New York,તા.૨૨
ન્યૂ યોર્ક શહેરના મેયર ઝોહરાન મમદાનીએ ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂની ધરપકડ કરવાની ધમકી આપી હતી. હવે, તેમનું બીજું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે તેઓ પોતાની જાતે આવું કરી શકતા નથી. તેમણે કહ્યું કે તેમનું શહેર પોતાની જાતે ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂની ધરપકડ કરી શકતું નથી.
જોકે, તેમણે યુએસ ફેડરલ સરકારને નેતન્યાહૂની ધરપકડ કરવા અપીલ કરી છે.મોડી રાત્રે ઝોહરાન મમદાનીએ કહ્યું કે તેમનું શહેર ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સામે આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત દ્વારા જારી કરાયેલ ધરપકડ વોરંટ લાગુ કરી શકતું નથી.
મમદાનીએ સોશિયલ મીડિયા પર એક વિડિઓ રિલીઝ કરીને નેતન્યાહૂને “યુદ્ધ ગુનેગાર” ગણાવ્યા અને કહ્યું કે તેમનું ન્યૂ યોર્ક શહેરમાં સ્વાગત નથી. ઝોહરાન મમદાનીએ કહ્યું, “એ સ્પષ્ટ છે કે અમારી પાસે આ વોરંટ લાગુ કરવા માટે સ્વતંત્ર કાનૂની અધિકાર નથી. જોકે, ફેડરલ સરકાર પાસે આ અધિકાર છે, અને હું તેમને ૈંઝ્રઝ્ર માં જોડાવા અને આ વોરંટનો અમલ કરવા અપીલ કરું છું.”
ઝોહરાન મમદાનીએ અગાઉ કહ્યું હતું કે તેઓ અને શહેરના કાનૂની વિભાગ ચર્ચા કરી રહ્યા છે કે જો સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા માટે ન્યૂ યોર્કની મુલાકાત લે તો નેતન્યાહૂની ધરપકડ કરી શકાય કે નહીં. હવે, તમામ કાનૂની માર્ગોની સમીક્ષા કર્યા પછી, મામદાનીના વહીવટીતંત્રે સ્વીકાર્યું છે કે એકલા ન્યુ યોર્ક શહેર પાસે નેતન્યાહૂની ધરપકડ કરવાનો કાનૂની અધિકાર નથી.
મામદાનીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, “જ્યાં સુધી નેતન્યાહૂ યુનાઇટેડ સ્ટેટ્સમાં છે, ત્યાં સુધી તેમની કોઈપણ કિંમતે ધરપકડ કરવામાં આવશે નહીં.”
આ દરમિયાન, સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં ઇઝરાયલી રાજદૂત ડેની ડેનને મેયર મામદાની પર વળતો પ્રહાર કરતા કહ્યું, “બસ થઈ ગયું! તમે ન્યુ યોર્કના લોકોની સેવા કરવા માટે ચૂંટાયા હતા, હમાસને પ્રોત્સાહન આપવા માટે નહીં. તમારું કામ કરો.”
આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતએ ૨૦૨૪ માં બેન્જામિન નેતન્યાહૂ અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટ સામે યુદ્ધ ગુનાઓ અને માનવતા વિરુદ્ધ ગુનાઓના આરોપસર ધરપકડ વોરંટ જારી કર્યું હતું. કોર્ટે આરોપ લગાવ્યો છે કે ગાઝા યુદ્ધ દરમિયાન ભૂખમરોનો ઉપયોગ હથિયાર તરીકે કરવામાં આવ્યો હતો અને નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જો કે, ઇઝરાયલી અધિકારીઓએ આ બધા આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે.

