હિંમતનગર,તા.૧૧
Chandipura virusનો કહેર દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે ત્યારે ગઈકાલ (શુક્રવાર) મોડી રાત્રે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ એક બાળકનું મોત થવા પામ્યું છે. અત્યાર સુધીમાં પાંચ બાળકોનો ચાંદીપુરા વાયરસ એ ભોગ લીધો, હાલમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એક બાળક સારવાર લઈ રહ્યું છે જેની પણ તબિયત નાજુક છે.
સાબરકાંઠાના હિંમતનગરમાં સ્થિતિ ચિંતાજનક બની છે. ગત ૨૬ જૂનથી અત્યાર સુધીમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા કુલ ૭ બાળકો સારવાર માટે દાખલ થયા હતા. દુર્ભાગ્યવશ, તેમાંથી ૫ બાળકોના સારવાર દરમિયાન મોત થયા છે. હાલમાં એક બાળક વેન્ટિલેટર પર છે, જેની તબિયત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. એક બાળક સ્વસ્થ થતા તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.
ખેડા જિલ્લાના સાલોડ ગામમાં ૧ વર્ષના બાળકમાં વાયરસના લક્ષણો જોવા મળતા તેને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં પણ ચાંદીપુરાનો કેસ નોંધાયો છે. વડનગર સિવિલ હોસ્પિટલમાં મહેસાણા અને સાબરકાંઠાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી કુલ ૧૭ બાળકોમાં શંકાસ્પદ લક્ષણો દેખાયા છે, જેમાંથી ૬ બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કમનસીબે આ વાયરસને કારણે અત્યાર સુધીમાં ૩ બાળકોના મોત થયા હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. ગત વર્ષે પણ રાજ્યના ૧૪ જિલ્લાના ૬૧ ગામોમાં આ વાયરસનો પ્રભાવ જોવા મળ્યો હતો.
તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. સંક્રમિત બાળકોના રહેઠાણ અને આસપાસના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે. કલેક્ટર દ્વારા આરોગ્ય વિભાગ અને બાળરોગ નિષ્ણાંતો સાથે વિડિયો કોન્ફરન્સ કરી સમીક્ષા કરવામાં આવી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
તબીબો દ્વારા વાલીઓને સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. જો બાળકને તાવ આવે અથવા ઉલટી જેવી સમસ્યા જણાય, તો વિલંબ કર્યા વગર તરત નજીકની સિવિલ કે બાળરોગ નિષ્ણાંતની હોસ્પિટલમાં તપાસ કરાવો. ઘરની આસપાસ સ્વચ્છતા જાળવો. રાત્રે સુતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ અવશ્ય કરો. આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્ર ચાંદીપુરા વાયરસના ફેલાવાને રોકવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે.
સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતના અન્ય જિલ્લાઓ તેમજ રાજસ્થાન ના વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસ ના લક્ષણો બાળકોમાં જોવા મળે છે તે પૈકીના સાત જેટલા બાળકો હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ગત ૨૬ તારીખથી અત્યાર સુધી નોંધાયા હતા જોકે સાત બાર દર્દીઓ પૈકી પાંચ બાર દર્દીઓના મોત થવા પામે છે જ્યારે એક બાળક સાજું થયું હતું જેને તબીબો દ્વારા ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું. જોકે હાલમાં હજુ એક બાળક ચાંદીપુરા વાયરસ સામે જજુમી રહી છે અને જેની સારવાર હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે તબીબો દ્વારા સતત બાળકનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
હાલમાં બાળક વેન્ટિલેશન પર મૂકવામાં આવ્યું છે જેને લઇને તબીબો પણ હાલ તેની તબિયત નાજુક હોવાનું જણાવી રહ્યા છે. જોકે સિવિલ હોસ્પિટલના બાળકોના નિષ્ણાંત તબીબ દ્વારા ચાંદીપુરા વાયરસ ના લક્ષણો ની વાત કરતા કહ્યું હતું કે તાવ અને વોમિટિંગ થાય ત્યારે તરત જ વાલીઓએ તેઓના બાળકને સિવિલ હોસ્પિટલ અથવા નજીકની કોઈપણ બાળકોની હોસ્પિટલમાં તબીબી સલાહ લેવાની અપીલ કરી હતી એટલું જ નહીં પરંતુ રહેણાંક વિસ્તારની આસપાસ સ્વચ્છતા જાળવવા તેમજ રાત્રે સુતા સમયે મચ્છરદાની નો ઉપયોગ અવશ્ય કરવા માટે અપીલ કરી હતી. કલેક્ટર દ્વારા સિવિલ ,ખાનગી બાળરોગ નિષ્ણાંત તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફ્રાસિંગ કરી સમીક્ષા કરી હતી.

