New Delhi, તા. 9
દેશમાં 2000 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર થયાં બાદ પણ જો તમારી પાસે આવી કોઈ નોટ બચી ગઈ હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી નવી વિગતો અનુસાર, 2000 રૂપિયાની નોટો હજુ પણ કાયદેસરનું નાણું છે .
નાગરિકો તેને નિર્ધારિત પ્રક્રિયા હેઠળ સરળતાથી બદલાવી શકે છે. આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે બજારમાં ફેલાયેલી મોટાભાગની નોટો સિસ્ટમમાં પરત આવી ચૂકી છે, પરંતુ બાકી રહેલી નોટો સ્વીકારવા માટે બેંક હજુ પણ કટિબદ્ધ છે.
અહીં એ નોંધવું જરૂરી છે કે સામાન્ય ગ્રાહકો હવે આ નોટો બદલાવવા માટે પોતાની સ્થાનિક કે વ્યાપારી બેંકોમાં જઈ શકશે નહીં. આરબીઆઈના જણાવ્યાં અનુસાર, નોટો બદલવા અથવા તેને પોતાનાં ખાતામાં જમા કરાવવા માટે દેશભરમાં આવેલી રિઝર્વ બેંકની 19 રીજનલ (ઇશ્યૂ) ઓફિસોનો જ સંપર્ક કરવો પડશે, જ્યાં આ સુવિધા સીધી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
જે નાગરિકોનાં શહેરમાં આરબીઆઈની ઓફિસ ન હોય, તેમના માટે બેંકે વૈકલ્પિક વ્યવસ્થા પણ આપી છે. આવા લોકો ભારતીય ટપાલ વિભાગની મદદથી પોતાની 2000ની નોટો વીમાકૃત પોસ્ટ દ્વારા આરબીઆઈની કોઈપણ ઇશ્યૂ ઓફિસના સરનામે મોકલી શકે છે. આ નોટો આરબીઆઈ સમક્ષ પહોંચ્યાં બાદ, તેની સમાન મૂલ્યની રકમ સંબંધિત નાગરિકના બેંક ખાતામાં સીધી જમા કરી દેવામાં આવશે.

