Ahmedabad
નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન સંબંધિત વર્ષો જૂના કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટી(AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને આ કેસમાં દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારી હતી. ત્યારબાદ વસાવા સહિતના આરોપીઓ દ્વારા આ સજાને હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે.
આજે આ કેસની સુનાવણી ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ વિમલ કે. વ્યાસ સમક્ષ થઇ હતી. જેમાં વસાવા સહિતના આરોપીઓના વકીલે દલીલો કરી હતી. જેમા વસાવા સહિતના આરોપીઓના વકીલે કેસની વિગતો હાઇકોર્ટ સમક્ષ રજૂ કરીને વિવિધ કાયકાકીય પાસાઓ ઉપર દલીલ કરીને સજા સસ્પેન્ડ કરવા માટે રજૂઆત કરી હતી.
ત્યારબાદ કોર્ટનો સમય પૂર્ણ થતા હવે વધુ સુનાવણી આગામી શુક્રવારના રોજ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં એક મહિલા આરોપીને નવજાત શીશુ હોવાથી તેને જામીન ઉપર મુક્ત કરવામાં આવી છે.
આ સમગ્ર વિવાદ નવેમ્બર 2023માં નોંધાયેલી એક સત્તાવાર પોલીસ ફરિયાદ સાથે જોડાયેલો છે. આ ફરિયાદ મુજબ, ધારાસભ્ય ચૈતર વસાવા પર આક્ષેપ હતો કે તેમણે વન વિભાગના કર્મચારીઓને વાતચીત કરવા ઘરે બોલાવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે મારામારી કરી હતી.
એટલું જ નહીં, તેઓને સરકારી ફરજ કરતાં અટકાવીને, હવામાં ફાયરિંગ કરીને, તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બન્યા બાદ ચૈતર વસાવા લાંબા સમય સુધી ફરાર રહ્યા હતા અને ઘટનાના 1 મહિના અને 9 દિવસ બાદ તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. આ કેસમાં લાંબી કાયદેસરની કાર્યવાહી અને ટ્રાયલ બાદ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.

