Rajkot,તા.3
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગઈકાલે પણ છુટોછવાયો 0.5 થી 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જો કે દરિયામાં હજુ કરંટ હોય બંદરો ઉપર 3 નંબરના સિગ્નલ યથાવત રખાયા છે. દરમ્યાન આજે સવારથી રાજકોટ સહિત ઠેર-ઠેર ઉઘાડ નિકળ્યો હતો.
દરમ્યાન આશ્ચર્યની બાબત એ છે કે છેલ્લા 24 કલાક દરમ્યાન રાજકોટ શહેરમાં સેન્ટ્રલઝોનમાં 32 મી.મી ઈસ્ટમાં -20 મી.મી. તો વેસ્ટઝોનમાં સૌથી વધુ 151 મી.મી.વરસાદ રાજકોટ ફાયર બ્રિગેડનાં ચોપડે નોંધાયો હતો. એટલે કે રાજકોટના સેન્ટ્રલ ઝોનમાં સવા,ઈસ્ટમાં-1 અને વેસ્ટમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ નોંધાયો હતો.
દરમ્યાન ગઈકાલે સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 48 કલાક દરમિયાન જામનગર ,જોડીયા અને ધ્રોલ તાલુકાઓમાં બે બે ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે કાલાવડમાં સવા ઇંચ ,લાલપુરમાં એક ઇંચ અને જામજોધપુરમાં અડધો ઇંચ વરસાદ થયો છે જ્યારે ગ્રામ્ય પંથકમાં ધ્રોલ તાલુકાના લતીપર ની અંદર સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લાના જળાશયોમાં પાણીની નવા નીર ની આવક થતા સપાટીમાં વધારો થયો છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમમાંથી મળતી માહિતી મુજબ આજે સવારે 6ઃ00 વાગ્યા સુધીમાં 48 કલાક દરમિયાન જિલ્લામાં જામનગરમાં 51 મીમી, જોડીયામાં 53મીમી ,ધ્રોલમાં 55 મીમી, કાલાવડમાં 39 મીમી, લાલપુરમાં 26મીમી અને જામજોધપુરમાં 15મીમી વરસાદ નોંધાયો છે.
આમ જોઈએ તો શનિવાર અને રવિવારે ભારે વરસાદની આગાહી ને લઈને રવિવારે સવારે છ વાગ્યા સુધીની વાત કરીએ તો જામનગરમાં 41 મીમી, જોડીયામાં 53 મીમી, ધ્રોલમાં 55 મીમી, કાલાવડમાં 35 મીમી, લાલપુરમાં 13 મીમી અને જામજોધપુરમાં 9 મીમી વરસાદ નોંધાયો હતો.
સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ હવામાન વિભાગ દ્વારા ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી પગલે જિલ્લા કલેકટર રાજેશ તન્ના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
આ તૈયારીઓ ભાગરૂપે નિવાસી અધિક કલેકટર એમ.વી. દેસાઈએ ખંભાળિયા સ્થિત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રની મુલાકાત લઈ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના અનુસંધાને અગમચેતીના પગલાં લેવા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. તેમજ તાલુકા ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સંપર્ક કરી તાલુકાની પરિસ્થિતિનો તાગ મેળવી અને તમામ અધિકારીઓ તથા કર્મચારીઓને સતર્ક રહેવા તેમજ તકેદારીના તમામ પગલાઓ લેવા સૂચના આપવામાં આવી હતી.
સલાયામાં મોડી રાતથી વરસાદ ધીમીધારે વરસતો હતો જે હાલ પણ ચાલુ છે.માહોલ હજુપણ વરસાદી બન્યું છે.પરંતુ મનમુકી વરસાદ વરસતો નથી હાલ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી 20 મીમી જેટલો વરસાદ વરસ્યો છે.હાલ માહોલ ખૂબ સારો જામ્યો છે પરંતુ વરસાદ ધીમીધારે વરસી રહ્યો છે.
ખેડૂતોને આ વરસાદથી રાહત મળી છે. પરંતુ જળાશયોમાં આવક થાય એવો વરસાદ હજુ વરસ્યો નથી.હાલ પવનની ગતિ પણ વધી છે. બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો માટે ભારે વરસાદ, તેજ પવન અને ઉગ્ર સમુદ્રની આગાહી કરવામાં આવતા દેવભૂમિ દ્વારકામાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. છેલ્લા કેટલાક કલાકોથી દરિયામાં કરંટનું પ્રમાણ વધી જતાં ઊંચા મોજાં ઉછળી રહ્યા છે. બીજી તરફ દરિયા સાથે સીધી રીતે જોડાયેલી પવિત્ર ગોમતી નદીમાં પણ પાણીની આવક વધતાં નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.
યાત્રાળુઓ અને સ્થાનિક નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દ્વારકા પોલીસે ગોમતી ઘાટને સંપૂર્ણપણે સીલ કરી દીધો છે. ઘાટ તરફ જવાના તમામ માર્ગો પર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કોઈ પણ વ્યક્તિને ગોમતીના કિનારા સુધી જવા દેવામાં આવી રહી નથી. શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દ્વારકાધીશના દર્શન માટે આવતા હોવાથી તંત્ર ખાસ સાવચેતી રાખી રહ્યું છે.
દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટના પગલે સમગ્ર તંત્ર એલર્ટ મોડમાં મુકાયું છે. શનિવાર સવારથી જ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે અરબી સમુદ્રમાં ઊંચા મોજાં અને ભારે કરંટ જોવા મળતા દરિયાકાંઠાના વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.
અહીંના જિલ્લા કલેક્ટરે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, માત્ર સત્તાવાર સૂચનાઓ પર વિશ્વાસ રાખવા તેમજ અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે.
બીજી તરફ દરિયાની સ્થિતિને જોતા ઓખા અને સલાયામાં બંદર ખાતે ત્રણ નંબરનું ચેતવણી સિગ્નલ ફરકાવવામાં આવ્યું છે અને માછીમારો સહિત દરિયાકાંઠાના લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
ભૂજની શાન હમીરસર તળાવમાં નવા નીરની આવક, વરસાદી માહોલમાં જનમેદની ઉમટી
કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજની ઓળખ અને શહેરની ગરિમા સમાન ઐતિહાસિક હમીરસર તળાવમાં નવા પાણીની આવક થતાં જ સમગ્ર કચ્છ પંથકમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છવાઈ ગયો છે. ચોમાસાની ઋતુમાં મેઘરાજાની મહેરબાગ બાદ ભૂજની જીવાદોરી ગણાતા આ તળાવમાં નવા નીર આવતાની સાથે જ નજારો જ કંઈક અલગ જ ખીલી ઉઠ્યો છે.
જ્યારે પણ હમીરસર તળાવ છલકાય કે તેમાં નવા પાણીની આવક થાય, ત્યારે ભુજવાસીઓ માટે તે એક તહેવાર સમાન બની જાય છે. આ જ પરંપરા મુજબ, હમીરસર તળાવમાં નવા પાણીના આગમનના સમાચાર વાયુવેગે પ્રસરતા જ ભૂજ શહેરના નાગરિકો મોટી સંખ્યામાં તળાવના કિનારે એકઠા થઈ ગયા હતા. વરસાદી અને આહલાદક વાતાવરણ વચ્ચે લોકોએ હરખભેર નવા નીરના વધામણાં કર્યા હતા.
ઘટનાસ્થળે પહોંચેલા યુવાનો, વડીલો અને બાળકો સહિત તમામ વર્ગના લોકોએ આ સુંદર વરસાદી માહોલનો ભરપૂર આનંદ માણ્યો હતો. વરસાદી ફૂવારો અને સુખદ વાતાવરણમાં લોકોએ તળાવ કિનારે વેચાતી ગરમાગરમ મકાઈ (ભૂટ્ટા) અને અન્ય સ્વાદિષ્ટ ખાણી-પીણીની વાનગીઓની જયાફત માણી હતી. કુદરતી સૌંદર્ય અને ઉત્સાહના આ માહોલે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

