આંકડા જાહેર કરવાને બદલે જવાબદારોની એકબીજા તરફ ફેકા ફેકી?
Rajkot તા.૨૪ઃ
એક તરફ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસનો પંજો વધુ મજબૂત બની રહ્યો છે અને લોકોમાં ફફડાટ વ્યાપેલો છે, ત્યારે બીજી તરફ સિવિલ હોસ્પિટલના જવાબદાર આરોગ્ય તંત્ર મીડિયા અને જનતાને સાચી માહિતી આપવાને બદલે ‘‘માહિતીનો ખો‘‘ રમી રહ્યું હોવાનું સામે આવ્યું છે! દર્દીઓની સ્થિતિ અને આંકડાકીય વિગતો મેળવવા માટે જ્યારે મીડિયાકર્મીઓ તબીબી સત્તાધીશો પાસે પહોંચે છે, ત્યારે સાચી માહિતી આપવાને બદલે અધિકારીઓ એકબીજા પર ઢોળુ ઢોળીને ’માહિતીની ખો’ રમી રહ્યા હોવાનું ચિત્ર સામે આવતા ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, તાજેતરમાં જ જનાના હોસ્પિટલમાં ચાંદીપુરના ૬ શંકાસ્પદ કેસો સામે આવ્યા હતા જેમાંથી ૩ બાળકોના રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. પરંતુ બાકીના ૩ શંકાસ્પદ કેસોમાંથી ગોંડલ તાલુકાના પાંચિયાવદર ગામે રહેતા એક મજૂર પરિવારની ૩ માસની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. જેને લઈને દર્દીઓની સ્થિતિ અને આંકડાકીય વિગતો મેળવવા માટે જ્યારે મીડિયા કર્મી.ઓ તબીબી સત્તાધીશો પાસે પહોંચે છે ત્યારે બાળક વિભાગના એચઓડીથી લઈને સુપ્રિટેન્ડેન્ટ સુધીના અધિકારીઓ એકબીજા તરફ આંગળી ચીંધીને જવાબદારીમાંથી છટકી રહ્યા છે. જનાના હોસ્પિટલના બાળરોગ વિભાગના એચઓડી મીડિયા કોઓર્ડિનેટર તરફ ધકેલે છે, મીડિયા કોઓર્ડિનેટર કલેક્ટર કચેરીએ જવાનું કહે છે અને સુપ્રિટેન્ડેન્ટ જિલ્લા અંગેની માહિતી સીડીએચઓ (મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી) અને જનાના હોસ્પિટલ અંગેની માહિતી મીડિયા કોઓર્ડિનેટર પાસેથી સલાહ આપે છે!
ગઈકાલે ચાંદીપુરાના આંકડાકીય માહિતી માટે જનાના હોસ્પિટલના બાળકો વિભાગના એચઓડી પાસે માહિતી માગતા તેમણે જણાવ્યું કે, ‘‘તમારે મીડિયા કોઓર્ડિનેટર પાસેથી માહિતી લેવી પડશે.‘‘ જ્યારે મીડિયા કોઓર્ડિનેટરનો સંપર્ક કર્યો, ત્યારે તેમણે વળતો જવાબ આપ્યો કે, ‘‘આ વિગતો માટે કલેક્ટર તંત્રનો સંપર્ક કરો.‘‘ આખરે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ સાહેબ પાસે પૂછપરછ કરતાં તેમણે એવું ગણિત સમજાવ્યું કે, ‘‘જિલ્લાના આંકડા સીડીએચઓ (મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી) આપશે અને જનાના હોસ્પિટલની માહિતી મીડિયા કોઓર્ડિનેટર આપશે!‘‘
આમ, એક ટેબલેથી બીજા ટેબલે અને એક ઓફિસેથી બીજી ઓફિસે મીડિયાને દોડાવવામાં આવી રહ્યું છે. મહામારીના સમયે વાયરસ સામે લડવા સાથે પારદર્શિતા દાખવવી પણ તેટલી જ જરૂરી છે, ત્યારે તંત્ર પોતાની આ ’ટાળંટોળ’ બંધ કરીને પ્રજા સુધી સાચી માહિતી પહોંચાડે તે અત્યંત આવશ્યક બન્યું છે.

