Rajkot,તા.27
તાજેતરમાં રાજકોટ જિલ્લા પડેલા ભારે વરસાદ બાદ માર્ગ મકાન વિભાગ સક્રિય બન્યુ છે. અને યુદ્ધનાં ધોરણે રોડ રિપેરીંગની કામગીરી હાથ ધરી અને બંધ પડેલા માર્ગો ફરી શરૂ કરવામાં આવી રહ્યા છે.
આ અંગે રાજકોટ જિલ્લા માર્ગ મકાન વિભાગનાં ઈજનેરી સૂત્રોનાં જણાવ્યા મુજબ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ, રાજકોટ દ્વારા એન.એચ. ટુ પેઢલા-કેરાળા-ભાદરા રોડ પર ચેઇનેજ 7/800 ખાતે આવેલા કોઝવે પર ફસાયેલા ઝાડી-ઝાંખરા તથા કચરો દૂર કરવાની સાફ-સફાઈ કામગીરી પૂર્ણ કરી માર્ગ પર વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો છે. આ સાથે જ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ, રાજકોટ દ્વારા તમામ વાહનચાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે, વરસાદમાં રસ્તા પર સાવચેતીપૂર્વક વાહન ચલાવે અને પોતાની તેમજ અન્યોની સુરક્ષાને પ્રાથમિકતા આપવી જોઇએ.
તથા રાજકોટ જિલ્લામાં વરસાદના કારણે નવાગામ પાસે આવેલા પૂરના કારણે ગોમટા-નિલાખા ભાદર ડેમ ( સેક્શન-1) રોડ પર રાજાશાહી વખતની પ્રોટેક્શન દિવાલનો હિસ્સો તૂટી ગયો હતો. જેના કારણે રોડની સાઈડમાં મોટો ખાડો પડી જતા વાહન વ્યવહાર માટે મુશ્કેલી સર્જાઈ હતી. આ અંગે રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન વિભાગે તત્કાલ કામગીરી શરૂ કરી હતી અને અહીં પડેલા મોટા ખાડામાં હાર્ડ રબ્બર સ્ટોન અને મોરમ પુરીને રોડને સમથળ બનાવી દીધો. જેના પગલે અહીં વાહન વ્યવહાર પુન: સુરક્ષિત રીતે શરૂ થઈ ગયો છે.

