Rajkot,તા.08
શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં બાઈક હટાવવા મુદ્દે યુવક પર માર મારવાના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીને કોર્ટે એક વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતો ધર્મેશ અમરશીભાઈ વાડોલીયા નામનો યુવાન બાઈક ઉપર બેઠો હતો. ત્યારે અમિત ધીરૂ ગમરા, ગોવિંદ જેઠા ઝાપડા અને વાસુ રતા પરમારે બાઈક લઈ લેવાનું કહેતા ધર્મેશ વાડોલીયાએ બાઈક મારું નહીં હોવાનું કહેતા ત્રણેય શખ્સોએ ઉશ્કેરાઈ જઇ બીભત્સ ગાળો ભાંડી માર માર્યો હતો. આ અંગે ધર્મેશ વાડોલીયાએ ગાંધીગ્રામ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી જે કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ 13 માં એડી. ચુફ જયું. મેજિસ્ટ્રેટ જે.એમ. સોલંકીએ ત્રણેય આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની સજા અને રૂ.500 દંડ ન ભરે તો વધુ 15 દિવસની સજાનો હુકમ ફરમાવ્યો છે.