Jamnagarતા.21,
જામનગર મહા નગરપાલિકા દ્વારા રિવર ફ્રન્ટ પ્રોજેક્ટને લઈને કાલાવડ નાકા બહારથી લઈને છેક નાગેશ્વર વિસ્તાર સુધીમાં નદીના પટમાં ખડકી દેવાયેલા દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. જેના ભાગરૂપે આજે સવારે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું અને જુદા જુદા ત્રણ વિસ્તારમાં આવેલા 116 જેટલા મકાનો- દુકાનો સહિતના દબાણો દૂર કરીને અંદાજે 50,000 ફૂટ જગ્યા ખુલ્લી કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહા નગરપાલિકાના અધિકારીઓના કર્મચારીઓ અને 200થી વધુ સ્ટાફ ઉપરાંત સીટી એ. ડિવિઝનનો મહિલા પોલીસ સહિતનો પોલીસ કાફલો મેગા ડિમોલિશનની કાર્યવાહીમાં જોડાયો છે.
જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગમતી નદીના પટ્ટનો વિસ્તાર, કે જેમાં અલગ અલગ ત્રણ વિસ્તારો કે જ્યાં મહા નગરપાલિકાની સરકારી જગ્યામાં ગેરકાયદે રહેણાક મકાન- દુકાનો વગેરે ખડકી દેવાયા હતા, જે પૈકી નદીના પટના ત્રિકોણીય વિસ્તારમાં અંદાજે 57 જેટલા મકાનો ખડકાયેલા હતા. જે તમામને અગાઉથી નોટિસ આપીને જગ્યા ખાલી કરી દેવા માટેની સૂચના અપાઇ હતી. ત્યારબાદ આજે સવારે ડિમોલિશન શરૂ કરી દેવામાં આવ્યું હતું.
જામનગર મહા નગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીના માર્ગદર્શન હેઠળ ડી.એમ.સી. દેવેન્દ્રસિંહ ઝાલા, આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાની, કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા તથા એસ્ટેટ શાખા ની ટીમ, ટીપીઓ શાખાની ટીમ, ફાયર વિભાગની ટુકડી વગેરે મળી 200થી વધુ કર્મચારીઓ આજના મેગા ડિમોલિશનમાં જોડાયા હતા, અને અલગ અલગ ત્રણ ટીમો બનાવાઈ હતી.સમગ્ર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવા માટે 12 જેસીબી મશીનો, 3 હિટાચી મશીન, ટ્રેક્ટર સહિતની મશીનરીના ઉપયોગ કરવામાં આવ્યો છે, અને વહેલી સવારથી પાડતોડની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.જે ત્રણેય સ્થળે સીટી એ. ડિવિઝનના પી.આઈ. એન.એ.ચાવડા ની રાહબરી હેઠળ મોટો પોલીસ કાફલો બંદોબસ્ત માં જોડાયો છે જેમાં મહિલા પોલીસની પણ મોટી ટીમ સાથે રાખવામાં આવી છે.