Jamnagar,તા.19
જામનગરમાં શ્રી એચ.જે. લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા જામનગર શહેરના ધોરણ-૧૦ અને ૧૨ના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાનાર છે, અને તે માટેની અરજીઓ મંગાવવામા આવી છે.
જામનગર શહેરમાં સામાજિક તેમજ શૈક્ષણીક ક્ષેત્રે સેવાકીય કાર્યો કરતી સંસ્થા શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન થનાર છે.
ગુજરાત રાજય માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ- ૨૦૨૫માં પરીક્ષા લેવામાં આવી હતી જેમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ તાજેતરમાં જ જાહેર થયું છે. આ પરિણામમાં ૭૫ પી.આર. કે તેથી વધુ પી.આર. મેળવીને ઉત્તીર્ણ થયા છે તેવા તમામ વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ મુજબ સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવાનું નકકી કરવામાં આવ્યું છે.
આ માટે જામનગર શહેરના ધો. ૧૦ તેમજ ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ કે જેમણે ૭૫ પી.આર. કે તેથી વધુ પી.આર. મેળવ્યા છે તે તમામ વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટની નકલ તેમજ એક પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે ત્રણબત્તી પાસે આવેલા એચ.જે.લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યાલય (ઝુલેલાલ મંદિરની સામે) નો તા.૧૯-૦૫-૨૦૨૫ થી તા.૩૧-૦૫-૨૦૨૫ સુધીમાં સવારના ૧૦-૦૦ થી ૧-૦૦ સુધી અને સાંજે ૪-૦૦ થી ૮-૦૦ સુધીમાં સંપર્ક સાધી ફોર્મ મેળવી લઈને જરૂરી વિગતો ભરીને પરત કરવાનું રહેશે.
આ સન્માન સમારોહની તારીખ, સમય અને સ્થળ નકકી થયે જે વિધાર્થીઓએ ફોર્મ ભરેલ હશે તેઓને જાણ કરવામાં આવશે. આ અંગેની વધુ માહિતી માટે ટ્રસ્ટના કાર્યાલયનો સંપર્ક સાધવા ટ્રસ્ટી જીતેન્દ્ર એચ. લાલ (જીતુ લાલ)ની યાદીમાં જણાવાયું છે.