મહુવા–સુરત એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી
Amreli તા.07
સાવરકુંડલા અને લીલીયા પંથકમાં પડેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિએ રેલવે વ્યવહારને ગંભીર અસર પહોંચી છે. જીરા રોડ–ભેંસવડી વચ્ચે બોરાળા ગામ નજીક રેલવે ટ્રેકનું ધોવાણ થતાં ગઈકાલે રાત્રે મહુવા–સુરત એક્સપ્રેસ ટ્રેન રદ કરવાની ફરજ પડી હતી, જ્યારે ધોળા–મહુવા પેસેન્જર ટ્રેનને પણ કલાકો સુધી સાવરકુંડલા સ્ટેશન ખાતે રોકી રાખવામાં આવી હતી.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લીલીયા પંથકમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદ અને પૂરના કારણે જિલ્લામાં રેલવે વ્યવહાર પર વ્યાપક અસર જોવા મળી હતી. સાવરકુંડલા તાલુકાના જીરા રોડ અને ભેંસવડી સ્ટેશન વચ્ચે બોરાળા ગામ નજીક ગઈકાલે રાત્રે રેલવે ટ્રેકની બંને બાજુનું ધોવાણ થતાં ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. જેના પગલે ટ્રેન નંબર 19256 મહુવા–સુરત એક્સપ્રેસને સાવરકુંડલા રેલવે સ્ટેશન ખાતે રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
મહુવા–સુરત એક્સપ્રેસ મહુવાથી સાંજે 5:30 કલાકે ઉપડી હતી અને રાજુલા સ્ટેશન પર સાંજે 6:15 કલાકે પહોંચી હતી. ટ્રેનનો સાવરકુંડલા પહોંચવાનો નિર્ધારિત સમય સાંજે 7:38 કલાકનો હતો. જોકે, સાવરકુંડલા અને ગાધકડા સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક પર ભારે પ્રમાણમાં ગારો તથા વરસાદી ઓવાળ ભરાઈ જતાં ટ્રેનને ગાધકડા સ્ટેશન ખાતે લગભગ બે કલાક સુધી રોકી રાખવામાં આવી હતી. ત્યારબાદ રાત્રે આશરે 9:45 કલાકે ટ્રેન સાવરકુંડલા રેલવે સ્ટેશન પહોંચી હતી.
આ દરમિયાન સાવરકુંડલા અને લીલીયા વચ્ચે જીરા રોડ તથા ભેંસવડી સ્ટેશન વચ્ચે બોરાળા ગામ નજીક રેલવે ટ્રેકની બંને બાજુનું ભારે ધોવાણ થયાનું રેલવે વિભાગના ધ્યાનમાં આવતા ટ્રેનને આગળ દોડાવવી જોખમી હોવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરિણામે રાત્રે લગભગ 9 વાગ્યે સાવરકુંડલા રેલવે સ્ટેશન ખાતે મહુવા–સુરત એક્સપ્રેસને રદ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ટ્રેન રદ થતાં સાવરકુંડલા રેલવે સ્ટેશન ખાતે ટ્રેનને રોકી દેવામાં આવી હતી. ટ્રેનમાં મુસાફરી કરતા તેમજ સાવરકુંડલાથી આગળ જવાના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે રેલવે વિભાગે મુસાફરોને ટિકિટના નાણાં પરત આપવાની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજી તરફ ટ્રેન નંબર 59235 ધોળા–મહુવા પેસેન્જર ટ્રેનને પણ સાવરકુંડલા અને ગાધકડા વચ્ચે રેલવે ટ્રેકના ધોવાણને કારણે સાંજે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી સાવરકુંડલા રેલવે સ્ટેશન ખાતે રોકી રાખવામાં આવી હતી. ભારે વરસાદના કારણે રેલવે ટ્રેકને થયેલા નુકસાનને પગલે સમગ્ર રૂટ પર ટ્રેન વ્યવહાર ખોરવાઈ જતાં મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
રેલવે વિભાગ દ્વારા ટ્રેકનું તાત્કાલિક નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે અને નુકસાનગ્રસ્ત સ્થળોએ મરામત કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ટ્રેક સંપૂર્ણપણે સલામત જાહેર થયા બાદ જ ટ્રેન વ્યવહાર પૂર્વવત કરવામાં આવશે.

