(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૦
આંતરરાષ્ટ્રીય કક્ષાની એકીકૃત ડાઉનસ્ટ્રીમ એનર્જી અને પેટ્રોકેમિકલ્સ કંપની નયારા એનર્જીએ કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટીમાં એક નવતર અભિગમ અપનાવ્યો છે જેમાં બાળકોમાં વાંચન પ્રત્યે પ્રેરણા સ્ફુરે અને રીડિંગ ફોર જોય માટે ‘‘જામનગર ઇઝ રીડિંગ‘‘ની પહેલ શરુ કરી છે. નયારા એનર્જીએ આ પહેલને જામનગર જિલ્લાની ૩૬૯ શાળાઓ અને ૬૮૫ આંગણવાડી કેન્દ્રોના આશરે ૬૧૦૦૦ બાળકો સુધી પહોંચાડવા દેશની શ્રેષ્ઠ બિન લાભકારી સંસ્થાઓને કાર્ય સોંપ્યું છે. બાળકોને વાંચનમાં આનંદદાયક પળોનો અનુભવ થાય એ માટે સમૃદ્ધ ચિત્રો, સરળ શબ્દ ભંડોળ, કેળવણીદાયક સમજણવાળા પુસ્તકો માટે શાળાઓ અને આંગણવાડીમાં ‘‘એક ખૂણો પુસ્તકાલય માટે‘‘ વિશેષરીતે નિર્મિત કરાશે. આ નવતર પહેલનો પ્રારંભ જામનગર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને નયારા એનર્જીની વાડીનાર રિફાઇનરીના હેડશ્રી અમર કુમારની ઉપસ્થિતિમાં કરાયો હતો. વાંચન પ્રવૃત્તિ થકી નવું શીખવાની જીજ્ઞાશાને વૃદ્ધિ મળે એ માટે નયારા એનર્જીના સીએસઆર વિભાગ દ્વારા આ અભિગમને ખુબજ આયોજનબદ્ધ રીતે અમલીકરણ કરવા અલગ અલગ સંસ્થાઓને જવાબદારી સુપ્રત કરાઈ છે. આંગણવાડીના બાળકો માટે ચિત્ર પુસ્તક, શિક્ષણ સહાયક સાધનો, આંગણવાડીના કાર્યકરો માટે વર્કશોપ, શાળાના બાળકો માટે ગુજરાતી-અંગ્રેજીમાં ૧૦૦ થી વધુ પુસ્તકોનો ક્યુરેટેડ સેટ, શિક્ષકો માટે મોટેથી વાંચન અને વાર્તા આધારિત પ્રવૃત્તિઓ પર તાલીમ આપવાનું પણ આયોજન કરાયું છે. પ્રથમ તબક્કામાં જામનગરની ૫૦ શાળાઓ માટે ડિજિટલ વાંચન કાર્યક્રમમાં પુસ્તકોના ક્યુરેટેડ સંગ્રહની ઍક્સેસ પણ સામેલ કરાઈ છે. ‘‘દરેક બાળકના હાથમાં એક પુસ્તક‘‘ ના ધ્યેય સાથે આ વિશેષ પહેલને આગળ વધારાશે.

