રૂા. ૯ લાખ રોકડા અને રૂા. ૨૧.૫૦ લાખની ત્રણ વિદેશી ધડીયાળો ભરત ઓડેદરાએ હાથ ફેરો કર્યો હતો
Rajkot.તા.30
અંબિકા ટાઉનશિપ, જીવરાજ પાર્કમાં આવેલ ફલેટમાંથી વિદેશી ઘડિયાળ સહિત 30.50 લાખની મતાની ચોરીની ફરિયાદ અન્વયે ઘર નોકરની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.
આ અંગેની હકીકત મુજબ, આ અંબિકા ટાઉનશિપ, જીવરાજ પાર્કમાં કસ્તુરી એવિયરી બિલ્ડિંગના ફલેટમાં રહેતા જતીનભાઈ હરેશભાઈ અઢીયાએ તેમને ત્યાં નોકરી કરતાં મુળ પોરબંદરનાં રહેવાસી ભરતભાઈ પરબતભાઈ ઓડેદરા સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં રૂા. ૯ લાખ રોકડા તથા આશરે રૂા. ૨૧.૫૦ લાખની ત્રણ વિદેશી ધડીયાળો મળીને કુલ રૂા. ૩૦.૫૦ લાખની ચોરીની એક ફરિયાદ કરી હતી અને તેથી આરોપીએ રાજકોટની કોર્ટમાં બી.એન.એસ.ની કલમ – ૩૦૬ના ગુન્હાનાં કામે તેમના વકીલ મારફત આગોતરા જામીન અરજી કરેલી તે અરજીનાં કામે આરોપી વતી રજૂઆત કરવામાં આવી હતી કે હાલના આરોપી ફરિયાદીને ત્યાં કુતરાના રખેવાળ અને નોકર તરીકે કરતા હોય, તેમની સામે ખોટી હકીકત વાળી ફરિયાદ થઈ છે, વાસ્તવમાં પગાર પેટે રૂપિયા અઢી લાખ બાકી નીકળતા હતા. જે લેણી રકમ રોકડમાંથી કાપીને રૂ. ૫,૦૮,૮૦૦નું તે વખતે જ ફરિયાદીને ઓનલાઇન પેમેન્ટ કરી દીધું હતું. ફરિયાદમાં હકીકતો ઉપજાવી કાઢેલી છે. જે દલીલો ધ્યાને લઈને સેશન્સ કોર્ટે આરોપી ભરતભાઈ પરબતભાઈ ઓડેદરાને રૂા. ૫૦ હજારનાં જામીન ઉપર મુકત કરતો હુકમ કરેલ છે. આ કામે આરોપી વતી કેતન એન. સિંધવા, પંકજ આર. દોંગા, ભરત સીંગરખીયા તથા હસુભાઈ પરમાર રોકાયા હતા.