સરકારના આદેશથી રસ્તા પરના ધાર્મિક દબાણો તોડવા માટે સમયાંતરે કાર્યવાહી થતી રહે છે. જિલ્લામાં પણ ડિમોલીશન થાય છે. ગત સપ્તાહે કુવાડવા રોડ પર આવું જ દબાણ તોડી પાડવામાં આવ્યું હતું. બાદ ગત રાત્રે મનપા અધિકારીઓની ટીમે ચુસ્ત બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી હતી. ટીપી અધિકારીઓએ રૈયાધાર રોડ પર ડિમોલીશન કર્યુ હતું.
ટીપી શાખાના અધિકારીઓના જણાવ્યા મુજબ વેસ્ટ ઝોનમાં વોર્ડ નં.1માં રૈયાધાર મેઇન રોડ પર એટલાન્ટિસ હીલ બિલ્ડીંગ પાસે આવેલ ગેબનશાહ પીરની દરગાહનું 10 ચો.મી.માં પથરાયેલુ દબાણ તોડી પાડવામાં આવ્યું હતું.
આ દબાણ ટીપી શાખાના લીસ્ટમાં લાંબા સમયથી હતું પરંતુ ડિમોલીશનમાં વિલંબ થતો હતો. આ સાથે જ આ રોડ પર સાગર ડેરી પાસે આવેલ રોકડીયા હનુમાનજી મંદિર અને આગળ ધરમનગર મેઇન રોડના ખુણે આવેલ હનુમાનદાદાની દેરીનું દબાણ પણ હટાવાયુ હતું.
થોડા સમય પહેલા સુપ્રિમ કોર્ટ સુધી સરકારને ફરી જવાબ આપવો પડયો હતો. તેના પગલે રાજય સરકારે દરેક જિલ્લા અને મહાનગરોમાં આવા દબાણોની યાદી બનાવીને કાર્યવાહી કરવા સૂચના મોકલી હતી. થોડા સમય પહેલા પણ નોટીસ આપીને ડિમોલીશન કરવામાં આવ્યા હતા.રૈયાધારમાં ગઇ મોડી રાત્રે કોર્પોરેશનની ટીમ દોડી ગઇ હતી અને જાહેર રોડ વચ્ચે જ ગેરકાયદેસર રીતે દરગાહ અને મંદિરના થયેલ દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. સંવેદનશીલ વિસ્તારમાં ડિમોલીશનની કામગીરીમાં ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધીકા ભારાઇ પણ હાજર રહ્યા હતા. જયારે યુનિ. પોલીસ મથકના પીઆઇ એચ.એન.પટેલ તેમજ ગાંધીગ્રામ પોલીસ મથક સહિતના અન્ય પીઆઇ સહિતનો મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
તે દરમ્યાન ગત સપ્તાહે હાઇવે ઓથોરીટીએ કુવાડવા રોડ પર દરગાહનું દબાણ હટાવ્યું હતું. તે બાદ ગઇકાલે રાત્રે લાંબા સમયથી ડિમોલીશનની યાદીમાં રહેલ આ દરગાહ હટાવવાની કાર્યવાહી પૂરી કરવામાં આવી હતી.
♦ દરગાહ : રૈયાધાર મેઇન રોડ, એટલાન્ટિસ હિલ પાસે, રૈયા
♦ રોકડીયા હનુમાનજીનું મંદિર, રૈયાધાર મેઇન રોડ, સાગર ડેરી પાસે, રૈયા
♦ હનુમાનદાદાની દેરી : રૈયાધાર મેઇન રોડ, ધરમનગરના ખુણે, રૈયા