હૃદય ના ધબકારા વધી જતાં સૌ પ્રથમ લાલપુર તેમજ જામનગર અને ત્યારબાદ અમદાવાદ ની સિવિલમાં દાખલ કરાયા
Jamnagar,તા.19
લાલપુર તાલુકાના નાંદુરી ગામમાં વાડીએ જવાના રસ્તે આવતા એક બાવળના ઝાડને કાપવાના પ્રશ્ને ઝઘડો થયા બાદ સમાધાન માટે બોલાવેલા ૭૦ વર્ષ ના ખેડૂત બુઝુર્ગ ઉપર લોખંડના સળિયા વડે જીવલેણ હુમલો કરી હત્યા નીપજાવાઈ હતી, જે હત્યા કેસના આરોપીને પોલીસ પકડવા જતાં તેની તબિયત લથડી હતી, અને સૌ પ્રથમ લાલપુર, ત્યારબાદ જામનગર અને હાલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જેના પર પોલીસ પહેરો ગોઠવી દેવાયો છે.
લાલપુર તાલુકા ના નાંદુરી ગામના ૭૦ વર્ષની વયના ખેડૂત બુઝુર્ગ જેતાભાઈ ભીખાભાઇ કરંગીયા (ઉંમર વર્ષ ૭૦), કે જેઓને તે જ ગામમાં રહેતા ખીમાભાઈ લખમણભાઇ કરંગીયા સાથે સેઢાની વચ્ચે આવેલા સરકારી ખરામાં ઉગેલા એક બાવળના ઝાડને કાપવાના મામલે તકરાર થયા પછી સમાધાન માટે બોલાવ્યા બાદ જેતાભાઈ કરંગીયા ના માથામાં ધારદાર સળિયા વડે હુમલો કરી હત્યા નિપજાવાઈ હતી.
જે હત્યા ના બનાવ અંગે મૃતક જેતાભાઈના પુત્ર નગાભાઈ જેતાભાઈ કરંગીયાએ પોતાના પિતાની હત્યા નિપજાવવા અંગે શેઢા પાડોશી ખીમાભાઈ કરંગીયા સામે ફરિયાદ નોંધાવી હતી
જેથી લાલપુર પોલીસ ખીમાભાઈ કરંગીયા ને પકડવા માટે ગઈ હતી, દરમિયાન તેની એકાએક તબિયત લથડી હતી, અને ધબકારા વધી ગયા હતા. જેથી તેને સૌ પ્રથમ લાલપુર ની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. આરોપીની પણ ૬૫ વર્ષની ઉંમર હોવાથી તેને ગભરામણ ખૂબ જ વધી હતી, અને વધુ તબિયત લથડતાં હાલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેના ઉપર પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.