Gandhinagar તા.27
ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં શહેરી વિકાસવર્ષ 2025નો પ્રારંભ કરાવ્યો હતો અને 5536 કરોડ રૂપિયાના વિકાસકામોનુ લોકાર્પણ-ખાતમુર્હુત કર્યુ હતું. કાર્યક્રમ પુર્વે ગાંધીનગરમાં પણ ભવ્ય સિંદુર સન્માન યાત્રા- રોડ શો યોજાયો હતો તેમાં મોટી માનવમેદની ઉમટી હતી અને દેશભક્તિનો રંગ છલકાતો હતો.
પહેલગામ હુમલા બાદ ઓપરેશન સિંદુર શરૂ કરીને પાકિસ્તાનને ધૂળ ચાટતુ કરી દીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત વતન ગુજરાતની મુલાકાતે આવ્યા હોવાથી અભૂતપૂર્વ સ્વાગત-સન્માન કરવામાં આવ્યુ હતું.
દાહોદ-ભુજ-અમદાવાદમાં ગઈકાલે રોડશો સહિતના કાર્યક્રમો બાદ પ્રવાસના આજના બીજા દિવસે નરેન્દ્ર મોદી ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેના કાર્યક્રમમાં સામેલ થયા હતા. વિકાસકાર્યોની ભેટ આપવાની સાથોસાથ શહેરી વિકાસ વર્ષ 2025નો પ્રારંભ કરાવ્યો હતો.
મહાત્મા મંદિર ખાતેના કાર્યક્રમ પુર્વે વડાપ્રધાન મોદીનો રાજભવનથી મહાત્મા મંદિર સુધીનો રોડ શો યોજવામાં આવ્યો હતો. જેમાં જનમેદની ઉમટી હતી. રાષ્ટ્રભક્તિનો રંગ ઘુંટાયો હતો. ઓપરેશન સિંદુર બદલ વડાપ્રધાનના વધામણા લેવામાં આવ્યા હતા.
મહાત્મા મંદિર ખાતેના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી દ્વારા 5536 કરોડ રૂપિયાના વિકાસકામોની ભેટ આપવામાં આવી હતી. ઉપરાંત ગુજરાત શહેરી વિકાસની 20મી વર્ષગાંઠ પર શહેરી વિકાસ વર્ષ 2025નો પ્રારંભ કરાવ્યો હતો.
બે દિવસના પ્રવાસ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે દાહોદ, ભુજ તથા આજે ગાંધીનગરના કાર્યક્રમમાં સામેલ થયા હતા અને કુલ 82000 કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપી હતી. દાહોદથી લોકોમોટીવ વિનિર્માણ સહિત 24000 કરોડના પ્રોજેકટોનું લોકાર્પણ-ખાતમુર્હુત કર્યુ હતું.
9000 હોર્સપાવરના લોકોમેટીવ એન્જીનની સાથે 21405 કરોડના ખર્ચવાળા રોલીંગ સ્ટોક વર્કશોપનું પણ અનાવરણ કર્યુ હતું. આ સિવાય અમદાવાદ-વેરાવળ વંદેભારત ટ્રેનની લીલીઝંડી આપી હતી. આ તકે એવું જાહેર કર્યુ હતું કે ગુજરાતમાં રેલલાઈનોનું 100 ટકા ઈલેકટ્રીફીકેશન થઈ ગયુ છે.
વડાપ્રધાને ભુજના કાર્યક્રમમાં 53400 કરોડના પ્રોજેકટોનું લોકાર્પણ-ખાતમુર્હુત કર્યુ હતું.
આજે ગાંધીનગરથી કુલ 5536 કરોડના વિકાસકામોનું ખાતમુર્હુત-લોકાર્પણ કરવામાં આવ્યુ હતું તેમાં સુરતમાં 232 કરોડના ખર્ચે બનીને તૈયાર થયેલા બાયોડાયવર્સિટી પાર્કનો પણ સમાવેશ થાય છે.
બે દિવસના પ્રવાસ દરમ્યાન હજારો કરોડના વિકાસકામોની ભેટ સાથે વડાપ્રધાને 24 કલાકમાં ચાર રોડ શો કર્યા હતા. ગઈકાલે વડોદરામાં આગમન સાથે એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી રોડ શો કરાયો હતો. સાંજે કચ્છમાં તથા મોડી સાંજે અમદાવાદમાં રોડ-શો યોજાયો હતો. આજે ગાંધીનગરમાં સિંદુર સન્માન યાત્રા કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના ગુજરાત પ્રવાસમાં ભરચકક કાર્યક્રમો હતા. ચાર રોડ શો ઉપરાંત ત્રણ કાર્યક્રમોમાં સામેલ થયા હતા. રાત્રિરોકાણ રાજભવનમાં કર્યુ હતું. આ દરમ્યાન રાત્રે લગ્નપ્રસંગમાં હાજરી આપવા પણ પહોંચી ગયા હતા.
રાજયના કેબીનેટમંત્રી બળવંતસિંહ રાજપૂતના પુત્ર અર્જુનસિંહના લગ્નનો સમારોહ હતો તેમાં હાજરી આપીને વડાપ્રધાને નવદંપતિને આશિર્વાદ આપ્યા હતા.