New Delhi,તા.23
નીટ પેપર લીક મુદે જંતર મંતર પર ચાલી રહેલા આંદોલન તથા દેશના અન્ય ભાગોમાં પણ હવે જે રીતે દેખાવો-ધરણા વધી રહ્યા છે તેથી આ આંદોલન વધુ વેગવંતુ બને તેવા સંકેત વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક સોશ્યલ મીડીયા પોસ્ટમાં ખાતરી આપી છે કે, દેશના યુવાઓનું હિત તથા તેમનું ભવિષ્ય એ અમારી સર્વોચ્ચ પ્રાથમીકતા છે.
35 દિવસથી જંતર મંતર પર ચાલી રહેલા આંદોલન અને સંસદમાં ધમાલ વચ્ચે વડાપ્રધાને ત્રણ દિવસમાં બીજી વખત નીટ-લીકેજ તથા આંદોલન માટે બોલવાનું પસંદ કર્યુ તે પણ સૂચક છે.
શ્રી મોદીએ તેમની પોસ્ટમાં જણાવ્યું કે, પેપર લીકના તમામ કેસોમાં દોષીતોને શકય તેટલી ઝડપથી આકરામાં આકરી સજા માટે કેસને ત્વરીત પુરો કરવા ફાસ્ટટ્રેક કોર્ટ રચવામાં આવશે.
આ સંબંધમાં આદેશ આપવામાં આવ્યા છે અને સંબંધીત વિભાગો જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરશે. શ્રી મોદીએ વધુમાં લખ્યું કે, વિદ્યાર્થીઓના હિતો સુરક્ષિત કરવા માટે સરકાર દ્વારા જે શ્રેણીબદ્ધ નિર્ણયો લેવાઈ રહ્યા છે તેનો આ એક ભાગ છે.
શ્રી મોદીએ લખ્યું કે, યુવાઓના ભવિષ્ય સાથે રમત કરવાવાળાઓ કોઈ વ્યક્તિઓને બક્ષવામાં આવશે નહી. અત્રે એ ઉલ્લેખનીય છે કે મંગળવારે જ એનડીએના સંસદીય દળની બેઠકમાં શ્રી મોદીએ પ્રથમ વખત નીટ પેપર લીક અંગે બોલવાનું પસંદ કર્યુ હતું અને તેમાં પણ આજ પ્રકારનો સૂર વ્યક્ત કર્યો હતો.
જો કે સંસદ તથા સંસદ બહાર જે રીતે નીટ પેપર લીક મુદે ધમાસાણ સર્જાયુ છે તથા તમામ પ્રયાસો છતા જંતર મંતર પર વધુને વધુ યુવાઓ ઉમટી રહ્યા છે. સરકારે જંતરમંતર પહોંચતા મેટ્રો સ્ટેશન પણ સતત ચોથા દિવસે બંધ રાખ્યા છે છતાં પણ યુવા વર્ગ પહોંચી રહ્યા છે. કુલ 16 મેટ્રો સ્ટેશન બંધ છે. સંસદમાં પણ વિપક્ષો જે રીતે હલ્લાબોલ કરી રહ્યા છે તેથી સરકાર માટે કંઈક નિર્ણયાત્મક વધુ જરૂરી બની ગયું છે.

