Morbi ,તા.૬
હળવદમાં વરસાદે વેરેલા વિનાશનું હવે વાસ્તવિક ચિત્ર ઉપસી આવ્યું છે. ગત ૧ ઓગસ્ટે પડેલા ધોધમાર વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે હળવદ તાલુકાના જુના માલણીયાદ ગામે એવી સ્થિતિ સર્જાઈ જે ગામલોકોએ છેલ્લા ૪૦ વર્ષમાં ક્યારેય નહોતી જોઈ તેમ આખું ગામ અને આસપાસનો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો. ખેડૂતોનો દાવો છે કે અહી થયેલા ધોવાણ બાદ જમીનને સમથળ કરવા માટે ૧૦ વર્ષ જેટલો સમય લાગશે.
વરસાદી પાણી હજુ સુધી ઓસર્યા નથી અને પાણી સતત આવી રહ્યું છે. પ્રાથમિક અંદાજ મુજબ આશરે ૨ હજાર વીઘા જમીનમાં પાક સાથે જમીનનું પણ મોટા પાયે નુકસાન થયું છે.
ખેતરોમાં રણની રેતી ઘૂસી જતા અને પાણીના જોરથી ૨૦-૨૦ ફૂટ ઊંડા ખાડા પડી જતા જમીન સંપૂર્ણપણે ધોવાઈ ગઈ છે. કપાસ, મગફળી, એરંડા સાથે દાડમ અને કેરી જેવા બાગાયતી પાકોમાં પણ ભારે નુકસાન થયું છે. ખેડૂતોનું કહેવું છે કે આ રીતે જમીન ધોવાઈ હોવાથી આગામી ૧૦ વર્ષ સુધી તેઓ ખેતીમાં ઉભા થઈ શકે તેમ નથી. મહેનત અને મૂડી બંને એક જ રાતમાં પાણીમાં ગરક થઈ ગયા.
પાણીના પ્રવાહ એટલો તેજ હતો કે ગામના ૧૨ લોકો ફસાઈ ગયા હતા. વહીવટી તંત્ર અને સ્થાનિકોની મદદથી લગભગ ૧૫ કલાક બાદ તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેના કારણે લોકોનું રોજિંદુ જીવન ખોરવાઈ ગયું હતું
ઘટનાસ્થળે પહોંચેલી ફ્ફની ટીમે જે દ્રશ્યો જોયા તે હૃદય કંપાવી દેનારા હતા. ખેતરો ખાડા અને રેતીથી ભરાઈ ગયા છે, ઊભા પાકો માટીમાં દટાઈ ગયા છે. ખેડૂતો ખેતરના કાંઠે બેસીને પોતાની બરબાદી જોઈ રહ્યા છે. તેમની આંખોમાં એક જ સવાલ છે કે હવે આગળ શું?
પીડિત ખેડૂતોએ રાજ્ય સરકાર, ચૂંટાયેલા ધારાસભ્યો અને સ્થાનિક તંત્ર પાસે તાત્કાલિક સર્વે કરીને સહાય આપવાની માંગ કરી છે. તેમની ખાસ રજૂઆત છે કે પાક નુકસાન ઉપરાંત જમીન ધોવાણ માટે અલગથી સર્વે કરીને યોગ્ય વળતર આપવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર મદદ નહીં મળે તો આખો વિસ્તાર આર્થિક રીતે ૧૦ વર્ષ પાછળ ધકેલાઈ જશે.
ખેડૂતોએ પણ આ મુદ્દે પોતાની પરેશાની રજૂ કરી હતી અને સરકારને અપીલ કરી હતી કે અમારા ગામમાં સર્વે કરવામાં આવે અને યોગ્ય વળતર આપવામાં આવે કારણ કે જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે.
જુના માલણીયાદ ગામના ખેડૂત અનિલભાઈ કહ્યું કે મારે મરચી, દાડમનો પાક હતો જે ધોવાઈ ગયો છે. દાડમમાં ૪-૫ ફૂટ પાણી હોવાથી જમીનનું ધોવાઈ થઈ ગયું છે. તેમણે કહ્યું કે મારે પાકમાં મોટું નુકસાન થયું છે.
બીજા ખેડૂત દલસુખભાઈએ એવું કહ્યું કે અમારા ગામમાં ૧૦ ફૂટ પાણી ભરાયા હતા. ટ્રેકટરો સહિતનો સામાન તણાઈને રણમાં જતો રહ્યો છે. મોલમાં ૧૦૦ ટકા નુકસાની છે. જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે. જમીનનું ધોવાણ ક્લીયર કરવા એક દાયકા જેટલો સમય લાગશે.

