Rajkot, તા.3
રાજકોટના સર્વાંગી વિકાસની સરાહના કરવા સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિલ્ડરોને નફાની સાથે સામાજીક જવાબદારી સમજીને સામાન્ય લોકો માટે એફોર્ડેબલ હાઉસીંગના નિર્માણ પર ભાર મુક્યો હતો.
રાજકોટ બિલ્ડર એસોસીએશનની વાર્ષિક સામાન્ય સભામાં ઉપસ્થિત મુખ્યમંત્રીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેઓએ રાજ્યના વિકાસ તથા વિકસીત ભારત-2047ના સંકલ્પમાં ગુજરાતના યોગદાન વિશેની વિગતો જાહેર કરી હતી.
આ પ્રસંગે ‘વિકસિત ભારત 2047’ અંગે વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને આપેલા ‘વિકાસની રાજનીતિ’ના મંત્રને અનુસરીને ગુજરાત આજે વિકાસના પથ પર ઝડપથી આગળ વધી રહ્યું છે.
વડાપ્રધાનના ‘વિકસિત ભારત 2047’ના વિઝનને સાકાર કરવા રાજ્ય સરકારે ‘વિકસિત ગુજરાત’નો સર્વગ્રાહી રોડમેપ તૈયાર કરીને તેનું અસરકારક અમલીકરણ શરૂ કરી દીધું છે. આ રોડમેપ અંતર્ગત સમગ્ર ગુજરાતને 6 ઝોનમાં વહેંચીને વર્ષ 2047 સુધીના ફોકસ સેક્ટર્સ નક્કી કરવામાં આવ્યા છે, જે રાજ્યના આર્થિક અને સામાજિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જશે.
રાજ્યમાં થયેલા વ્યાપક પરિવર્તનની ચર્ચા કરતાં તેમણે ઉમેર્યું હતું કે, અગાઉના સમયમાં રાજકોટ જેવાં શહેરોમાં પાણી અને વીજળીની જે વિકટ પરિસિ્થતિ હતી, તે આજે ભૂતકાળ બની છે. વર્ષ 2003થી શરૂ થયેલી ‘વાઇબ્રન્ટ ગુજરાત’ની પરંપરાને કારણે આજે ગુજરાત વિશ્વના નકશા પર ગ્લોબલ પ્લેટફોર્મ તરીકે ઊભરી આવ્યું છે.
આજે રાજ્યમાં વિશ્વસ્તરીય રોડ-રસ્તા, 24 કલાક વીજળી અને પાણીની સુવિધા ઉપલબ્ધ છે, જે ઉદ્યોગો અને રોકાણકારોને સાનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. સરકાર ઉદ્યોગકારોની સાથે મજબૂતીથી ઊભી રહીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતનો તમામ જરૂરી સહયોગ આપવા કટિબદ્ધ છે.
વહીવટી પારદર્શિતા અંગે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આજે સરકારી પ્રક્રિયાઓ અત્યંત સરળ અને પારદર્શક બની છે, જેના પરિણામે કલેક્ટર કે કમિશનર કચેરીઓમાં કોઈ પણ મુશ્કેલી વગર તમામ મંજૂરીઓ મળી રહી છે.
તેમણે ઉદ્યોગકારોને નફાની સાથે સામાજિક જવાબદારી સમજીને સામાન્ય પ્રજાજન માટે ‘એફોર્ડેબલ હાઉસિંગ’ના નિર્માણ પર ભાર મૂકવા અનુરોધ કર્યો હતો. આ સાથે જ પર્યાવરણ જાળવણી પર ભાર મૂકતાં તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત આજે રિન્યૂએબલ એનર્જી અને ગ્રીન એનર્જી ક્ષેત્રે દેશમાં પ્રથમ ક્રમે છે તથા જળસંચય અભિયાન અંતર્ગત રાજ્યના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ત્યારે જ શક્ય બની શકે જ્યારે આપણે આપણી વિરાસત, સંસ્કૃતિ અને સંસ્કારોને મજબૂતીથી પકડી રાખીએ.
વડાપ્રધાનએ આપેલી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની કલ્પનાએ દેશના દરેક નાગરિકમાં ગૌરવની ભાવના જગાવી છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના મંત્ર થકી આપણે સૌ સાથે મળીને વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ અને ‘વિકસિત ગુજરાત’નો સંકલ્પ સિદ્ધ કરીશું.
આ પ્રસંગે પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કોઈપણ શહેર કે રાજ્યના આધુનિકીકરણ અને વિકાસની સાચી ઓળખ તેના મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી થાય છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના રિયલ એસ્ટેટ ડેવલપર્સે પોતાના સ્માર્ટ અને આધુનિક નિર્માણ દ્વારા રાજ્યને વિશ્વસ્તરીય ઓળખ અપાવવામાં સિંહફાળો આપ્યો છે. તેમણે ગુજરાતના વિકાસ મોડેલમાં બિલ્ડર સમુદાયના યોગદાનની સરાહના કરી હતી.
સરકાર દ્વારા બિલ્ડિંગ પરમિશન, પ્લાન પાસિંગ અને ઓનલાઇન પ્રક્રિયાઓને વધુ ઝડપી તેમજ પારદર્શક બનાવીને બિલ્ડર્સ અને સામાન્ય નાગરિકો માટે વહીવટી નિયમો સરળ બનાવવામાં આવ્યા છે. એઇમ્સ, નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ અને વિશ્વસ્તરીય કનેક્ટિવિટીના પ્રોજેક્ટ્સને કારણે આજે રાજકોટ રોકાણકારો માટે કેન્દ્ર બન્યું છે.
આ પ્રસંગે રાજકોટના વિકાસની વાત રજૂ કરતી ડોક્યુમેન્ટ્રી દર્શાવવામાં આવી હતી. કાર્યક્રમમાં સ્વાગતવિધિ રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરા દ્વારા કરવામાં આવી હતી, જ્યારે આભારવિધિ શ્રી અમિતભાઈ ત્રાંબડીયા દ્વારા કરવામાં આવી હતી.
આ તકે કેબિનેટ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગા, સર્વે ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, અગ્રણી માધવભાઈ દવે, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, મહાનગરપાલિકા કમિશનર તુષાર સુમેરા, જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ સહિત બિલ્ડર એસોસિએશનના સભ્યઓ તેમજ શહેરના બિલ્ડરઓ, જુદા જુદા એસોસિએશનના હોદ્દેદારઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

